રોહિતના ફોર્મ પર BCCIને શંકા! સિલેક્ટર્સ શોધી રહ્યા છે વનડે માટે નવો કેપ્ટન

મુંબઈ: ગત વર્ષે T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ રોહિત શર્મા(Rohit Sharma)એ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યાર બાદ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે શુભમન ગીલને ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket Team)નો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હવે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના અલગ અલગ કેપ્ટન છે. સૂર્યકુમાર યાદવ T20 માં ટીમની કેપ્ટનશીપ સંભાળે છે, જોકે રોહિત હજુ પણ ODI માં કેપ્ટન છે. પરંતુ હવે એવા આહેવાલ છે કે BCCI વનડે ફોર્મેટ માટે પણ નવા કેપ્ટનની શોધ કરી રહી છે
અહેવાલ મુજબ બોર્ડને ધારણા હતી કે રોહિત ચેમ્પિયન્સ ટ્રોફી પછી ODIમાંથી નિવૃત્તિ લેશે, પરંતુ આવું થયું નહીં. વર્લ્ડ કપ 2027ને ધ્યાનમાં રાખીને BCCI ટીમનું આયોજન કરી રહી છે. રોહિત શર્મા 2027 માં 40 વર્ષનો થશે, તેથી તેની ફિટનેસ અને ફોર્મ કેવું રહેશે એ અંગે બોર્ડને શંકા છે. દરમિયાન, BCCI કોઈ યુવા ખેલાડીને ODI કેપ્ટન બનવવા અંગે વિચાર કરી રહ્યું છે.
આ ખેલાડીને મળી શકે છે ODIની કમાન:
અહેવાલ અનુસાર, અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્ટર્સ કમિટી શુભમન ગિલને ODI ટીમની કેપ્ટનશીપ સોંપવાનું વિચારી રહી છે. જો કે આ અંગે નિર્ણય ક્યારે લેવામાં આવશે એ હજુ નક્કી નથી.
T20 વર્લ્ડ કપ 2026 પહેલા ત્રણેય ફોર્મેટમાં રમતા ખેલાડીઓના વર્કલોડને કેવી રીતે મેનેજ કરવામાં આવે છે, તે મહત્વનું રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના ભૂતપૂર્વ ક્રિકેટરો શ્રેયસ ઐયરને ODI કેપ્ટન બનાવવાના પક્ષમાં છે.
રોહિતની ODI કારકિર્દી:
રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતે આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો, બોર્ડને અપેક્ષા હતી કે 38 વર્ષીય રોહિત શર્મા ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે. પરંતુ BCCI અને તેમની વચ્ચે આ અંગે કોઈ ચર્ચા થઈ નથી.
રોહિતે 273 ODI મેચ રમી છે, જેમાં તેણે 265 ઇનિંગ્સમાં 11,168 રન બનાવ્યા છે. રોહિત ODI ફોર્મેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટર છે. તેણે શ્રીલંકા સામે 264 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો…ઑસ્ટ્રેલિયા 10 વર્ષથી લૉર્ડ્સમાં નથી હાર્યુંઃ સાઉથ આફ્રિકા `ચૉકર્સ’નું લૅબલ હટાવવા મક્કમ