મિજાજ મસ્તી: પરિકથા જેવા પ્રેમવિવાહ… કવિ-કન્યા ને કારાવાસ

-સંજય છેલ
પત્ની મારિયા સાથે ગોર્કી…
ટાઇટલ્સ: સાચો કવિ એકલો હોય છે. (છેલવાણી)
કવિતાઓમાં પ્રેમ હોય છે. પ્રેમમાં કવિતા હોય છે. લગ્નમાં, પ્રેમ અને કવિતા સાથે ડ્રામા પણ હોય છે. વળી ક્યારેક આ બધું એકસાથે હોય છે. આજકાલ જે રીતે ક્ધયાઓ પતિ લોકોને જે ક્રૂરતાથી હનીમૂન પર જ પતાવી નાખે છે એ જોતાં પ્રેમ સંબંધ અને લગ્ન પરથી ભરોસો ઊઠી જાય!
બીજી બાજુ આપણે ત્યાં ‘સૂરજ બડજાત્યા છાપ’ ફિલ્મી લગ્નકથા કે આપણાં લગ્નોમાં ઉડતા ડ્રોન કેમેરા કે ચારેબાજુ પથરાયેલા બૂફે જમણ કે લાખોના કપડાં-દાગીનાંઓથી અલગ અને અજીબ એવાં અમુક પ્રેમલગ્નો દુનિયામાં થતા હોય છે, જેમ કે…
નાદેઝ્દાએ લગ્નમાં કોઈ સફેદ બ્રાઇડલ ડ્રેસ નહોતો પહેર્યો અને ના તો સામે સજીધજીને આવેલ દુલ્હો હતો. નાદેઝ્દા અને યેગોરે લગ્નમાં એકમેક સાથે વેડિંગ રિંગની આપ લે પણ કરી નહીં. કારણ? કારણ કે બુટીર્કા જેલમાં આ બધાં પર પ્રતિબંધ છે!
વાત એમ છે કે 23 વરસનો યેગોર નામનો યુવાકવિ છેલ્લાં 15 મહિનાથી જેલમાં કેદ છે. સપ્ટેમ્બર 2022માં, યેગોરે જાહેરસભામાં ટીનએજર નાદેઝ્દા માટે લખેલી એક પ્રેમકવિતા સેંકડો લોકો સામે પહેલીવાર વાંચેલી ત્યારે નાદેઝ્દા તો પાણી પાણી થઇ ગઇ હતી!
પછી એ જ રાત્રે પોલીસે ‘લોકોને ભેગા કરી રાજ્યની સુરક્ષા વિરુદ્ધ પ્રવૃત્તિઓ’ કરવાનો આરોપ મૂકી યેગોરની ધરપકડ કરી. પોલીસે યેગોર પર યુક્રેન યુદ્ધ-વિરોધી કવિતાઓ ફેલાવવાનો આરોપ મૂક્યો!
એ પછી નાદેઝ્દા 18 વર્ષની થઈ ત્યારે 23 વર્ષના યેગોરને જેલમાંથી માત્ર એક વાક્યનો ઈ-મેલ મોકલવાની પરવાનગી મળી. યેગોરે નાદેઝ્દાને લખ્યું: ‘તું મારી સાથે લગ્ન કરીશ?’
આ પણ વાંચો…મિજાજ મસ્તી : સમજનેવાલે સમજ ગયે, ના સમજે વો ‘અનાડી’ હૈ…
નાદેઝ્દાએ સામે એટલો જ જવાબ આપ્યો: ‘હા.’ પછી ગયા મહિને જેલમાં રજિસ્ટાર સામે બેઉનાં લગ્ન થયાં. યેગરની ધરપકડ પછી મોસ્કોની જેલમાં એ બંને પહેલી જ વાર રૂબરૂ મળ્યા! અગાઉ નાદેઝ્દાનો યેગોર સાથે કાનૂની સંબંધ નહોતો એટલે બેઉનું મળવું પણ અશક્ય હતું. બેઉ પરણ્યાં ત્યારે યેગોર-નાદેઝ્દા એકમેકને 10 મિનિટ ભેટીને બસ મૂર્તિવત્ ઊભાં હતાં…. ત્યારે કવિ સુરેશ દલાલની પંક્તિ સ્મરે છે: ‘આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ..’
જેલમાં સ્ટાફ સામે થયેલ એ લગ્ન એક અનોખા પ્રેમનું પ્રમાણપત્ર હતું! નાદેઝ્દાએ કહ્યું: ‘યેગોર સાથે મારાં લગ્ન થશે એવી કલ્પના યે નહોતી. કેવી કરૂણ વાત છે કે હું તો ભૂલી યે ગઈ હતી કે- યેગોર, કેવો દેખાય છે, કેટલો ઊંચો છે, એનો અવાજ, એની ખૂશ્બુ કેવી છે….! કોણ જાણે અને હવે ફરી ક્યારે મળાશે’
આજના કઠોર રશિયામાં રાજકીય કેદીઓ ‘ઈન ધ ઝોન’ કે ‘ઉચ્ચ-સુરક્ષાવાળી જેલો’માંથી પ્રિયજનો સાથે સંપર્ક જાળવવા ઝઝૂમી રહ્યા છે ત્યારે નાદેઝ્દા અને યેગોરના પ્રેમલગ્ન, એક પરિકથા સમાન છે.
ઇન્ટરવલ:
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે
પૈસેવાલે દેખતે રહ જાયેંગે!
(ઇંદ્રજીતસિંઘ ‘તુલસી’)
એ જ રશિયામાં આજથી 118 વરસ અગાઉ, ‘મધર’ નોવેલનાં ક્રાંતિકારી લેખક અને રશિયન ક્રાંતિના પ્રણેતા એવા મેક્સિમ ગોર્કીની પણ આવી જ ચોંકાવનારી પ્રેમકથા કે લગ્નકથા છે. 1906માં અમેરિકાનાં ધનપતિઓએ ગોર્કીનું સ્વાગત કરીને એને રાજય-સન્માન આપવાની તૈયારી કરેલી ત્યારે એક શેઠિયાએ બંદરગાહ પર ગોર્કી વિશે કહ્યું: ‘આવકારીએ એક વિરાટ સાહિત્યકારને, જે સ્વદેશની મુક્તિ માટે આપણી મદદ માગવાં પધાર્યા છે.
આ પણ વાંચો…મિજાજ મસ્તી: ‘પિતૃદેવો ભવ’ ન કહેલી કથાનો હીરો
આપણે સૌ અમેરિકનો તો સ્વાધિનતાનાં સંતાનો છીએ. માનવીનાં મુક્તિ-યુદ્ધમાં એને તન-મન-ધનથી સહકાર આપવો જ જોઇએ.’ ક્રૂર રાજા ઝારનાં ગરીબો પરના દમનથી રશિયાને ઉગારવા ગોર્કી, ડોનેશન અને રાજકિય મદદ માગવા ત્યારે જ અમેરિકાને કિનારે ઉતર્યો હતો…..પણ એટલામાં જ ભીડમાંથી ગોર્કી વિરુદ્ધ અવાજો ઉઠવા માંડ્યા: ‘અરે, આવાનું સ્વાગત ના હોય! એણે લગ્ન સંસ્થાની પવિત્રતા પર લાંછન લગાડ્યું છે. ગોર્કી સાથે જે સ્ત્રી આવી છે તે ધાર્મિક ક્રિયા મુજબ એને પરણેલી નથી, એની રખાત છે! ગોર્કીએ અધર્મ આચર્યો છે, આવા વ્યભિચારીનું સ્વાગત ના હોય!’
ગોર્કીએ કહ્યું,‘અરે, ના ના, એ મારી રખાત નથી, મારી પત્ની છે. ઓફકોર્સ, અમે ધાર્મિક વિધિથી લગ્ન નથી કર્યા, કારણ કે હું ક્રાંતિવાદી પાર્ટીનો સભ્ય છું. અમે કોઇ ધર્મમાં નથી માનતા. અમારું લગ્ન કોઇ દંભી ચીલાચાલુ લગ્ન નથી. એ તો બે દિલ વચ્ચેનું મુક્ત-પ્રેમલગ્ન છે. બે આત્મા વચ્ચેનું કરારનામું છે!’…પણ ત્યારના દકિયાનુસી અમેરિકન સમાજમાં દંભી શિષ્ટાચાર જાગી ઉઠયો. ગોર્કી સામે બહિષ્કારનો વંટોળ ફૂંકાયો, અખબારોમાં ગોર્કી પર કાદવ ઉછાળવામાં આવ્યો.
સામાન્ય પ્રજા તો ઠીક, પણ અમેરિકાના વિદ્વાનોએ, સાહિત્યકારોએ પણ ગોર્કીથી પોતાનાં મોં સંતાડી લીધાં. ધનિકો અને ચર્ચનાં આશ્રિત જેવા અમેરિકન બૌદ્ધિકોએ ગોર્કીની સભાઓ રદ કરી. પછી તો ‘સંસ્કાર’ અને ‘નીતિ’ને નામે ગોર્કી અને એની પત્ની માટે અખબારોએ માનહાની કરતી મજાકભરી વાતો લખી. એક હોટેલમાંથી બીજીમાં હડધૂત થતો ગોર્કી અહીં તહીં ભટકતો રહ્યો ને આખરે થાકી હારીને પોતાનું મિશન પડતું મૂકીને પાછો જતો રહ્યો.
જોકે, અમેરિકામાં ગોર્કીની સામેનાં ‘નીતિહીનતા’ના આ દેશવ્યાપી પ્રચાર પાછળ ખરી હકીકત એ હતી કે ગોર્કીનો ગુનો સામાજિક નહીં પણ પોલિટિકલ હતો. ગોર્કી કોલસાની ખાણનાં માલિકોને છંછેડી બેઠો હતો. રશિયામાં ખાણ-માલિકો અને ખાણીયા મજૂરોની વચ્ચે સંઘર્ષ થયેલો, જેમાં ખાણીયાઓના બે યુનિયન લીડરો સામે કેસ ચાલતો હતો. એ બે ગરીબ લીડર પર ગોર્કીએ સહાનુભૂતિ આપતો એક તાર કે ટેલિગ્રામ મોકલ્યો હતો. બસ! ગોર્કીનો એ જ અક્ષમ્ય ગુનો હતો કે એણે ગરીબોને સાથ કેમ આપ્યો? ક્રાંતિકારી ગોર્કીને આમ બદનામ કર્યા સિવાય ખતમ કરવો સંભવ જ ન હતો! રશિયા કે અમેરિકા કે કોઇ પણ દેશ હોય પૈસાવાળાંઓમાં કમાલની એકતા હોય છે. ધંધો જ એમનો ધર્મ હોય છે.
કવિ, લેખક કે વિદ્રોહીઓનાં પ્રેમસંબંધો ઘણીવાર ક્રાંતિની શૂળીએ ચઢી જતા હોય છે.
એંડ-ટાઇટલ્સ:
આદમ: લગ્નનો વિચાર આવે છે
ઈવ: પાછો મોકલી દે.
આ પણ વાંચો…મિજાજ મસ્તી : વાત વાતમાં વાતો… અમે રે ટોકેટિવ ઇંડિયન!