કેનવાસ : DNA ટેસ્ટિંગ કટોકટીના સંજોગોમાં ઓળખચિન્હની ગરજ સારતું સૂક્ષ્મ પણ સચોટ માધ્યમ…

- અભિમન્યુ મોદી
અમદાવાદની તાજી દુ:ખદ વિમાન દુર્ઘટનાને આપણે વર્ષો સુધી ભૂલી શકવાના નથી. તેના સમાચારો હજુ ચાલુ છે – રહેશે. 241 પ્રવાસીઓ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ અવસાન પામ્યા. પ્લેન તૂટીને ભસ્મીભૂત થઈ ગયું એમાં પણ મેડિકલ કોલેજના અનેક લોકો માર્યા ગયા.
મૃત્યાંક ક્રમશ 300ની આસપાસ પહોંચી શકે છે. માત્ર ગુજરાત જ નહીં, આખા દેશમાં તેનો આઘાત છવાયો છે. 12 જૂન પછી અન્યત્ર પણ ફલાઈટમાં બેસતો દરેક મુસાફર આ દુર્ઘટનાના આઘાતની અસર નીચે હવાઈ પ્રવાસ કરી રહ્યો છે… આ વિમાન અકસ્માતમાં આપણે જાણ્યું કે ભભૂકેલી આગને કારણે મૃતદેહોની ઓળખ કરવી એક બહુ મોટો પડકાર હતો અને હજુય છે. આવા સમયે છેલ્લાં થોડાં વર્ષોથી વૈજ્ઞાનિકો DNA ટેસ્ટિંગનો સહારો લેતા હોય છે.
DNA ટેસ્ટિંગ આજે ફોરેન્સિક સાયન્સની મોટી બ્રાન્ચ છે, પરંતુ આ DNA ટેસ્ટિંગ શું છે? તે કેવી રીતે કામ કરે છે? સગાં-સંબંધીઓ પાસેથી નમૂના કેવી રીતે લેવાય છે? અને આ બધું કેવી રીતે આપણને કોઈ વ્યક્તિની ચોક્ક્સ ઓળખ આપે છે? આ જટિલ પ્રક્રિયા છે, પણ સમજવી અઘરી નથી.
DNA એટલે ‘ડીઓક્સિરાઈ-બોન્યુક્લિયક એસિડ’, એ આપણા શરીરના દરેક કોષમાં રહેલો એક એવો કોડ છે, જે આપણને બીજા બધા જ માણસો કરતાં સાવ અનોખા બનાવે છે. જેમ દરેક તાળાની ચાવી અલગ હોય છે તેમ દરેક વ્યક્તિનો DNA પણ અલગ હોય છે.
આ DNA એ જ આપણા વાળનો રંગ, આંખોની રચના, ઊંચાઈ અને ઘણું બધું નક્કી કરે છે. ફોરેન્સિક સાયન્સમાં, આ અદ્વિતીય DNAનો ઉપયોગ જે તે વ્યક્તિની ઓળખ નક્કી કરવા માટે થાય છે. લાદેનને માર્યા પછી એ ઓસામા બિન લાદેન જ છે અને કોઈ બહુરૂપિયો નથી તે નક્કી કરવા માટેDNA ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જેવા અમુક કપરા સંજોગોમાં DNA ટેસ્ટિંગ એકમાત્ર આશાનું કિરણ હોય છે. શરીરના નાનામાં નાના ભાગ જેમ કે હાડકાં, દાંત કે બળેલી ચામડીમાંથી DNA તારવીને તેની સરખામણી સગાં-સંબંધીઓના DNA સાથે કરવામાં છે.
DNA ટેસ્ટિંગના અમુક તબક્કા છે:
સેમ્પલ કલેક્શન
ઓળખ પ્રક્રિયાનો પહેલો તબક્કો છે સેમ્પલ કલેક્ટ કરવું. ફોરેન્સિક નિષ્ણાતો દુર્ઘટના સ્થળેથી શરીરના અવશેષો જેમ કે હાડકાં, દાંત, વાળનું મૂળ, કે બળેલી ચામડી એકઠા કરે છે. આ અંગોમાં DNA હોય છે, જે ઊંચા તાપમાને પણ ટકી શકે છે. ઉદાહરણ તરીકે, હાડકાં અને દાંત DNAનો સૌથી મજબૂત સ્ત્રોત હોય છે, કારણ કે તેમાં DNA સુરક્ષિત રહે છે.
બીજી તરફ, મૃતકના સગાં-સંબંધીઓ ખાસ કરીને માતા-પિતા, બાળકો કે ભાઈ-બહેન પાસેથી ‘રેફરન્સ સેમ્પલ’ લેવામાં આવે છે. આ સેમ્પલ લેવા ખૂબ સરળ હોય છે. ડોક્ટર કે નિષ્ણાત ગાલની અંદરની ચામડી પરથી સ્વેબ ઘસીને કોષ કલેક્ટ કરી લે છે. ક્યારેક લોહીનું નાનું ટીપું કે લાળનો નમૂનો પણ લેવાય છે. આ નમૂના લેવાની પ્રક્રિયા એટલી સરળ હોય છે કે બાળકો પણ તે આપી શકે છે. આ રેફરન્સ સેમ્પલ મૃતકના DNA સાથે સરખામણી માટે જરૂરી હોય છે, કારણ કે માતા-પિતા અને બાળકો 50 ટકા DNA શેર કરે છે.
DNAની તારવણી
સેમ્પલ મળ્યા પછી, લેબોરેટરીમાંDNAઅલગ તારવવાનું કામ શરૂ થાય છે. આ પ્રક્રિયા છાશમાંથી માખણ બનાવવા જેવી છે. નિષ્ણાતો ખાસ રસાયણોનો ઉપયોગ કરીને કોષોમાંથી DNA અલગ કરે છે. આ પ્રક્રિયામાં, કોષોને તોડીને તેમાંથી DNA બહાર કાઢવામાં આવે છે. આ પ્રક્રિયા એટલી ઝીણવટભરી હોય છે કે ફક્ત એક નેનોગ્રામ (એટલે એક ગ્રામનો અબજમો ભાગ) DNA પણ પૂરતું હોય છે.
- DNA વિસ્તરણ (Amplification)
તારવેલા DNA ઘણીવાર ખૂબ ઓછી માત્રામાં હોય છે. તેથી વૈજ્ઞાનિકો ‘પોલિમરેઝ ચેઈન રિએક્શન’ (PCR) નામની ટેકનિકનો ઉપયોગ કરીને DNAની લાખો-કરોડો નકલો બનાવે છે. આ પ્રક્રિયા એક ફોટોકોપી મશીન જેવી છે, જે એક નાના ટુકડાને ઘણી બધી નકલોમાં બદલી નાખે છે. PCR ખાસ DNAના એવા ભાગોને નકલ કરે છે, જેને ‘શોર્ટ ટેન્ડમ રિપીટ્સ’ (STR) કહેવાય છે. આ STR એ DNAના એવા નાના ટુકડા હોય છે, જે દરેક વ્યક્તિમાં અલગ હોય, જેમ કે તમારા હસ્તાક્ષરની ખાસ શૈલી.
- DNA પ્રોફાઈલ
હવે આ DNAની નકલોનું વિશ્ર્લેષણ થાય છે. વૈજ્ઞાનિકો ‘કેપિલરી ઈલેક્ટ્રોફોરેસિસ’ નામની ટેકનિક દ્વારા DNAના ટુકડાઓને તેમના કદ પ્રમાણે અલગ કરે છે. આ પ્રક્રિયા એક દોડની સ્પર્ધા જેવી છે, જેમાં નાના ટુકડા ઝડપથી આગળ નીકળે છે અને મોટા ટુકડા પાછળ રહે છે. આનાથી એક ‘ઈલેક્ટ્રોફેરોગ્રામ’ નામનું ચાર્ટ બને છે, જે DNA ના STR ની લંબાઈ અને પુનરાવર્તનની સંખ્યા દર્શાવે છે. આ ચાર્ટ એટલે ‘DNA પ્રોફાઈલ’, જે એક ડિજિટલ ફિંગરપ્રિન્ટ જેવું હોય છે.
- સરખામણી ને ઓળખ
છેલ્લો તબક્કો છે DNA પ્રોફાઈલની સરખામણી. મૃતકના DNA પ્રોફાઈલને સગાં-સંબંધીઓના DNA પ્રોફાઈલ સાથે મેચ કરવામાં આવે છે. જો STR ના પેટર્ન મેચ થાય તો ઓળખ નિશ્ચિત થઈ જાય છે. આ પ્રક્રિયા એટલી ચોક્કસ હોય છે કે ભૂલ થવાની શક્યતા એક અબજમાં એક જેટલી હોય છે !
જો ડેટાબેઝનો ઉપયોગ થતો હોય, જેમ કે FBI નું CODIS (Combined DNA Index System)તો DNA પ્રોફાઈલને અગાઉના રેકોર્ડ્સ સાથે પણ સરખાવી શકાય છે. આ ડેટાબેઝમાં ગુનેગારો, અજાણ્યા અવશેષો કે ગુમ થયેલા લોકોના DNA પ્રોફાઈલ હોય છે, જે ઓળખમાં મદદ કરે છે.
આ બધા વચ્ચે સગાં-સંબંધીઓના DNA નમૂના ઓળખ માટે ખૂબ મહત્ત્વના હોય છે, કારણ કે એ મૃતક સાથે આનુવંશિક સંબંધ ધરાવે છે. માતા-પિતા અને બાળકો 50 ટકા DNA શેર કરે છે, જ્યારે ભાઈ-બહેનો પણ લગભગ 50 ટકા ઉગઅસમાન ધરાવે છે. (સદગત વિજયભાઈ રૂપાણીના દેહની ઓળખ વખતે એમનાં સંતાનો નહીં,પણ એમના એક ભત્રીજાના DNAથી થઈ હતી !)
DNA પ્રોફાઈલ એટલી અલગ હોય છે કે બે અજાણ્યા લોકોના DNA મેચ થવાની શક્યતા એક અબજમાં એક હોય છે. આજે વૈજ્ઞાનિકો એટલા આગળ વધ્યા છે કે એ ‘ટચ ડીએનએ’ એટલે કે, ચામડીના કોષો જે કોઈ વસ્તુ પર ટચ થવાથી રહી જાયનું પણ વિશ્લેષણ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈએ છરી પકડી હોય, તો છરી પરથી
પણ તેને પકડનાર વ્યક્તિના DNA લઇ શકાય છે.!
DNA ટેસ્ટિંગનો ઉપયોગ ફક્ત ઓળખ માટે જ નથી. આજે તે ગુનાઓ ઉકેલવા, મા કે બાપ કોણ છે એ ચકાસવા અને ખોવાયેલા લોકોને શોધવા માટે વપરાય છે. ભવિષ્યમાં, ‘ફોરેન્સિક જેનિટિક જીનોલોજી’ જેવી નવી ટેકનિકથી- DNA વડે વ્યક્તિનો ચહેરો કે દેખાવ પણ નક્કી કરી શકાશે.
DNA ટેસ્ટિંગ બહુ ઉપયોગી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ વિજ્ઞાનની શક્તિ એટલી અદ્ભુત છે કે તે નાનામાં નાના કણમાં પણ મનુષ્યના આખા અસ્તિત્વનો અણસાર આપી શકે છે. ઉગઅ એટલે કુદરતની કમાલ, જાણે કુદરતના સર્જનનું એક લઘુ કાવ્ય!
સદ્ગગત ખરી ઓળખ માટે …
આવી પ્લેન ક્રેશની ભીષણ દુર્ઘટનામાં જ્યારે ક્ષણભરમાં માનવીનું અસ્તિત્વ લગભગ ભૂંસાઈ જાય ત્યારે મૃતકની ખરી ઓળખ માટે DNA ટેસ્ટિંગ જેવી પ્રક્રિયા ઉપકારક નીવડે છે. અમદાવાદ દુર્ઘટનામાં 241 પ્રવાસીઓ સહિત મૃતકોનો આંક 280 સુધી પહોંચી ગયો છે.
આમાંથી 220ની ઓળખ DNA ટેસ્ટિંગ દ્વારા થઈ ગઈ છે. હાલ સુધીમાં કુલ 250ના ઉગઅ સેમ્પલ મળ્યા છે, જેની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. અત્યારે અમદાવાદમાં 22 મહિલા સહિત કુલ 54 DNA વિશેષજ્ઞોની ટીમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે. આ ઉપરાંત, અમદાવાદ, ખેડા, આણંદ અને મહેસાણામાંથી અંદાજિત 140 ડોક્ટર પોસ્ટ મોર્ટમ અને ઉગઅ સેમ્પલ કલેક્શનમાં જોડાયા છે.
આમ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફનો કુલ મળીને આંક છસ્સો સુધી પહોંચ્યો છે. આ બધા સાથે મળીને મૃતકની ખરી ઓળખ માટે અવિરત કામગીરી બજાવી રહી છે અને આ લખાય છે ત્યાં સુધીમાં 205 મૃતદેહ એમનાં સ્વજનોને સોંપી દેવામાં આવ્યા છે.
આપણ વાંચો : કેનવાસ: જરા ઓળખી લો, આપણા આ ખૂનખાર પાડોશી વિલનને…