ઉત્સવ

ઈકો-સ્પેશિયલ : અર્થતંત્રનું મોટું કદ હાંસલ કરવા ભારતે હજી કેવા સુધારા કરવા જરૂરી…?

જયેશ ચિતલિયા

ભારત 2025ના અંત સુધીમાં તો વિશ્વનું સૌથી મોટું ચોથું અર્થતંત્ર બની શકે છે. હજુ તો સુધારાના એજન્ડાનો અધૂરો જ અમલ થયો છે ત્યારે 4 ટ્રિલિયન ડૉલર સાથે આ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં પહોંચી જઇશું ત્યારે ભારતને વિશ્વનું પાવર હાઉસ બનાવવાની પૂરી બ્લુ પ્રીન્ટ કેવી હોવી જોઇએ એની રસપ્રદ છણાવટ નીતિ આયોગના ભૂતપૂર્વ સીઇઓ અમિતાભ કાંતે કરી છે, જેની ઝલક જોવી રહી.

કયાં ભારત અને કયાં પાકિસ્તાન…
‘ઓપરેશન સિંદૂર’ના એક પખવાડિયા પછીના આર્થિક ડેટાના આધારે નીતિ આયોગના અમિતાભ કાંત માને છે કે પાકિસ્તાનનું નામ હવે ભારત સાથે લેવા લાયક નથી, કેમ કે ભારત-પાકિસ્તાન શબ્દોના સંધાન માટે વચ્ચે નાની લીટી દોરી પ્રયોગ કરવાની ક્ષમતા પણ પાકિસ્તાને ગુમાવી દીધી છે. ભારત આ વર્ષના અંત સુધીમાં સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા બની જશે અને બીજા ત્રણ વર્ષમાં તો ત્રીજા સ્થાને હશે. ભારતના એક રાજય મહારાષ્ટ્રનું અર્થતંત્ર પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં મોટું છે અને બીજા રાજય તમિળનાડુનું અર્થતંત્ર લગભગ પાકિસ્તાનના કદનું જ છે.

ભારતનું ચાર ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર પાકિસ્તાન કરતાં 10 ગણું વધારે છે. બીએસઇ અને એનએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જ કરતાં 200 ગણું વધારે છે, એચસીએલ અને એક્સિસ બેન્ક જેવી કંપનીઓ પાકિસ્તાનના સમગ્ર સ્ટોક એક્સચેન્જ જેટલું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવે છે. એલઆઇસીની અસ્કયામતો પાકિસ્તાનના રાષ્ટ્રીય દેવા (640 બિલિયન)ની સરખામણીએ લગભગ અઢી ગણી થાય છે.

પાકિસ્તાનનું ફોરેક્સ રિઝર્વ માત્ર 16 બિલિયન ડૉલર છે તો ભારતનું 680 બિલિયન ડૉલર છે. ઇતિહાસ દર્શાવે છે કે આર્થિક શક્તિ-ફક્ત લશ્કરી શક્તિ જ નહીં-વૈશ્વિક મંચ પર રાષ્ટ્રોને ઉન્નત કરે છે. જો 4 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર ભારતને આટલું બધું વજન આપે છે, તો કલ્પના કરો કે 30 ટ્રિલિયન ડૉલરથી વધારાનું કદ હશે ત્યારે ભારતીય અર્થતંત્રનું સામર્થ્ય કેવું હશે?

ઓછાં નિયમનોની સફળતા-સાર્થકતા…
આર્થિક વિકાસના માર્ગ પર પ્રગતિ કરવા માટે ઓછા નિયમનો હોવા જરૂરી બને છે, કારણ કે વધુ પડતાં નિયમનો અનુપાલન ખર્ચ વધારીને વ્યવસાય-વેપાર કરવાના ખર્ચમાં વધારો કરે છે. તે જ રીતે લાઇસન્સિંગ, સેક્ટર્સલક્ષી નિયંત્રણો અને પરિપત્રો અને એનઓસીના ઓવરડોઝને ટાળવાની જરૂર છે. દેશમાં મોટાભાગની મંજૂરીઓ માનવ હસ્તક્ષેપ વિના ડિજિટલી થવી જોઈએ. નિયમનકારોએ પોતાને નિયંત્રણ અને ઓવરરીચનાં સાધનો તરીકે ન જોવું જોઈએ.

GSTએ ઔપચારિકરણ-ફોર્મલાઈઝેશનનને સક્ષમ બનાવ્યું છે અને વેપાર કરવાની સરળતાને પ્રોત્સાહન આપ્યું છે. (જોકે અહીં અમારું માનવું છે કે આ દાવો પૂર્ણપણે સાચો નથી, હજી ઘણી બધી અડચણો આ માર્ગમાં છે). આમ છતાં જીએસટી દર અને સ્લેબને તર્કસંગત બનાવવાનો અને નાના ઉદ્યોગો માટે અનુપાલનનો બોજ ઘટાડવા માટે પ્રક્રિયાઓને સરળ બનાવવાનો સમય આવી ગયો છે. સહકારી સંઘવાદની ભાવનામાં, જીએસટી કાઉન્સિલે પેટ્રોલિયમ ઉત્પાદનો, વીજળી અને રિયલ એસ્ટેટને જીએસટી હેઠળ લાવવા માટે એક રોડમેપ બનાવવાનું કાર્ય લાંબા સમયથી પેન્ડિંગ છે.

ઋણ-ધિરાણ સરળતાથી પૂરતાં પ્રમાણમાં વાજબી દરે મળે એ સુનિશ્ર્ચિત કરવા માટે આપણે નાણાકીય બજારોને મુક્ત કરવા જોઈએ. આરબીઆઇએ એસએલઆર (સ્ટેચ્યૂટરી લિક્વિડિટી રેશિઓ)ને તબક્કાવાર ઘટાડવા માટે એક રોડમેપ બનાવવો જોઈએ, જેથી કોમર્શિયલ બેંકો પરનું ફરજિયાતપણે સરકારી બોન્ડ ખરીદવાનું ભારણ ઘટી શકે. ‘મેક ફોર વર્લ્ડ’નું સૂત્ર અપનાવી ઇન્ટરમિડીઅરી ગુડ્સ અને ઇનપુટ પરના આપણા ટૅરિફ જે ખૂબ ઊંચા છે, તેને નીચે લાવવા જોઈએ.

ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ અને મશીનરીમાં મહત્ત્વપૂર્ણ ઇનપુટ્સ પર ઊંચા ટૅરિફ, પીએલઆઇ (પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ) યોજનાની અસરકારકતાને નબળી પાડે છે. તેઓ ભારતીય કંપનીઓને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓથી પણ દૂર રાખે છે. ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર જેવા બિન-ટૅરિફ અવરોધોને તર્કસંગત બનાવવા જોઈએ. કાપડ ઉદ્યોગમાંના મેનમેડ ફાઇબરના વિસ્તરણને અને તે થકી રોજગાર સર્જનને આ કવાલિટી ક્ધટ્રોલ ઓર્ડર દ્વારા અવરોધાય છે.

આપણે ચીન અને દક્ષિણપૂર્વ એશિયામાં કામ કરતી કંપનીઓ સાથે હાથ મિલાવીને તેમના કામકાજ ભારતમાં સ્થાનાંતરિત કરવા માટે પ્રોત્સાહન આપવા જોઈએ. મોબાઇલ ઉત્પાદનમાં એપલનો દાખલો એક ટેમ્પ્લેટ પૂરો પાડે છે. આપણે વધુ દ્વિપક્ષીય અને પ્રાદેશિક વેપાર કરારોને અનુસરવું જોઈએ. સ્વચ્છ ટેક ક્ષેત્રમાં બેટરી, સૌર કોષો અને મોડ્યુલો, મોટર્સ, કંટ્રોલર્સ અને વિન્ડ ટર્બાઇનના આપણે મુખ્ય આયાતકાર છીએ. જો આપણે ‘મેક ઇન ઇન્ડિયા’ નહીં કરીએ, તો આપણે ક્યારેય ઊર્જા-સ્વતંત્ર નહીં બનીએ. તેથી, સ્વચ્છ ટેક મેન્યુફેક્ચરિંગ મિશનનો ઝડપી અમલ પણ મહત્ત્વપૂર્ણ છે. રાજ્ય સરકારોએ સંસદ દ્વારા પસાર કરાયેલા શ્રમ કાયદાઓનો અમલ કરવો જોઈએ. જેથી ઉત્પાદનનું કદ અને સ્કેલ વધારી શકાય.

વૈજ્ઞાનિક દિમાગ આકર્ષવા જરૂરી…
ભારતને સંશોધન અને વિકાસમાં મોખરે રાખવા માટે, આપણે ટોચના સ્તરના વૈજ્ઞાનિક દિમાગને આકર્ષવાની જરૂર છે. આપણે પાંચ વર્ષમાં વિશ્વની ટોચની 100 યુનિવર્સિટીમાં થી 500 પ્રતિષ્ઠિત શિક્ષણવિદોને આકર્ષવાનું લક્ષ્ય રાખવું જોઈએ. એમણે ભારતીય યજમાન સંસ્થામાં વર્ષે ઓછામાં ઓછા છ મહિના ગાળે તેવું પ્રાવધાન કરવું પડશે. ઈન્ડિયા AI મિશનનું ઝડપી અમલીકરણ સુનિશ્ચિત કરશે કે આપણે સ્વદેશી મોડેલો બનાવીએ. આપણી 22 માન્ય ભાષાઓને ધ્યાનમાં રાખીને આપણે બહુભાષી અને બહુ-મોડલ ફાઉન્ડેશનનો અમલ પણ કરવો જોઈશે.

પ્રવાસન ઉદ્યોગ ભારતને એક વિશાળ તક આપે છે. તેથી અતુલ્ય ભારતની સફળતા માટે પ્રવાસીઓને મોટા પાયે આકર્ષી વિદેશી હૂંડિયામણ વધારી શકાય. આપણી પાસે શ્રેષ્ઠ હોટલો સહિતની સુવિધાઓ છે,ભારતે વિશ્વભરના પ્રવાસીઓને આમંત્રિત કરીને ‘અતુલ્ય ભારત’ નામનું વૈશ્વિક અભિયાન શરૂ કરવું જોઈએ. ઈન શોર્ટ, ભારત સામે અનેક પડકાર છે તો બીજી બાજુ ભારત પાસે અઢળક તક પણ છે.

આપણ વાંચો : ઈકો-સ્પેશિયલ: ટ્રમ્પ: ટૅરિફ પે ટૅરિફ મિયાં ગીરે પર તંગડી તો ઊંચી!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button