આશુતોષ શર્માએ લખનઉની બેન્ડ બજાવ્યા પછી ‘ગબ્બર’ સાથે શું કરી વાત, વાઈરલ વીડિયો

વિશાખાપટ્ટનમઃ આઈપીએલની ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપરજાયન્ટસની વચ્ચે રમાઈ હતી, જેમાં દિલ્હીએ લખનઉની જીતેલી મેચ પોતાના કેમ્પમાં અંકે કરી હતી, જેનું કારણ હતું આશુતોષ શર્મા. શર્માએ ધમાકેદાર ઈનિંગ રમતા નોટ આઉટ રહીને 66 રન (31 બોલમાં પાંચ સિક્સર-પાંચ ચોગ્ગા) ફટકાર્યાં હતા.
મેચ જીત્યા પછી આશુતોષ શર્માએ પોતાના પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના મેન્ટર શિખર ધવનને ડેડિકેટ કરી હતી. મેચ પૂરી થયા પછી શર્માએ કહ્યું હતું કે હું મારો એવોર્ડ મારા મેન્ટર શિખર ધવનને સમર્પિત કરું છું. ત્યાર પછી ગબ્બરથી જાણીતા શિખર ધવને શર્માને વીડિયો કોલ કરીને શુભકામનાઓ આપી હતી.
દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે દિલ્હી કેપિટલ્સને એક વિકેટથી જીત અપાવનાર આશુતોષ શર્માએ કહ્યું હતું કે તેણે આખા વર્ષ દરમિયાન મેચ “ફિનિશ” કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેનો તેમને અહીં ફાયદો થયો છે. ગયા વર્ષે પંજાબ કિંગ્સ તરફથી રમતી વખતે આશુતોષે મેચ ફિનિશર તરીકેની તેની ભૂમિકાથી પ્રભાવિત કર્યા હતા, પરંતુ તે સમયે તે તેના પ્રદર્શનથી સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતો.
આપણ વાંચો: આઈપીએલના ઓપનિંગ પછી દિશા પટનીના ચાહકો કેમ ગુસ્સામાં છે?
ઘરેલુ ક્રિકેટમાં રેલવે તરફથી રમતા 26 વર્ષીય બેટ્સમેન આશુતોષ સોમવારે 66 રનની અણનમ ઇનિંગથી ખૂબ ખુશ જોવા મળ્યો હતો. 210 રનના લક્ષ્યાંકનો સામનો કરતી વખતે દિલ્હી એક સમયે 6 વિકેટે 113 રન પર સંઘર્ષ કરી રહી હતી પરંતુ આશુતોષે વિપરાજ નિગમ સાથે મળીને ટીમને રોમાંચક જીત અપાવી હતી.
મેચ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આશુતોષે કહ્યું હતું કે “ગત સીઝનમાં મેં મેચનો સકારાત્મક અંત કરવાની કેટલીક તકો ગુમાવી હતી. બાદમા મેં આખા વર્ષ દરમિયાન આના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મને વિશ્વાસ હતો કે જો હું છેલ્લી ઓવર સુધી રહીશ તો કંઈ પણ થઈ શકે છે. તેણે કહ્યું હતું કે, ‘વિપરાજે ખૂબ સારી બેટિંગ કરી.’ મેં તેને શોટ મારતા રહેવાની સલાહ આપી હતી. દબાણ હેઠળ તે શાંત રહ્યો. હું આ ઇનિંગ મારા ગુરુ શિખર (ધવન) પાજીને સમર્પિત કરું છું.”
આશુતોષે કહ્યું હતું કે, “ગત વર્ષ મારા માટે ખરેખર સારું હતું પણ હવે તે ભૂતકાળની વાત છે. હું ત્યાંથી સકારાત્મક બાબતો સાથે આગળ વધ્યો અને મારી જે પણ નબળાઈઓ હતી તેના પર કામ કર્યું. મેં ઘરેલુ ક્રિકેટમાં જે કંઈ કર્યું, તે જ હું અહીં મારી રમતમાં લાગુ કરી રહ્યો છું.