મોર્નિંગ મ્યૂસિંગ : એવિયેશનનું અવનવું: વિમાનની મુસાફરી કરતાં કારનો પ્રવાસ વધુ જોખમી હોય છે !

-રાજ ગોસ્વામી
અમદાવાદમાં વિમાની દુર્ઘટના પછી લોકોમાં, ખાસ કરીને હવાઈ યાત્રા કરતા ડર પેસી જાય તે સ્વાભાવિક છે. મકાનમાં આગ લાગે અથવા રોડ-રેલ અકસ્માતમાં લોકો એમની જાન બચાવવા પ્રયાસો કરી શકે તેવી સંભાવનાઓ વધુ હોય છે એટલે તેનો આઘાત લોકોને ‘ઓછો’ લાગે છે, પરંતુ ચારેબાજુથી બંધ વિમાન જ્યારે એક અગનગોળામાં પલટાઈ જાય ત્યારે પીડિતોની અસહાયતા-લાચારી જોઇને લોકો વધુ વિચલિત થઇ જાય છે.
એટલા માટે જ વિમાની દુર્ઘટનાઓ હંમેશાં મોટા સમાચાર બનતી હોય છે. એક તો, તેમાં જાનમાલના નુકસાનની પૂરેપૂરી શક્યતા હોય છે અને બીજું, તેમાં એક સાથે, એક જ સમયે મોટી સંખ્યામાં લોકો જાન ગુમાવે છે. ત્રીજું, આજકાલ દરેક માણસ પાસે સ્માર્ટફોન હોય છે એટલે દુર્ઘટનાનાં નાટ્યાત્મક અને સનસનીભયાર્ં દૃશ્યો લોકો સમક્ષ આવી જાય છે. આમ અમદાવાદની દુર્ઘટનાના સાક્ષી બન્યા પછી લોકો હવાઈ પ્રવાસ જોખમી છે તેવું માનવા લાગે તે સમજાય તેવું છે, પરંતુ આંકડાકીય હકીકત એ છે કે વિમાનની મુસાફરી કરતાં કારનો પ્રવાસ વધુ અસુરક્ષિત હોય છે!.
‘ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશન’ના રિપોર્ટ અનુસાર, 2005માં વિમાન દુર્ઘટનામાં 824 લોકોનાં મોત થયાં હતાં. વર્ષ 2008માં મૃત્યુઆંક ઘટીને 524 થયો હતો. 2013માં મૃત્યુઆંક 173 થયો હતો, પરંતુ પછીના વર્ષે, 2014માં 904 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 2020માં 298 લોકોનો જીવ ગયો હતો, જ્યારે વર્ષ 2023માં વિમાન દુર્ઘટનામાં 72 પ્રવાસીનાં મોત થયાં હતાં. દેખીતી રીતે જ વિમાન દુર્ઘટનામાં મૃત્યુની સંખ્યામાં સમય જતાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આનું એક કારણ છે. પ્રત્યેક વિમાની દુર્ઘટના એવિયેશન ઉદ્યોગ માટે એક મહત્ત્વનો બોધપાઠ બને છે. માર્ગ પરિવહનમાં ઝડપનું ખૂબ મહત્વ હોય છે એટલે ઓટોમોબાઇલ કંપનીઓ ઝડપી વાહનો બનાવવા માટે બહુ મહેનત કરે છે. એવિયેશન ઉદ્યોગમાં સલામતી અને સુવિધા (એ જ ક્રમમાં) સર્વોચ્ચ હોય છે એટલે એવિયેશન કંપનીઓ વધુને વધુ સુરક્ષિત વિમાનો બનાવવા માટે હરીફાઈ કરતી હોય છે, જેથી દુનિયામાં ક્યાંય પણ વિમાની દુર્ઘટના સર્જાય ત્યારે એવિયેશન સાથે જોડાયેલા લોકો માટે તે એક ક્લાસરૂમ બની જાય છે.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : ફ્રેડરિક ફોર્સિથ: કેવી રીતે એક દેવાદાર યુવક બેસ્ટસેલર જાસૂસી લેખક બની ગયો!
અમદાવાદમાં કારનો અકસ્માત થાય તો ન્યૂયોર્કમાં કાર કંપનીને તેના સમાચાર જાણવામાં પણ રસ ન હોય, પરંતુ કેન્યામાં વિમાન તૂટી પડે તો તહેરાનની એરલાઈન્સ પણ તેની રજેરજ માહિતી મેળવે. એર લાઈન્સ અને વિમાન બનાવતી કંપનીઓ નિયમિત તેમની સુરક્ષા સુવિધાઓ અપગ્રેડ કરતી રહેતી રહે છે. ઇન ફેક્ટ, એવિયેશન ઉદ્યોગનું તો લક્ષ્ય પણ છે કે 2030 સુધીમાં વિમાની દુર્ઘટનાઓમાં એક પણ મૃત્યુ ન થાય. દુનિયાભરમાં પાછલાં 20 વર્ષમાં થયેલી એવિયેશન દુર્ઘટનાઓના આંકડા પર નજર નાખો તો ખ્યાલ આવે છે કે એવી ઘટનાઓમાં લગાતાર ઘટાડો નોંધાયો છે.
મૃત્યુ અનપેક્ષિત હોય છે. તમે રસ્તો ક્રોસ કરતા હો તો પણ તેની ઝપેટમાં આવી શકો. આમ છતાં, હવાઈ મુસાફરી સૌથી સુરક્ષિત છે. ‘શેલ’ નામની વૈશ્વિક પેટ્રોકેમિકલ્સ કંપનીમાં કામ કરતા એક અધિકારીએ એક જાતઅનુભવ કહ્યો હતો. તે લોકો ઓફશોર તેલ પ્લેટફોર્મ પર કામ કરતા હતા. એમને 14 દિવસ કામ કર્યા પછી 14 દિવસની છુટ્ટી આપવામાં આવતી હતી.
શરૂઆતમાં કંપનીના એચઆર વિભાગે તેમના સ્થાયી સરનામા અંગે અને ત્યાં કેવી રીતે જશો તે પૂછયું હતું. અધિકારીને એમ કે એચઆર મેનેજરને જવા-આવવામાં તકલીફ પડે તેની ચિંતા હશે. એમણે કહ્યું કે, ચિંતાનું કારણ નથી, મુંબઈથી ગોરખપુરની બહુ ટ્રેનો છે, કોઈ એકમાં રિઝર્વેશન મળી જશે.
મેનેજરે જવાબ આપ્યો તે સાંભળીને અધિકારી આશ્ર્ચર્યચકિત થઇ ગયો; ‘કંપનીની પૉલિસી પ્રમાણે હું તમને હવાઈ યાત્રા કરવાની સલાહ આપું છું. કારણ કે તે વધુ સુરક્ષિત છે એટલે તમે તમારું નજીકનું એરપોર્ટ બતાવો.’
અમેરિકામાં વર્ષ 2000થી 2009 વચ્ચેના એક ડેટા અનુસાર, મોટરસાઇકલની સવારીમાં 213 લોકો, કારમાં 7.3, સમુદ્રી સફરમાં 3.2, ટ્રેનમાં 0.43, બસમાં 0.11 અને વિમાનમાં 0.07 ટકા લોકોએ જીવ ગુમાવ્યા હતા. જૂનો ડેટા છે પણ લગભગ આજે પણ આવો જ ટ્રેન્ડ છે.
પરિવહનની દુનિયામાં જોખમનું આકલન બે બાબત પરથી થાય છે; સંભાવના અને તીવ્રતા. હવાઈ જહાજમાં જોખમની તીવ્રતા મહત્તમ હોય છે. ત્યાં કશું ન થવાનું થયું તો, જીવ જવાનું લગભગ નક્કી હોય છે, પરંતુ ન થવાનું થવાની સંભાવના કેટલી? નહીંવત્. તમે ટેલિવિઝન પર વિમાન દુર્ઘટનાના સમાચાર કેટલી વખત જુવો છો? અને વાહન અકસ્માતના?
વાહન યાત્રામાં મૃત્યુના જોખમની તીવ્રતા મધ્યમ હોય છે, પણ અકસ્માતની સંભવાના મહત્તમ હોય છે એટલા માટે વિમાનની સરખામણીમાં રેલ કે રોડ યાત્રામાં જાનમાલનું જોખમ વધુ હોય છે. અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં ‘હાર્વર્ડ યુનિવર્સિટી’નો એક અભ્યાસ કહે છે તેમ 12 લાખ ફ્લાઇટ્સમાંથી 1 ફ્લાઈટ સાથે દુર્ઘટનાની સંભાવના હોય છે. તેની સામે 5,000 કારમાંથી 1કાર સાથે અકસ્માત થવાની શક્યતા હોય છે.
આ વર્ષની જ વાત કરીએ તો જૂન મહિનામાં સમગ્ર દુનિયામાં મળીને કુલ 3.8 કરોડ ફ્લાઈટ ઉડવાનો અંદાજ છે. તેમાંથી માત્ર અમદાવાદમાં જ એક ફ્લાઈટને અકસ્માત થયો છે. જ્યારે એકલા ભારતમાં જ રોજ 1,264 માર્ગ દુર્ઘટનાઓ થાય છે.
જોકે, આમાં આશ્વાસન લેવા જેવું નથી. અકસ્માતની સંભવાના ઓછી, પણ જાનમાલના નુકસાનની તીવ્રતા વધુ હોવાથી હવાઈ સફર વધુ ડર પેદા કરે છે. હવાઈ સુરક્ષા માત્ર ટેકનોલોજી કે પાઈલટની કુશળતા સુધી જ સીમિત નથી-એવિયેશન કંપનીઓનાં બોર્ડરૂમમાં શું થાય છે તેની અસર કોકપિટમાં પડે છે.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : ટ્રમ્પ-મસ્કની ટક્કર આત્મમુગ્ધ ને અહંકારી લીડરોમાં સહાનુભૂતિ જેવું કશું હોતું નથી
70 દેશમાં 1990થી 2016 વચ્ચેનાં વર્ષોમાં થયેલા એક અભ્યાસ અનુસાર એર લાઈન્સના કારોબારી બોર્ડમાં સ્થિરતા અને એર લાઈનની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે. જ્યાં નબળી લીડરશીપ હોય, નીતિઓમાં લગાતાર ફેરફાર થતા હોય ત્યાં અકસ્માતની સંભવાના વધી જાય છે. અમદાવાદમાં જે વિમાન તૂટી પડ્યું તે બોઇંગ કંપની સામે પાછલાં કેટલાંક વર્ષોથી એવી ફરિયાદ છે કે તે નફો રળવા માટે ગુણવત્તા સાથે બાંધછોડ કરે છે.
માત્ર આંકડાઓથી એર લાઈન્સમાં લોકોનો વિશ્વાસ પેદા નથી થતો. દરેક ભૂલમાંથી કંપની જો કશું ન શીખે અને સુરક્ષાની ચૂક દૂર ન કરે તો તે પ્રવાસીઓની નજરમાંથી ઊતરી જાય છે. બોઇંગનું અને એર ઇન્ડિયાનું અત્યારે એવું જ થઇ રહ્યું છે.