Top Newsનેશનલ

આંધ્ર ઓડીશા બોર્ડર પર સુરક્ષા દળો અને નક્સલી વચ્ચે અથડામણ, 3 મહિલા સહિત 7 માઓવાદીઓ ઠાર

આંધ્ર પ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લાના મારેડુમિલ્લી વિસ્તારમાં બુધવારે સવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભારે અથડામણમાં સાત નક્સલીઓ માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ઇન્ટેલિજન્સ એડીજી મહેશ ચંદ્ર લડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ ઓપરેશન મંગળવારથી શરૂ કરવામાં આવ્યું હતું અને સતત ચાલી રહેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં સાત નક્સલીઓ માર્યા ગયાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરક્ષા દળો માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તારમાં માઓવાદી ગતિવિધિઓ વધી રહી હતી.

આ મામલે એડીજી લડ્ડાના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા સાત નક્સલીઓમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તમામ નક્સલીઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, પરંતુ ઘટનાસ્થળેથી સુરક્ષા દળોને મહત્વપૂર્ણ દસ્તાવેજો, હથિયારો અને આધુનિક તકનીકી ઉપકરણોનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ ઉપકરણો નક્સલીઓ દ્વારા તેમના આંતરિક સંચાર અને ટેકનિકલ નેટવર્કને મજબૂત કરવા માટે ઉપયોગમાં લેવાતા હતા.

સુરક્ષા દળોએ શરૂઆતની ઓળખ પ્રક્રિયામાં એક મુખ્ય નક્સલી કૅડરની પુષ્ટિ કરી છે. તેનું નામ મેતુરી જોગારાવ ઉર્ફે શંકર હોવાનું બહાર આવ્યું છે, જે શ્રીકાકુલમનો રહેવાસી હતો. પોલીસના મતે, શંકર આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB) પર એરિયા કમિટી મેમ્બર (ACM) તરીકે સક્રિય હતો અને નક્સલી સંગઠનમાં તે તકનીકી બાબતોનો નિષ્ણાત માનવામાં આવતો હતો. શંકર હથિયારોનું નિર્માણ, કોમ્યુનિકેશન સિસ્ટમ અને સમગ્ર ટેકનિકલ નેટવર્કને ઓપરેટ કરવામાં મહારત ધરાવતો હતો.

આ અથડામણ એવા સમયે થઈ છે જ્યારે છેલ્લા કેટલાક મહિનાઓમાં આંધ્ર-ઓડિશા સરહદી વિસ્તારમાં માઓવાદી ગતિવિધિઓ ફરી વધી હોવાના સંકેતો મળ્યા હતા. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે નક્સલીઓ જંગલોમાં નવા ઠેકાણાઓ બનાવી રહ્યા છે અને સ્થાનિક યુવાનોને તેમના કૅડરમાં સામેલ કરીને સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઇનપુટ્સના આધારે જ સુરક્ષા દળોએ મંગળવારે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે દરમિયાન આ મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો દ્વારા હવે વિસ્તારમાં વધુ તપાસ ચાલી રહી છે.

આપણ વાંચો:  PM મોદીની તુલના નરકાસુર સાથે કરાતા તમિલનાડુમાં રાજકીય હંગામો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button