PCB નો મોટો નિર્ણય: અઝહર મહમૂદ પાકિસ્તાન ટેસ્ટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત…

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અઝહર મહમૂદને સોમવારે પાકિસ્તાનની ટેસ્ટ ટીમના વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તે તેમના વર્તમાન કરારના અંત સુધી આ પદ પર રહેશે. તેનો વર્તમાન કરાર આવતા વર્ષે એપ્રિલ સુધીનો છે.
મહમૂદે ગયા વર્ષે એપ્રિલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) સાથે તમામ ફોર્મેટમાં સહાયક કોચ તરીકે બે વર્ષનો કરાર કર્યો હતો. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના જેસન ગિલેસ્પી (ટેસ્ટ) અને દક્ષિણ આફ્રિકાના ગેરી કર્સ્ટન (મર્યાદિત ઓવર) મુખ્ય કોચ તરીકે ટીમ સાથે હતા. જોકે, બંનેએ પાછળથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આજે અઝહર મહમૂદને પાકિસ્તાનની પુરુષ ટેસ્ટ ટીમના વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. અઝહર તેમના વર્તમાન કરારના અંત સુધી આ ભૂમિકામાં રહેશે. 50 વર્ષીય મહમૂદે 1996 થી 2007 દરમિયાન પાકિસ્તાન માટે 21 ટેસ્ટ અને 143 વન-ડે મેચ રમી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં કહ્યું હતું કે “એક અનુભવી ક્રિકેટર તરીકે અઝહર મહમૂદ ખૂબ જ અનુભવ સાથે આ ભૂમિકા સંભાળી છે. તેમણે સહાયક મુખ્ય કોચ તરીકે કામ કર્યું છે અને લાંબા સમયથી ટીમના વ્યૂહાત્મક કોર ગ્રુપનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે. તેમને રમત અને આંતરરાષ્ટ્રીય અનુભવની ઊંડી સમજ છે. તેમને ઇંગ્લિશ કાઉન્ટી સર્કિટમાં સફળતા મળી છે. આ બાબતો તેમને આ ભૂમિકા માટે અત્યંત યોગ્ય બનાવે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે “રેડ બોલ ક્રિકેટમાં તેમની ક્ષમતા તેમણે જીતેલા બે કાઉન્ટી ચેમ્પિયનશિપ ટાઇટલમાં પ્રતિબિંબિત થાય છે. એક સિદ્ધિ જે તેમના નેતૃત્વ, વ્યૂહાત્મક વિચારસરણીનો પુરાવો છે. પીસીબીને વિશ્વાસ છે કે અઝહર મહમૂદના માર્ગદર્શન હેઠળ રેડ બોલ ટીમ તેની તાકાત, શિસ્ત અને પ્રદર્શનમાં વૈશ્વિક સ્તરે વૃદ્ધિ પામતી રહેશે.
આપણ વાંચો : ડ્રોન ક્રેશ થતા રાવલપિંડી સ્ટેડિયમને નુકશાન; PSL રદ થવાની શક્યતા, PCBએ બોલાવી બેઠક