ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીન સામે કેસ ભ્રષ્ટાચારનો કેસ દાખલ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીન સામે કેસ ભ્રષ્ટાચારનો કેસ દાખલ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મોહમ્મદ અઝહરુદ્દીન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે ફંડના દુરુપયોગના આરોપમાં કેસ નોંધ્યો છે. પોલીસે અઝહરુદ્દીનની સાથે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધિકારીઓ સામે પણ કેસ નોંધ્યો છે. જો કે અઝહરુદ્દીને પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા.

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન(એચએસી)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનીલ કાંતે બોઝે હૈદરાબાદના ઉપ્પલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે એચએસીના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીન અને અન્ય ભૂતપૂર્વ અધિકારીઓએ એસોસિએશનના ભંડોળનો દુરુપયોગ કર્યો હતો. આ પછી પોલીસે તમામ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

અઝહરુદ્દીને તેના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મારે આ આરોપો સાથે કોઈ લેવાદેવા નથી. યોગ્ય સમય આવશે ત્યારે હું આનો જવાબ આપીશ. આ મારી છાબી ખરાબ કરવાનો પ્રયાસ છે, જે નિષ્ફળ જશે. અમે તેની સામે લડીશું.

ફરિયાદીનો આક્ષેપ છે કે અગ્નિશામક ઉપકરણોની ખરીદીમાં કોભાંડ આચરવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ 3જી માર્ચ 2021ના રોજ નવમી એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી, જેમાં અઝહરુદ્દીને અગ્નિશામક ઉપકરણો ખરીદવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, પાછળથી બિડ કરનાર કોઈપણ પેઢીને ટેન્ડર ફાળવવામાં આવ્યું ન હતું. બાદમાં સંસ્થાએ ફરીથી ટેન્ડર બહાર પાડ્યા હતા. આ પછી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો પરંતુ છ માસ બાદ પણ કામ પૂર્ણ થયું ન હતું, જે નિયમોનો ભંગ છે.

ફરિયાદ મુજબ સીએ દ્વારા 1 માર્ચ, 2020 થી ફેબ્રુઆરી 28, 2023 સુધી ફોરેન્સિક ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઓડિટરને ફંડ ડાયવર્ઝન, સંપતિનો દુરુપયોગ અને કામકાજમાં અનિયમિતતા સહિત નાણાકીય નુકસાન થયું જોવાનું જાણવા મળ્યું હતું.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button