અચાનક ગજરાજ શા માટે વિફરે છે અને તેમને શાંત કેવી રીતે કરશો?

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રામાં હાથીઓ વિફર્યા અને યાત્રાનો માર્ગ છોડીને દોડવા લાગ્યા. સદનસીબે મહાવતોએ થોડી વારમાં હાથીને શાંત કરી દીધા. આ ઘટનામાં કોઈ જાન-માલનું ભારે નુકશાન ન થયું અને ભગવાનની નગરચર્યા નિર્વિઘ્ને આગળ વધી. પણ ઘણાને એવો સવાલ થયો હશે કે મહાવતના અંકુશ હેઠળ હોવા છતાં, આ હાથીઓ અચાનક કેમ આક્રમક બની ગયા?
હાથી આમ તો શાંત પ્રાણી ગણાય છે પરંતુ ક્યારેક એવા સંજોગો બને કે હાથી વીફરે છે અને મનુષ્યને નુકશાન પહોંચાડી શકે છે. હાથીઓ અચાનક આક્રમક બનવાના ઘણા કારણો છે, જેમાં ભય, જોખમ અથવા કોઈ પ્રકારની હેરાનગતિનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ હાથીઓ આક્રમક થવાના મુખ્ય કારણો અને એને શાંત કરવાના ઉપાયો.
હાથીઓ આક્રમક બનવાના કેટલાક મુખ્ય કારણો
હાથીઓ જ્યારે પોતાના ઉપર અથવા તેમના બાળકો પર જોખમ દેખાતું હોય ત્યારે આક્રમક બની શકે છે. જ્યારે ભયમાં હોય ત્યારે હાથી ડરી જાય છે, ત્યારે તેઓ આક્રમક રીતે પ્રતિક્રિયા આપે છે. બીમાર કે ઘાયલ હાથીઓ વધુ ચીડિયા અને આક્રમક બની શકે છે.
માણસો અને હાથીઓ વચ્ચેના સંઘર્ષ, જેમ કે રહેઠાણ ગુમાવવું, સંસાધનો માટે સ્પર્ધા કરવી અથવા હાથીઓને હેરાન કરવાથી હાથીઓ આક્રમક બની શકે. પુખ્ત નર હાથીઓ “મસ્ત” નામની સ્થિતિમાંથી પસાર થાય છે, જેમાં તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે, જે તેમને વધુ આક્રમક બનાવે છે. ઉપરાંત, ધાર્મિક સરઘસો અને સમારંભો દરમિયાન, ભારે ભીડ અને વધુ પડતા ઘોંઘાટને કારણે હાથીઓ આક્રમક બની શકે છે.
ગુસ્સે ભરાયેલા હાથીઓને શાંત કરવાની રીતો
હાથીઓને શાંત કરવા માટે, ફટાકડા ફોડવા કે ઢોલ વગાડવા જેવા અવાજ ટાળવા જોઈએ. જો તમને કોઈ આક્રમક હાથી મળે, તો ધીમે ધીમે પાછળ હટો અને તેને ખલેલ પહોંચાડશો નહીં. હાથીઓથી હંમેશા સલામત અંતર જાળવો, ખાસ કરીને જ્યારે તેઓ આક્રમક હોય. જો શક્ય હોય તો, હાથીઓને પાણી અને ખોરાક આપો, જે તેમને શાંત થવામાં મદદ કરશે. જો તમને કોઈ આક્રમક હાથી મળે, તો વન્યજીવન અધિકારીઓનો સંપર્ક કરો.