BAN VS SL: એક મેચમાં ચાર ખેલાડી ઘાયલ, બે જણને સ્ટ્રેચર પર લઈ જવા પડ્યાં
![BAN VS SL: Four players injured in one match, two had to be carried off on stretchers](https://bombaysamachar.com/wp-content/uploads/2024/03/k-kavitha-33.jpg)
ચટગાંવઃ બાંગ્લાદેશે શ્રીલંકાને ત્રણ મેચની વન-ડે સિરીઝમાં 2-1થી હરાવી દીધું હતું. બાંગ્લાદેશે સિરીઝના ત્રીજા અને અંતિમ મુકાબલામાં ચાર વિકેટથી જીત મેળવી હતી. બાંગ્લાદેશે સિરીઝ તો જીતી લીધી પણ બાંગ્લાદેશની ટીમને સૌથી મોટો ફટકો પડ્યો હતો, જેમાં ચાર ખેલાડી ઈજા પહોંચતા પેવેલિયન ભેગું થવું પડ્યું હતું.
આજની વન-ડે મેચમાં બાંગ્લાદેશની ટીમના ચાર ખેલાડી એક જ મેચમાં ઈજાગ્રસ્ત થયા છે. ફાસ્ટ બોલર મુસ્તફિજુર રહેમાન, અનામુલ હક, જાકિર અલી અને સૌમ્ય સરકાર ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. બે ખેલાડીને ઈજા તો એટલી ગંભીર થઈ હતી કે એકને તો સ્ટ્રેચર પર બાહર લઈ જવાની નોબત આવી હતી.
વન-ડે સિરીઝની ત્રીજી મેચમાં શ્રીલંકા પહેલા બેટિંગ કરવા મેદાન પર ઉતરી હતી. મેચ વખતે મુસ્તફિજુર રેહમાન અને જાકિર અલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ બન્ને ખેલાડીને સ્ટ્રેચર પર બાહર લઈ જવાયા હતા.
મુસ્તફિજુર શ્રીલંકાના દાવ દરમ્યાન 48મી ઓવર નાંખી રહ્યો હતો. તે પહેલી જ બોલથી સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તે ઉઠી પણ શકતો નહોતો. ત્યારબાદ તેને સ્ટ્રેચર પર બાહર લઈ જવો પડ્યો હતો.
જોકે બીજો બનાવ 50મી ઓવરમાં બન્યો હતો, જ્યારે શ્રીલંકના દાવમાં બાંગ્લાદેશ તરફથી છેલ્લી ઓવર તસ્કિન અહમદ નાખી રહ્યો હતો ત્યારે તે ઓવરની પાંચમી બોલ પર પ્રમોદે શોટ માર્યો હતો, પરંતુ બોલ હવામાં ગયો હતો. આ જોઈને અનામુલ અને જાકિર બન્ને બોલ તરફ દોડ્યા હતા. એ વખતે બંન્ને જણ અથડાયા હતા. જાકિર ઘાયલ થઈ ગયો. જો કે અનામુલે કૈચ પકડી લીધો હતો. જાકિરને સ્ટ્રેચર પર બાહર લઈ જવું પડ્યું હતું.
બાંગ્લાદેશનો એક ખેલાડી સોમ્ય સરકાર પણ ઈજાગ્રસ્ત થયો, જ્યારે તે બોલ રોકવાની કોશિશ કરતા એડવર્ટાઈઝિંગ બોર્ડ સાથે ટકરાયો હતો. તેની ગરદન બોર્ડ સાથે અથડાય અને ઈજાગ્રસ્ત થઈ ગયો. આ પ્રમાણે બાંગ્લાદેશના કુલ ચાર ખેલાડી ઈજાગ્રસ્ત થયા.
શ્રીલંકાએ ત્રીજી વન-ડેમાં 235 રન બનાવ્યા હતા. તેના જવાબમાં બાંગ્લાદેશે છ વિકેટ ગુમાવીને 40.2 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યો હતો અને આ મેચ ચાર વિકેટથી જીતી લીધી હતી.