IPL 2024

બેન્ગલૂરુને હવે પ્લે-ઑફ માટે કોઈ ચાન્સ છે?

બેન્ગલૂરુ: રોયલ ચેલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) એવી લોકપ્રિય ટીમ છે જે આઈપીએલના 16 વર્ષના ઇતિહાસમાં એક પણ ટ્રોફી નથી જીતી છતાં એના પ્રત્યેની લોકચાહના હંમેશાં વિશાળ રહી છે. એવરગ્રીન બૅટર વિરાટ કોહલીને કારણે જ આરસીબી હરહંમેશ ક્રિકેટપ્રેમીઓના દિલમાં વસે છે એમ કહેવું જરાય ખોટું નથી, પરંતુ દિનેશ કાર્તિક જેવા બીજા સ્ટાર્સને લીધે પણ આ ટીમ લોકોના દિલોદિમાગ પર કાયમ રાજ કરતી આવી છે.

બેન્ગલૂરુમાં તો આરસીબીના ફ્રેન્ચાઇઝીએ લેક (સરોવર) અને ડેમને લગતા કાર્યોમાં સ્થાનિક સત્તાવાળાઓને સાથ આપીને એ રીતે પાણીની સમસ્યા દૂર કરવામાં સહયોગ આપીને તેમ જ પર્યાવરણના શુદ્ધિકરણને લગતા ‘ગો ગ્રીન’ જેવા અભિયાનો ચલાવીને નોખી છાપ ઊભી કરી છે.

અહીં મુદ્દો એ છે કે આટલી બધી પોપ્યુલર ટીમ આ વખતે પણ ટ્રોફીની સંભાવનાથી ખૂબ દૂર થઈ ગઈ છે. આઈપીએલ ટાઈટલ પહેલી વાર જીતવાની રેસમાંથી લગભગ આઉટ થઈ ગઈ છે એમ જ સમજો.

આઠમાંથી સાત મૅચ હારી ચૂકેલી આરસીબીને હવે પ્લે-ઑફ માટે કેટલો ચાન્સ છે એ વિશે ખૂબ ચર્ચા છે અને ઘણાને ઉત્સુકતા પણ છે.

રવિવારે ઈડન ગાર્ડન્સમાં આરસીબીને કમબૅક કરવાનો સારો મોકો હતો, પણ કોલકાતા સામે આ ટીમ 223 રનનો ટાર્ગેટ મેળવવા જતા ફક્ત એક રનથી હારી ગઈ હતી. આ પરાજયે ફાફ ડુ પ્લેસીની ટીમની પ્લે-ઑફની શક્યતા પર પૂર્ણ વિરામ ઓલમોસ્ટ મૂકી દીધું.

વિરાટ વિવાદાસ્પદ સંજોગોમાં હર્ષિત રાણાના બૉલમાં તેના જ હાથમાં કેચઆઉટ થયો હતો. વિરાટને લાગ્યું કે બૉલ તેની કમરથી ઉપર હતો એટલે નો-બૉલ હોવો જોઈતો હતો, પરંતુ સ્લો બૉલ તેની કમરથી નીચે હતો અને તે ક્રીઝની બહાર આવીને રમ્યો હતો એટલે અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો.

આપણ વાંચો: અભિષેક શર્મા માત્ર એક રન માટે યુવીનો અને બે રન માટે યશસ્વીનો કયો રેકૉર્ડ ચૂકી ગયો?

વિલ જેક્સ (પંચાવન રન) અને રજત પાટીદાર (બાવન રન )ની જોડીએ બેન્ગલૂરુને આશા અપાવી હતી, પણ રસેલે સેટ થયેલા બન્નેને એક જ ઓવરમાં આઉટ કરી દીધા હતા. ફરી નાનો ધબડકો થયો, 250મી મૅચ રમતો કાર્તિક પણ ડગઆઉટમાં પાછો જતો રહ્યો હતો. વાત છેલ્લી ઓવર સુધી લંબાઈ. સૌથી મોંઘા પ્લેયર મિચલ સ્ટાર્કની 20મી ઓવરમાં કર્ણ શર્માની ત્રણ સિક્સરે 223 રનનો ચેઝ મેળવવાની આશા ફરી અપાવી ત્યાં તો કર્ણ સેકન્ડ-લાસ્ટ બૉલ પર આઉટ થઈ ગયો. લૉકી ફર્ગ્યુસન છેલ્લા બોલે એક જ રન દોડ્યો અને ડાઇવ મારીને બૅટ ક્રીઝમાં ન મૂક્યું એટલે રનઆઉટ થયો અને થ્રિલરમાં કોલકાતાનો વિજય થયો.

હવે આરસીબી પોતાની રીતે પ્લે-ઑફ માટે ક્વોલિફાય નહીં થઈ શકે. 2022ની સીઝન પહેલાં કુલ 8 ટીમ હતી એટલે મરી મરીને પણ 14 પોઇન્ટ મેળવનારી ચોથી ટીમ ક્વોલિફાય થઈ શકતી હતી. 2019માં હૈદરાબાદની ટીમ 12 પોઇન્ટ સાથે પણ ક્વોલિફાય થઈ હતી. જોકે 2022માં ગુજરાત અને લખનઊની ટીમ ઉમેરાતા હવે ક્વોલિફાય થવા ઓછામાં ઓછા 16 પોઇન્ટ જરૂરી હોવાનું સમીકરણ બન્યું છે.

આરસીબી પાસે અત્યારે બે પોઇન્ટ છે. બાકીની તમામ છ મૅચ જો જીતે તો 12+2 એમ કુલ 14 પોઇન્ટ થાય. એ બધી મૅચ એણે મોટા માર્જિનથી જીતવી પડે અને તગડો રનરેટ મેળવવો પડે. આવું થાય અને અન્ય ટીમોની મેચના પરિણામ આરસીબીની ફેવરમાં આવે તો એને સ્પર્ધામાં ટકી રહેવાનો મોકો મળે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button