તરોતાઝા

ટાઈફૉઈડ શું છે…?

આરોગ્ય પ્લસઃ સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

આપણે જાણીએ છીએ કે તાવ એ એક સર્વત્ર વ્યાપક વ્યાધિ છે. તાવ એ એક એવી કુદરતી ક્રિયા પ્રક્રિયા છે, જેના દ્વારા માનવ શરીરમાં એક યા બીજી રીતે જમા થયેલા ઝેરી તત્ત્વો (Toxic) બહાર આવે છે. આ પ્રક્રિયા દરમિયાન તાવ આવે એ સ્વાભાવિક છે.

આપણે આ અગાઉ શરદી-ક્ફ-મલેરિયાના તાવ વિશે વિગતે જાણી ગયા. હવે આ વખતે વાત કરીએ ટાઈફૉઈડના તાવ વિશે…

*શું હોય છે ટાઈફૉઈડનાં લક્ષણ?

*શરૂઆતમાં શરીર તૂટે, માથું દુ:ખે, કબજિયાત અને બેચેની જણાય. આ તાવમાં વાયુ અને કફની પ્રધાનતા સાથે પિત્ત પણ હોય છે.

*ઠંડીને લઈને ધ્રૂજારી, ઝાડા, ઊલટી, માથાનો અસહ્ય દુ:ખાવો વર્તાય.

*પેટ ઉપર દબાવવાથી ત્યાં દુ:ખાવો થાય અને વિશેષ કરીને જમણી બાજુ પેટના ભાગમાં દર્દ અધિક થાય.

*ભૂખ બિલકુલ મરી જાય, અનિદ્રામાં વધારો અને તેથી ચુસ્તી વર્તાય.

*આ તાવ લાંબો સમય ચાલી શકે છે.

ટાઈફૉઈડ થવાનાં કારણ…

*આ તાવ સાલ્મોનેલા ટાઈફી નામના બૅકટેરિયાથી થાય છે.

*આવા બૅકટેરિયાયુક્ત દૂષિત પાણી, દૂધ કે અન્ય ખોરાક લેવાથી આ તાવ આવી શકે છે.

ટાઈફૉઈડમાં આહાર

*આ તાવની શરૂઆતમાં 1થી 2 દિવસ માત્ર ગરમ પાણી ઉપર રહી ઉપવાસ કરવા શ્રેષ્ઠ છે.

*ત્યારબાદ ધીરે-ધીરે હલકો અને પ્રવાહી ખોરાક લેવો. જેથી આંતરડાને આરામ મળે. શક્ય હોય તેટલા પ્રવાહી વધુ લેવા.

*ફ્રૂટજ્યૂસ, મગનું ઓસામણ, સૂપ, નાળિયેરનું પાણી વગેરે લઈ શકાય.

*આ રોગમાં ઝાડા કે મરડો થવાથી વધુ સંભાવના હોવાથી વધારે રેસાવાળો તથા મસાલેદાર આહાર ન લેવો.

  • દહીં અને છાશ લઈ શકાય, પરંતુ દૂધનો ત્યાગ રાખવો.

ટાઈફૉઈડના ઉપચારો

  1. માથા પર વારંવાર ઠંડા પાણીના પોતા મૂકવા.
  2. જરૂરિયાત મુજબ વારેવારે ફળોનો રસ પીવો.
  3. 10 ગ્રામ તુલસીનો રસ અને 2 ગ્રામ મરીના ચૂર્ણને 2 ચમચી મધમાં મેળવીને લેવું.
  4. 500 મિ.લી. પાણીમાં 8થી 9 લવિંગ ઉમેરીને પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળવું. પછી ગાળીને દિવસ દરમ્યાન તે પાણી પીવું.
  5. દિવસમાં 2થી 3 મોસંબીનો રસ લેવો કે સફરજન ખાવું.
  6. 1 કપ છાશમાં 3 ચમચી કોથમીરનો રસ ઉમેરી દિવસમાં 2થી 3 વાર પીવો.
  7. હૂંફાળા પાણીમાં અડધી ચમચી જીરૂનો પાવડર અને 1 ચમચી મધ ઉમેરીને પીવું.
  8. જો દર્દીને કબજિયાત રહેતો હોય તો તેને રોજ 2-4 અંજીર ખાવા. રાત્રે 1 ચમચી ઈસબગુલ પાણીમાં લેવું.

સાવધાની

*દર્દીએ ખાસ સંપૂર્ણ આરામ કરવો. ભૂલેય કોઈ પણ શારીરિક કે માનસિક શ્રમ કરવો નહીં.

*દર્દી વધુને વધુ આનંદમાં રહે તેવું વાતાવરણ રાખવું.

*દર્દીએ સંડાસ ગયા પછી વ્યવસ્થિત રીતે હાથ-પગ ધોવા. નહિતર આ રોગમાં દર્દીનો ચેપ અન્ય લોકોમાં ફેલાવાની ખૂબ જ સંભાવના હોય છે.

*દર્દીની પથારી, ચાદર, કપડાં તથા તેની દરેક વસ્તુઓ યોગ્ય રીતે સાફ કરી, જંતુરહિત કરી, અલગ રાખવી.

*ઘરના સભ્યોએ ખાદ્યપદાર્થો સંપૂર્ણ જંતુરહિત રહે તેની ખાસ સાવધાની રાખવી.

*દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિને તે દર્દીનો ચેપ ન લાગે તેની ખાસ સાવધાની રાખવી. જેમ કે, દર્દીનો સ્પર્શ કર્યા બાદ તુરંત જ હાથ વ્યવસ્થિત ધોઈ નાખવા.

*રસોઈ કરનાર વ્યક્તિને ટાઈફૉઈડ થયો હોય તો સંપૂર્ણ સારવાર થયા બાદ ચિકિત્સકની સલાહ બાદ જ રસોડામાં જવું. જેથી અન્ય લોકોને આહાર દ્વારા તેનો ચેપ ન લાગે.

આપણ વાંચો:  બોરોન એક સુપરહીરો એલીમેન્ટ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button