તરોતાઝા

ખૂટલ

ટૂંકી વાર્તા – અતુલકુમાર વ્યાસ

“હાળા વહવાયા, મારી ઠેકડી કરેશ?” માનસિંહે પીઠ પર તેલ માલીશ કરતાં કરશનિયાને કહ્યું: “હજી કાલ્ય સવાર સુધી અમારાથી ફેં ફાટતી ઈ ભૂલી જયો.. તારી જાતના ઘસિયા-?”

“બાપુ, અમે તો અટાણે ય તમારા ચાકર છૈયે ને પેલા ય હતાં.” કરશને બગડતી બાજી સુધારી લેતાં કહ્યું: “આ તો રાત દાડો તમારી ભેળા રહીએ એટલે એકાદવાર તમારુંય લટકું લેવાની સૂવાણ થાયને..?”

“હમ્મ..” માનસિંહે હોંકારો ભાણ્યો..ને એ મનોમન વિચારતો થયો: હાળા હલકીના વહવાયાવ, જેમની માથું ઊંચકીને ઉપર જોવાની ત્રેવડ થાતી નોતી ઈ મારા હાહરીના મશ્કરિયું કરતાં થૈ ગ્યા છે..!

કરશન બોલ્યો: “મારી વાત કાન સોંસરવી કાઢી નાખવા જેવી નથી હોં બાપુ, ઈ રતની તમારા અડખાંમાં દીપે એવી છે,” અને એકાદ ક્ષણ પછી દબાયેલાં અવાજે બોલ્યો: “ને ઈ તો તમારી રખાત થવામાં ય ગરવ લેખે એવું વરણ…!”

માનસિંહ વિચાતો રહ્યો: હાળી છે તો એવી કરાફાતનો કટકો અને તેજીલો તોખાર! નખશીખ નક્કોર અને સંઘેડા ઉતાર કાયા. રૂપાળી એવી કે ડીલે આંગળી દબાય તોય એની ચામડીએ લાલ ચકામું ઊપડી આવે. ભગવાને એને ઘડીને ધોળા બફલા જેવા રંગના કુંડામાં ઝબોળીને ધરતી માથે મોકલી હતી. એની કાયા એટલે ગદરીલી માટીમાંથી તાજી ઘડેલી ચમચમતી પૂતળી. જ જોઈલ્યો! જન્મારાના પાંત્રીસ પાંત્રીસ વરસ વહ્યા ગયા પણ આવું રૂપાળું બૈરુ ભાળ્યું નથી! પાંત્રીસ વરસમાં ઓછામાં ઓછી વીસેકને તો માનસિંહે એના ઢોલિયે પછાડી હતી. પણ આ રતની જેવું એકેયનું રૂપ નહીં! ગામને પાદર એમના વરણના નોખા કૂવેથી પાણીની હેલ ભરીને આવતી ત્યારે રતનીના માથે છલકાતા હાંડાની છાલક એના આરસ મઢ્યો હોય એવા સંગેમરમરી બદન પર પ્રસરતી ત્યારે એમ લાગતું કે એની ધગધગતી જવાની આ પાણીની છાલકે છાલકે ઓગળી ઓગળીને એના શરીર પરથી કમર સુધી સરી રહી છે.

માનસિંહ યાદ કરતો રહ્યો: રતની દસમી ભણેલી, એનો ભાઈ જીતો નિશાળમાં માસ્તરું કરે. એ હલકું વરણ હવે રહ્યું નથી, પહેલાં તો માનસિંહ સરપંચ હતો, જૂના જમીનદાર પણ ખરાં, એટલે એ જ્યારે નિશાળમાં જતો ત્યારે માસ્તરોય છોકરાઓની સાથે ઊભા થઈ જતાં, પછી સરપંચની ખુરશી તો મહિલા અનામતમાં ખોવાઈ ને આ નિશાળમાં આ જીતો માસ્તર થઈને આવ્યો એટલે એ દમામ હવે રહ્યો ન હતો. જીતો માસ્તર એ નિશાળમાં પંદરમી ઑગસ્ટે ભાષણ કરતો કે માણસ એના સંસ્કારથી ઊંચો અને નીચો હોય છે, પણ જનમની જાતીની નહીં…! વાત તો સાચી હતી. નહિતર આ કનુ શાસ્ત્રીનો કટલો ક્યાં બામણ ના ખોરડે નહોતો જન્મ્યો? પણ એના કરતાં તો આ જીતાના સંસ્કાર ક્યાંય ચઢિયાતા છે. પહેલાં કનુ શાસ્ત્રી જીવતા ત્યાં સુધી દરરોજ સવારે સૂરજ ઊગતા પહેલાં જ મહાદેવે પૂજા કરવા જતાં. એ મરી પરવાર્યા પછી તો દારૂની હેરાફેરીમાં અનેક વાર પકડાયેલો એમનો દીકરો કટલો ઉર્ફે નીલેશ તો મોડી રાત્રે દારૂ પીને આવતો ને બપોરે બાર વાગ્યો જાગતો. એ શું પૂજા કરે ધૂળ? શાસ્ત્રીજીના સંસ્કાર એનામાં ક્યાં ઊતર્યા હતાં? કેટલાય દિવસ સુધી શિવાલય અપૂજ રહ્યું પછી આ જીતા માસ્તરે જ મંદિરનું ટ્રસ્ટ બનાવી એક પગારદાર પૂજારી નીમ્યો હતો.

એ જીતો માસ્તર એટલે આ રતનીનો ભાઈ. જીતો નાનો હતો ત્યારે ગામના છોકરાઓ એને ભેગા રમાડતાય નહીં. ગામના છેડે વાસમાં રહીને સુકા રોટલા ખાઈ મોટો થયેલો પણ આ જીતામાં તાકાત ઘણી હતી. નાનપણથી જ કસરત કરતો, તાલુકે ચાલતા અખાડામાં કુસ્તી શીખ્યો હતો. એ જીતો હવે વતનની જ શાળામાં શિક્ષક થયો હતો. આ રતની તો એનાથી સાત આઠ વરસ નાની! પણ માનસિંહના મનમાં વસી ગયેલી. માનસિંહે કહ્યું: “કરશનિયા, ઈ રતની માળી હામી મળે તાણ મીઠું મલકાતી જાય છે હોં? એવું નો થાય કે ઈનું રાજી ખુશીથી આપણી હારે જામી જાય?”

“આપણી હારે નહીં બાપુ?” કરશનિયો મૂછમાં હસતા બોલ્યો: “તમારી હારે જામી જાય!”
“મૂર્ખા, મારી હારે જ હોય ને તને શું માન્યો છે?” માનસિંહે કરશનિયાને ગાળ દઈને કહ્યું: “ગોલકી ના વહવાયાવ. ભારે ચઢી ગ્યા છો હોં… પણ, ઈ રતનીનું ગોઠવાઈ જાય તો મજો પડી જાય!”

“ઈ તો હું પત્તો લગાડી આવું.” કરશન બોલ્યો: “મારે હાથવગો એક મારગ છે. પણ”
“શું પણ-” માનસિંહે પૂછયું: “ભસને આગળ.”
“તમે ઈ રતનીને…” કરશને ડરતાં ડરતાં પૂછયું: “ઈને પૈણીને લઈ આવો એવું થાય?”
“બુદ્ધિના ભંઠ્ઠ-” માનસિંહે કહ્યું: “મારી પરણેતર મરી પરવારી એટલે હું ગમે ઈને પરણી લાવું? ને ઈય પાછી એ રતનીને? અમે ક્યાં ને ઈ ક્યાં. હાળા અકલમઠ્ઠા.”

“હા ઈ તો ખરું જ ને બાપુ તમારે ઈની હારે લગન થોડાં જ કરાય.” કરશને માનસિંહની પીઠ પર તેલા છાંટીને પસરાવતાં કહ્યું: “પણ તમે તમારે હું કઈ દઉં ઈ સાચું માનો કે ઈ રતની હવે તમારે હાથ-વેંતમાં જ છે, ઈ તો તમારા ઉપર ઓળઘોળ થઈ ગઈ છે.”
“અલ્યા ફરીથી મારી ઠેકડી કરેશ?” માનસિંહે કહ્યું: “હવે તને એક અવળાં હાથની ધરીશ હોં.”
“હાચું કઉં છઉ બાપુ.” કરશને બેય હથેળી ફેલાવી પીઠ પર ઘસતા કહ્યું: “મારા સમ બસ!”

“ઈ તો તને લાગે.” માનસિંહ બોલ્યો: “ઈ છોડી અઢાર વીસ વરસની ને હું પાંત્રસ હરહનો થયો એણે વળી મારામાં શું ભાળ્યું હોય તે મારા ઉપર મોહી પડે…?”
“કહુ બાપુ?” કરશનનો હાથ પીઠમાં થંભી ગયો. “તે બક્યને નવરીના…” માનસિંહે કહ્યું.
એક તો તમે પાંત્રીસના લાગતા નથી. કરશન બોલ્યો: “કોઈ પચ્ચીસ માથે એકેય વરસ આંકે તો કોરી મૂછ મુંડાવી નાખું…”
“તારે મૂછ મૂંડાવવા જેવું છે જ ક્યાં. ઘસિયા-?” માનસિંહે કહ્યું: “આગળ બોલ.”

“ને બીજું એ કે તમે દરરોજ ઉઘાડી ડેલીની સામે બેસી આખા ડીલે માલીશ કરાવો છો”, કરશન બોલ્યો: “રતની સવારે આંયથી એના કૂવે પાણી ભરવા જાય ત્યારે તમને ટીકી ટીકીને જોયા કરે છે…”
“શું વાત કરેશ?” માનસિંહે ખભેથી ડોક ફેરવીને પૂછ્યું.

“તમારી આ ઢાલવા પહોળી છાતી અને સાડા ત્રણ મળની કાયામાં જે કૌવત ભર્યા છે ઈ જોઈને ભલભલી જવાનડીઓના મનમાં વસી જાવ એમ છો, બાપુ.” કરશને તેલનો એક લસરકો લઈને માનસિંહની ખુલ્લી છાતીએ બેય હાથ પસાર્યા પછી બોલ્યો: “આ મર્દાના છાતીમાં તગતગતી તમારી કાળી ભમ્મર જવાનીની જ એ બાઈને ભૂખ છે… ઈ જાણી લ્યો…”

“હેં?!” કહેતા તો માનસિંહ જાણે ખોવાઈ ગયો. એકાદ બે પળ તો રતનીની માખણના પીંડા જેવી કાચી કાકડીસમ કૂંણી કમનીય કાયાને માનસિંહ એના હાથમાં મમળાવતો હોય એમ ક્ષુબ્ધ થઈ ગયો પણ કરશને પીઠમાં તેલવાળા હાથની જોરદાર થાપટ મારી ને માનસિંહ ઝબકી ગયો. પીઠમાં ચચરાટી થઈ આવી એટલે બોલી ઉઠ્યો: “અરે કરશનિયા, ધીમો પડ્ય, તારી માના ધણી. મારું ચામડું ઊતરડી નાખીશ. તું તો.” એકાદ પળ રોકાઈને માનસિંહે કહ્યું: “આ કનુ શાસ્ત્રીનો કટલો કેમ આવતો નથી? ક્યાંય ગામતરે જતો રહ્યો છે કે શું? ક્યાં ગૂમ થઈ ગયો છે…?”

“દારૂમાં બીજે ક્યાં?” કરશન બોલ્યો: “કનુ શાસ્ત્રી બિચારો દીકરા-દીકરીની હાય હાય કરતો મર્યો, પછી એનો આ ઉંધાઢળ વધારે ઢીંચવા માંડ્યો. કોઈ રોકનારું નથી રહ્યું ને?”

“કોઈ કહે કે બ્રાહ્મણ છે? બ્રહ્મરાક્ષસ છે હાળો.” માનસિંહે ચત્તા થતાં કહ્યું: “આંયથી જા ત્યારે એના ઘેર થાતો જાજે અને કહેજે કે મને મળે. કેદું નો આવ્યો નથી.”
“હમણાં આવશેય નહીં.” કરશને કહ્યું: “ઈ શોકમાં છે!”
“કાં?” માનસિંહે પૂછયું: “કોઈ મરી ગ્યું છે?”

“એની બેન નિરુ ભાડિયા કૂવે પડીને પાછી થઈ છે.” કરશને કહ્યું પણ માનસિંહે તરત કહ્યું: “લ્યા, અફિણિયા, તું દન દશા ભૂલી ગ્યો લાગેશ. નિરુને મર્યે આજકાલ બે મહિના થાશે.”
“હા-” કરશને કહ્યું: “પણ નિરુ મરી પછી કટલો બહાર જ ઓછો નીકળે છે.”
“ભલે પણ તું એને કહેજે કે માનસિંહે ડેલીએ પીવા બોલાવ્યો છે, એટલે આવશે.” માનસિંહે કહ્યું પછી મનોમન સ્વગતની જેમ બોલ્યો: “બામણ પેહલાં તો મફતનું ઢિંચવા રોજ આવતો-”
કરશને હાથ ધોઈને માનસિંહને નહાવા માટે પાણી કાઢી આપ્યું પછી નીકળી ગયો.

કરશન હતો ત્યાં સુધી હવેલીમાં બોલાશ હતો, પછી ચુપ્પી ફરી વળી. ચાર ઓરડા ઉતાર ઓંસરીના વિશાળ હવેલી જેવા મકાનમાં નરી એકલતા હતી. જેને પરણીને માનસિંહ આ ઘરમાં લાવ્યો. એ કુસુમ સાત જ વરસમાં બળી મરી, નિસંતાન હતી, આ છેલ્લા ઓરડામાં જાતે જ ઘાંસલેટ છાંટીને બળી મરી! કોઈ સામે આવીને કહેતું નહીં પણ છાના ખૂણે લોકો વાતો કરતાં કે માનસિંહે જ એને જીવતી સળગાવી મૂકી હતી. એ સાચું નહોતું. એ તો માનસિંહ અને કુસુમ બેય જાણતા હતાં પણ માનસિંહની વગોવણી ખૂબ થઈ ગઈ! કુસુમ ના મર્યા પછી એકાદ વરસે માનસિંહે ફરી પરણવા જાવા માર્યા પણ એની વગોવાઈ ગયેલી આબરૂએ એનું ફરી ઠેકાણે પડવા દીધું નહીં. પછી મનમાં શયતાન જાગ્યો હતો.
જીવતરમાં જોઈતું પામવા માટે જાવા મારી પાપ કરવા સિવાય શું બાકી હતું? પૂર્વજોએ ગામમાં કમાયેલી આબરૂ કદાચ માનસિંહના નામ સુધી આવીને અટકી ગઈ હતી. એ બાબતથી એ જરાય અજાણ ન હતો. એની પેઢીઓમાં ગામના ધણ વાળવા કે લૂંટાતી લાજ બચાવવા માટે બલિદાનો આપનારાના નામ પાદરના પાળિયામાં કોતરાયાં હતાં, પણ એ બધુંય માનસિંહ સુધી આવીને અટકી ગયું હતું. એનો એનેય રંજ હતો, પણ હવે એ બદલાઈ શકે એમ ન હતો.

માનસિંહ નાહીને ઓંસરીમાં આવ્યો ત્યારે ઓંસરીના હિંચકે કટલો બેઠો હતો. એને જોતા જ માનસિંહ બોલ્યો: “અલ્યા, ભૂદેવ ક્યાં ખોવાઈ ગ્યો છે?”

કટલો જવાબ આપવાના બદલે માત્ર પરાણે હસ્યો.
થોડીકવાર પછી માનસિંહ ઓરડામાંથી બંધ ગળાનું કચકચતું રજવાડી પહેરી બહાર નીકળ્યો ત્યારે એના હાથમાં એક બોટલ અને બે ગ્લાસ હતાં. કટલાની સામે બેસતા જ માનસિંહે બોટલ ખોલી પણ કટલો બોલ્યો: “માનસિંહ, અટાણે પીવું નથી.”
“કાં?”
“સવારના પહોરમાં શું પીવે?” કટલાએ ફિક્કા ચહેરે કહ્યું: “હવે તો સાંજેય પીવાનું છોડી દીધું.”

“તું તો ત્યાગી માત્મા થઈ ગ્યો. બામણ-” માનસિંહે એક ગ્લાસમાં પેગ ભરતાં કહ્યું: “ક્યાં ગયો હતો. કેમ દેખાતો નહોતો? આટલા દન સુધી?”
“ઘરમાં પુરાઈ રહેતો હતો.” કટલો બોલ્યો: “ખરું કહું તો ક્યાંય ગમતું નથી.” કટલો રડમસ થઈ ગયો: “નિરુ કૂવે પડી ત્યારથી જીવને નિરાંત થતી નથી.”

“ઈ માં તારો જ વાંક છે કટલા-” માનસિંહે કહ્યું: “કનુ મારાજ દેવ થઈ ગ્યા પછી તું ઢિંચવામાં જ રિયો, એને તારે ટેમસર પૈણાવી દેવી જોઈએ ને?” માનસિંહે ઘૂંટ ભરી ગ્લાસ નીચે મૂકતા કહ્યું: “એને બિચારીને તારામાં વિસવાહ નહીં કે આ દારૂડિયો ભૈ પૈણાવશે નહીં. એટકે કૂવે પડી.”
“પણ માનભા, એને હું પૈણાવત. સારું ઠેકાણું જોઈને પૈણાવત…” કટલો બોલ્યો: “પણ નિરુ મરી ગઈ ઈ ભૂલાતું નથી મારાથી. મારો બાપ મને સરગમાં પૂછશે તો શું જવાબ આપીશ કે એણે સોંપી ઈ જવાબદારી નિભાવવામાં હું દારૂડિયો નકામો ઠર્યો…!” કટલો રડી પડ્યો.

“ભગવાનની મરજી હોય ઈમ થાય. કટલા-” માનસિંહે એની સામે ગ્લાસ ધરીને કહ્યું: “લે ગળું લીલું કરી લે. વધારે પીવાની તાણ્ય નથી કરતો બસ.”

-ને કટલો આંખો મીંચીને કડવી દવાની જેમ ચૂપચાપ ગ્લાસ ગટગટાવી ગયો. અરધી કલાક બેઠો, પણ સાવ મૂંગો મંતર બનીને, પછી ચૂપચાપ ડેલીએથી ઊઠીને નીકળી ગયો. માનસિંહ ચારેક પેગ પી ચૂક્યો હતો. આંખો ઘેરાવા માંડી હતી. આખીય હવેલી ગોળાકાર ફરતી હતી. આસપાસ સઘળું ડોલતું હતું. ખાલી પેટે નશો વધતો જતો હતો. એ ઓરડામાં આવીને ઊંઘી ગયો. છેક સાંજ સુધી એનો નશો ઓસર્યો ન હતો જ્યારે સાંજે કરશન આવ્યો ત્યારે માનસિંહ હજી જાગીને જ બેઠો હતો.

કરશને પૂછયું: “બહુ પીવાઈ ગયું બાપુ?”
“હા-થોડું વધારે થઈ ગ્યું.” માનસિંહ બોલ્યો: “માથું ભમે છે…”
“બહુ રાજી થઈ જાશો ઈ ખબર લાગ્યો છઉં બાપુ-” કરશને કહ્યું: “આજે ન્યાલ થઈ ગ્યા માનો.”
“શું?” બોલતા બોલતા માનસિંહના સ્મૃતિપટ પર રતની દોડી આવીને અલોપ થઈ ગઈ. કરશન બોલ્યો: “બાપુ રતની માની ગઈ છે, ઈ તમારી જૂની હવેલીએ આવવા રાજી છે, પણ આંય આ બંગલે નહીં.”
“કાં?” માનસિંહ બોલ્યો: “આંય શું કામ નહીં?”

“બાપુ એ કહેતી હતી કે જૂની હવેલી ગામ બહાર છે, ને તમારું આ નવું ઘર ગામ વચ્ચાળે છે, આંય અંદર આવતી જાતી કોઈ ભાળી જાય તો મરો થઈ જાય.” કરશને કહ્યું: “બાપુ આપણે ઈનુંય વિચારવું પડે ને? કાચી કુંવારી છોકરી છે. વગોવાઈ જાય તો એની ન્યાત માંય એનો કોઈ હાથ નો ઝાલે!”

“તને કૂણે કીધું કે રતની આવશે?” માનસિંહે શંકાથી કરશનને પૂછયું. કરશને કહ્યું: “મેં તમને નહોતું કીધું કે મારે હાથવગો મારગ છે. ઈ મારગે કામ પત્યું. આજ રાત્યે તમે ને રતની હૈન જલસા…”
“ને જીતાને ખબર પડશે. તો?” માનસિંહે કહ્યું: “હું કાંઈ બીતો નથી એનાથી પણ-”

“જીતો ગામમાં નથી, એટલે જ રતની તૈયાર થઈ છે.” કરશને કહ્યું: “ઈ તો ગાંધીનગર માસ્તરોની મીટિંગમાં ગ્યો છે. કાલ્ય બપોર ઊતર્યે આવશે.”
“તંયે તો કરશનિયા આંકડે મધ અને ઈ યે પાછું માખિયું વન્યાનું…” માનસિંહે કરશનની સામે આંખ મારતા કહ્યું: “કાલની સવારે આ બિલ્લી મારીને આવું પછી તો તનેય રાજી કરીશ.”

“બાપુ રતનીએય પૈસા ઠેરાવ્યા છે હોં…” કરશને કહ્યું: “અને એ પણ રાત પહેલાં.”
“કેટલો?” માનસિંહે પૂછયું.
“આખી રાત રોકાણ કરશે.” કરશને કહ્યું: “ઈણે તો એક લાખ કીધાં છે.”
“એટલાં બધાં હોય બળદિયા.” માનસિંહ અકળાયો. પણ કરશન ઝીણી આંખે બોલ્યો: “બાપુ ઈ કાચી કુંવારી છોકરી છે, ઈ તો વૈચાર કરો. ન્યાલ થઈ જાશો બાપુ. તમારે ક્યાં રૂપિયાની તાણ છે?”
“હા, કરશનિયા-” માનસિંહ નશામાં હોય એમ બોલ્યો: “ઈ રૂપને માણવા હારું તો દોઢ લાખેય મોંઘા નહીં પડે. લઈ જા તું તારે લાખ. પણ આજની રાત ઈ છટકવી ના જોઈએ.”

“નહી છટકે બાપુ.” કહી કરશન માનસિંહે આપેલાં લાખ રૂપિયા લઈને ગયો. રાત્રે નવ વાગ્યે જૂની હવેલીએ જવાનું હતું. આ કરશન ત્યાં વ્યવસ્થા કરવા જૂની હવેલીની ચાવી લઈ ગયો હતો!

રાતના નવ વાગ્યા સુધી માનસિંહ ઘડિયાળની આસપાસ ફરતો રહ્યો. ગામડા ગામમાં સાવ સોપો પડી ગયો હતો. અરધી રાત જેવું સૂનકાર હતું. ત્યારે માનસિંહ કાળી કામળી ઓઢીને જૂની હવેલીએ જવા નીકળ્યો. એક સાથે બે ફર્લાંગ ભરતો જૂની હવેલીએ પહોંચ્યો ત્યારે હવેલીમાં ઉપરના કમરામાં લાઈટ ચાલુ હતી. કરશન ઓસરીના જેરે જ બેઠો હતો. એ ધીમા અવાજે બોલ્યો: “બહુ મોડા બાપુ, ઓલી રતની તો ક્યારની આવી ગઈ છે. જાવ જલદી.”

“તું આંય પહાયતો થૈને ખોડાઈ રે જે. પાછો.” માનસિંહે કહ્યું: “કોઈ આવે તો સંજ્ઞા કરજે.”
“તમે ચિંતા વિના ફતેહ કરો.” કરશને કહ્યું: “જાવ મોજ કરો બાપુ.”
માનસિંહ એક સાથે બે પગથિયા ચઢતો જૂની હવેલીના ત્રીજા માળે પહોંચ્યો. ત્યાં જ કરશન ને એક રાડ સંભળાઈ. એ રાડ માનસિંહની હતી.
“હરામખોર!” એ શબ્દો સાથે માનસિંહના ગાલ પર જોરથી વિંઝાયેલી એક થપ્પડથી પછડાઈ ગયેલાં માનસિંહે એની સામે ઊભેલા ઓળા તરફ જોયું તો એ જીતો હતો. માનસિંહ ગભરાઈ ગયો. જીતાની આંખોમાંથી અંગારા વરસતા હતાં: “પાપિયા, આજ તું મર્યો મારા હાથે.”
“ના… જીતા…” પાછળના બારણેથી બુકાની છોડતા કટલો બહાર આવ્યો: “આ નરાધમને તો હું પૂરો કરીશ.”

“કટલા તું?” માનસિંહ બોલ્યો: “મારા ભેરુબંધ. ભાઈબંધ ઊઠીને તું?”
“ચૂપ કર નરાધમ.” કટલો બોલ્યો: “ભાઈબંધ શબ્દ તારા મોઢે શોભતો નથી. ભાઈબંધની બહેન એ તો આપણી બહેન. તેં મારી મા જણી બહેન નિરુને બરબાદ કરી. ને એને કૂવો પૂરવાનો વારો આવ્યો એ એણે મને મરતાં પહેલાં કીધું હતું.”

“જીતો એ તો દશમન ને કટલો તો ભાઈબંધ અરે, હું તો તારો રાત દાડાનો સેવક.” કરશન પણ હાથમાં કટારી લઈને દાખલ થયો: “આ રાક્ષસે મારી સગ્ગી ફોઈને લૂંટીને વેશ્યાવાડે પહોંચાડી દીધી.”
“કરશનિયા તું હાળા ખૂટલ!” માનસિંહ કરશનને મારવા દોડ્યો પણ જીતાએ એના પગમાં હોકી ફટકારી એટલે ગોથું ખાઈ ગયો. લોહી નીંગળતા પગે કણસતો માનસિંહ ફરસ પર આળોટતો હતો.

“ખરો ખૂટલ તો તું છો નરાધમ. એક ઘર તો ડાકણેય છોડે છે તું તો એમાંથીય ગ્યો.” કરશન બોલ્યો: “દીકરી તો વણકરની હોય કે બામણની, આબરૂ બધાયની સરખી નરાધમ, તને તો આંય પૂરો કરવો હતો એટલે હું તારી ભેળો રહ્યો, તારા અપમાન સહ્યા. મારો રામ મને નહીં છોડે કે તારા કેટલાંય પાપમાં હુંય તારો ભાગી થયો. પણ હવે તને ઠામ પહોંચાડી પછી આ તારા લાખ રૂપિયાથી તારી ખાંભી ચણાવીશ.”

-ને માનસિંહે દોટ મૂકી. છેક હવેલીની એક તરફ આવેલી ખુલ્લી બારીના વાદળી કાચ તોડીને એ દોડતો હવેલીના એ ત્રીજા માળે ખુલ્લી બારીમાંથી નીચે કૂદયો. એના પટકાયેલાં શરીરમાં પ્રાણ નહોતો રહ્યો. પછી બે ચાર પળોમાં હવેલીની બત્તીઓ બુઝાઈ ગઈ!!
અને ત્રણ માનવ ઓળાઓ ગામ તરફ વહેતા થયા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…