ઉત્સવ

સર્જકના સથવારે : પ્રકૃતિના સથવારે અનુભૂતિ અવતારનો શાયર કૈલાસ પંડિત

  • રમેશ પુરોહિત

રંગ ભીની ને સુવાળી નીકળી
યાદ એની બારમાસી નીકળી


આજે આપણે વાત કરવી છે પરભાષાના સર્જક કે જેમણે ગુજરાતી ભાષાને પોતાની માતૃભાષા હિન્દી કરતા વધારે લાડ લડાવ્યા હતા. આ ચલગારા કવિનું નામ છે કૈલાસ પંડિત. આખી જિંદગી મહાનગર મુંબઈમાં વીતાવી. ગઝલ સર્જન પણ અહીં જ કર્યું.

ગુજરાતી મુશાયરાઓમાં સફળતાપૂર્વક ભાગ લીધો. કૈલાસ પાસે સાદગીનો વૈભવ હતો. એમની જીવનશૈલી એવી હતી કે એ પારકાને પોતાના કરે. મુંબઈ અને ગુજરાતમાં એમનું મિત્રવર્તુળ બહુ મોટું હતું. સમર્થ કવિઓ, સંગીતકારો, નામી ગાયકો અને સાહિત્ય સાથે નાતો-નિસ્તબ ધરાવતા અસંખ્ય ભાવકોનો માનીતો શાયર હતો.

કૈલાસ અને સુરેન ઠાકર ‘મેહુલ’ લગભગ એક જ સમયે ઉદય પામ્યા અને સાથે રહીને ઘણું સર્જન કર્યું: કૈલાસ પંડિત પાસે નોખું વિચારવાનો અને પરિણામે કશુંક આશ્ચર્યજનક આપવાનો અભિગમ હતો. ભાષા બોલચાલની, શબ્દોના ચયનમાં સાદગી, નવા કાફિયા અને રદીફ પ્રયોજવાની ઉત્સુકતા, છંદને વફાદાર રહેવાની જાગૃતિએ એમની ગઝલોના બાહ્ય દેહને સુંદર રીતે કંડાર્યો હતો.

ગઝલના આંતર દેહ એટલે તગઝ્ઝુલ, તસ્વવુફ અને તસ્વ્વુરમાં એમણે પ્રતિભાવંત યોગદાન આપીને ગઝલના આંતરદેહને પણ શણગાર્યો છે. કૈલાસે નાની બહરમાં ગઝલો લખી છે અને ગઝલની રવાની એટલે શું એ સિદ્ધ કરી બતાવ્યું છે.
ગઝલની રંગીની બહુસ્પર્શી નથી આમ છતાં આ કવિએ ગઝલના રંગને પ્રકટાવવામાં યથાર્થ પ્રયત્નો કર્યા છે. એમની ગઝલમાંથી થોડાં ઉદાહરણો જોઈએ.

ચહેરો જુઓ છો આપ, હું એ આરસીમાં છું
ખેલ્યા કરે છે જુલ્ફથી એ કાંસકીમાં છું

**
રંગ ભીની ને સુવાળી નીકળી
યાદ એની બારમાસી નીકળી.

**
સરખા થવાની વાત તો આકાશમાં રહી
ઊડતી લટોની સાથ હું ઊડી ઊડી ગયો.

**
સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઈશ હું
આખા બદનમાં ફૂલ થઈ મહેકી જઈશ હું

**
કહેવાય એવા સાવ અમસ્તા પ્રસંગમાં
ખૂંપી ગયો છું ખૂબ હું ભીના સંબંધમાં

**
વાળ અગાસીમાં એ ઝટકે
આખા શહેરે છત્રી ઓઢી!


મુંબઈ જેવા મહાનગરની યાંત્રિક જિંદગી અને નાના માણસોના જીવનની સાચુકલી રજૂઆત, દર્દ, પીડા અને વ્યથા સુધીની અનુભૂતિઓ કૈલાસના સર્જનમાં અભરે ભરી છે. થોડાંક ઉદાહરણો જોઈએ:

સાંજે જશે ને આવશે પાછો સવારમાં
સૂરજને રહેવા શહેરમાં કોઈ જગા નથી.

**
ચમન તુજને સુમન મારી માફક છેતરી જશે
પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખ્મો ધરી જાશે

**
આખો દિવસ જે શેઠને મોટરમાં લઈ ફર્યો
રાતે બિચારો ટ્રેનમાં લટકી ઘરે ગયો.

**
ખનકે છે એના ખોબલે સૂરજનું પાંચિયું
ચગળ્યા કરે હોઠમાં રસ્તાનાં સિગ્નલો

**
ઘરનો ઉપાડી બોજને ભટકે છે ક્યારના
મારા શહેરમાં કેટલા એવા શ્રવણ હશે.

**
આવીશ ત્યારે સાંજના ઢગલો થઈ જઈશ
નીકળું છું ઘરની બહાર હું છૂટેલા તીર જેમ

**
ઊડતી રહેલી વાતમાં પંખીપણું નથી
વસતી ભરેલા શહેરમાં વસતીપણું નથી.

**
શોક થયો ‘કૈલાસ’નો પૂરો
લાશ બળી ગઈ, ચાલો જઈએ.


ગઝલમાં મિલન અને વિરહના ભાવની દાસ્તાન આપોઆપ આવી જતી હોય છે, કૈલાસ મિલનના કેફને પીધા પછી વિરહના દર્દને જીરવી જવાની વાત કેટલી સચોટતાથી કરે તે જોઈએ:

એના વિરહના દર્દને જીરવી ગયો છું હું
એના મિલનના કેફને પણ પી ગયો છું હું

**
શક્ય છે વરસાદનો હિસ્સો હશે
આપણો સંબંધ પણ ભીનો હશે.

**
રાહ જોતાં એ ઝરૂખે આમ ઊભા હોય પણ
આપણાં સ્વપ્નાં જેવાં એનાં સ્વપ્નાં હોય પણ.

**
ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ

**
તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ

આપણ વાંચો:  કેનવાસઃ એક રોગે ઘરની ડિઝાઈન બદલી, હવે ઘરની ડિઝાઈન નવા રોગને નોતરે છે?

માનવ જીવનના વિવિધ ભાવોને, આશાઓને, અરમાનોને અને ઈચ્છાઓને દરેક કવિ પોતાની રીતે વાચા આપતો હોય છે. કૈલાસની વિશિષ્ટતા એ છે કે અશ્રુ, ડુસકાં, વ્યથા અને વેદના પ્રકૃતિનાં તથ્યો સાથે સંગોપાઈને આવે છે જેમ કે:

કિરણોની જેમ ફૂલને સ્પર્શી રહ્યો છું હું
ભીનાશ એની આંખની લૂછી રહ્યો છું હું
**
બેસી ગયું છે ફૂલમાં ઝાકળ થઈ હવે
એનું સ્મરણ સવારમાં છલકી ગયું હશે.
**
એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી

વહેતા પવનની જેમ બધું લઈ ગયા તમે
મુઠ્ઠી ભરી સુગંધ તો મૂકી જવી હતી.
**
ફરી વરસાદ આવ્યો ને થયું એનું સ્મરણ પાછું
મને ઘેરી વળ્યું છે એનું એ વાતાવરણ પાછું
હવાનો ખાલીપો મહેકી ઊઠ્યો કોયલના ટહુકાથી
કે આવ્યું પહાડથી કિલ્લોલતું ‘રમતું’ ઝરણું પાછું


કૈલાસ પંડિતે ગુજરાતી કવિતાને છસ્સો જેટલી ગઝલો, મુક્તક, નઝમ, ગીત, અછાંદસ રચનાઓ આપી છે. એમનું પ્રદાન ચિરંજીવી છે.

જેમને ભૂલી જતાં વર્ષો થયા
યાદ આવ્યા એક અમથી વાતમાં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button