હેં… ખરેખર?! : વિશ્વની એક માત્ર તરતી ટપાલ કચેરી છે કાશ્મીરમાં!

-પ્રફુલ શાહ
ઈન્ટરનેટના આગમન સાથે સંદેશ-વ્યવહાર પદ્ધતિમાં આમુલ પરિવર્તન આવી ગયું છે. વોટસઅપ કોલ, વીડિયો કોલ, ઝુમ કોલ વગેરેએ પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયા, ટેલિગ્રામ અને ટપાલ કચેરીને સંદતર વિસરાવી દીધા છે. આપણામાંથી મોટાભાગનાએ નાના ખખડધજ રૂમથી લઈને મોટી ઑફિસ ધરાવતી પોસ્ટ ઓફિસ જોઈ હશે, પણ કેટલાં જણાએ તરતી ટપાલ પેટી જોઈ છે? ના, ના, આ સદીઓ જૂની વ્યવસ્થાનો ઉલ્લેખ છે. આજે ય દુનિયામાં એક માત્ર તરતું
ટપાલ ઘર છે અને એ પણ આપણા ભારતમાં હા, એકદમ સાચું વાંચ્યું તમે.
દુનિયાની એક માત્ર તરતી ટપાલ કચેરી એટલે કે ઓન્લી ફલોટિંગ પોસ્ટ ઑફિસ કાશ્મીરમાં, આપણા કાશ્મીરમાં છે. પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરને ભલે નાપાક-નાલાયક પાકિસ્તાની આતંકવાદીઓ નર્ક બનાવવા માટે માથા પછાડી રહ્યા છે પણ એ કામ શક્ય જ નથી. પોતાના અદ્ભુત કુદરતી સૌંદર્ય માટે વિશ્ર્વભરમાં જાણીતા કાશ્મીરમાં ઊંચા-ઊંચા પર્વતો, બરફ, લીલીછમ ખીણો, બરફ આચ્છાદિત સ્થળો, તળાવો, પ્રાચીન મંદિરો અને મનમોહન બગીચા છે. આ બધા કરતાં ય એક વિશિષ્ટતા સમા દાલ લેકમાં છે આપણી આ તરતી ટપાલ કચેરી.
ઘણાંને સવાલ થાય છે કે આજના ઈન્ટરનેટ યુગમાં હવે ટપાલ કચેરીની શી જરૂરત? સમસ્યા સવાલમાં નથી સવાલ કરનારની સમજમાં છે. કાશ્મીર જેવા હવામાનને લીધે ઘણીવાર મુશ્કેલ બની જતા સ્થળ માટે આ ટપાલ કચેરી અત્યંત ઉપયોગી છે. આ કચેરીનો સ્થાનિકો ટપાલ મોકલવા, મેળવવા, નાની બચત કરવા સહિતનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, નજીકના સી.આર.પી.એફ. (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ની છાવણીના જવાનો સતત જોખમભરી જિંદગી વચ્ચે આ ટપાલ કચેરી થકી સ્વજનો સાથે સંપર્કમાં રહી શકે છે.
આ ઉપરાંત તરતી ટપાલ પેટી દેશ-વિદેશના પર્યટકોના આકર્ષણનું પણ કેન્દ્ર બની ચૂકી છે. એમાંય સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકવાના શોખીનો અને રિલ્સ બનાવવાના બંધાણીઓ માટે આ તરતું ગોળનું ગાડુ છે.
આ પણ વાંચો…હેં… ખરેખર?! માતાહારીને ફાયરિંગ સ્કવોડે વીંધી નાખી, મસ્તક થયું ગાયબ…
એવું મનાય છે કે હાઉસબોટમાં પોસ્ટ ઑફિસ લગભગ 200 વર્ષથી ચાલે છે. એની શરૂઆત અંગ્રેજોના જમાનામાં થઈ હતી. અગાઉ એ નહેરુ પાર્ક પોસ્ટ ઑફિસ, તરીકે ઓળખાતી હતી, પરંતુ 2011માં તત્કાલીન ચિફ પોસ્ટ માસ્ટર જોહન સેમ્યુઅલે એના નવસર્જનની પહેલ કરી. એ નામને બદલીને એનું નામ ફ્લોટિંગ પોસ્ટ ઑફિસ કરી નખાયુ: 2011ના ઑગસ્ટમાં આ પોસ્ટ ઑફિસના ટપાલ ટિકિટ સંગ્રહાલયનું ઉદ્ઘાટન તત્કાલિન મુખ્ય પ્રધાન ડૉ. ફારુખ અબ્દુલ્લા અને કેન્દ્રીય દૂરસંચાર પ્રધાન રાજેશ પાઈલટે કર્યું હતું. આજે આ ટપાલ કચેરી 24 કલાક કાર્યરત હોય છે. અહીં આવતી સ્થાનિકોની ટપાલ પહોંચાડવા માટે ટપાલીઓ શિકારાનો ઉપયોગ કરે છે.
આ ફલોટિંગ પોસ્ટ ઑફિસમાં બે રૂમ છે. એકમાં એની રોજિંદી રૂટિન કામગીરી ચાલતી રહે છે. બીજા રૂમમાં જમ્મુ-કાશ્મીર રાજ્યના ટપાલ ખાતાના ઈતિહાસને વર્ણવતું મ્યુઝિયમ છે. આમાં રાજ્યના ઈતિહાસ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી કાશ્મીરી ચટાઈ, શાલ અને અન્ય ચીજો મુકાયેલી છે. આ ઉપરાંત ખાસ પોસ્ટકાર્ડ અને સ્પેશ્યલ ટપાલ ટિકિટ પણ રખાઈ છે.
ઘણાં પર્યટકો આ ટપાલ કચેરીમાંથી પોતાના ઘરે પત્ર મોકલે છે કે જેથી વિશ્ર્વની એકમાત્ર ફલોટિંગ આ પોસ્ટ ઑફિસના સિક્કા સાથેની ટપાલ યાદગીરી બનીને પોતાના સંગ્રહને શોભાવે. અમુક તો એવું પ્લાનિંગ કરે કે પોતે દાલ લેક પહોંચે ત્યારે પોતાને હાથોહાથ ટપાલ મળી જાય.
કાશ્મીરમાં વિશિષ્ટતા અનેક છે, સૌંદર્ય અદ્ભુત છે, પણ આતંકવાદીઓ, ઘૂસણખોરી, ખંધા રાજકારણીઓ અને ગેરમોર્ગ દોરવાયેલા ઘણાં સ્થાનિકોને એનું મહત્ત્વ સમજાતું નથી. કાશ્મીર ભારતની આન, બાન અને શાન છે. ત્યાંનાં તોફાની તત્ત્વોને નેસ્તનાબૂદ કરવા માટે આપણા જવાનો શહાદત વહોરે છે, લોહી વહાવે દે પણ નાદાન પાડોશી સાબિત કરી ચૂક્યો છે કે હમ બાતો સે માનનેવાલે યા સમજનેવાલે નહીં હૈ. પાકિસ્તાનીઓ જેને લાયક છે એ કરી બતાવવાનો, ને કાયમ માટે સમસ્યા ઉકેલી નાખવાનો સમય આવી પહોંચ્યો છે.
આપણે ત્યાર પછી જ ફલોટિંગ પોસ્ટ ઓફિસ જોવા જવું છે ને?
આ પણ વાંચો…હેં… ખરેખર?! જાસૂસ જયોતિ મલ્હોત્રા તો માતાહારી સામે બચ્ચુ છે!