‘વંદે માતરમ’ ગીત કેવી રીતે બન્યું સ્વતંત્રતા સંગ્રામનો ભાગ? જાણો ઐતિહાસિક વાત

પ્રાથમિક શાળામાં પ્રાર્થના શરૂ થાય તે પહેલા દરરોજ ‘વંદે માતરમ’ ગીત ગવાય છે. આજે એટલે કે 7 નવેમ્બર, 2025ના રોજ ભારતના રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ”ના જન્મની 150મી વર્ષગાંઠ છે. આ ગીત ભારતની એકતા, બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેની અતૂટ ભક્તિનું પ્રતીક છે. 7 નવેમ્બર, 1875ના રોજ બંકિમ ચંદ્ર ચેટર્જી દ્વારા લખાયેલી આ ક્રાંતિકારી રચના કેવી રીતે ભારતીય સ્વતંત્રતા ચળવળનો આત્મા બની ગઈ હતી? આવો ઇતિહાસ તરફ એક નજર નાખીએ.
રાષ્ટ્રવાદનો વૈચારિક પાયો બન્યું “વંદે માતરમ” ગીત
“વંદે માતરમ” સૌપ્રથમ 1875માં બંગદર્શન મેગેઝિનમાં પ્રકાશિત થયું હતું. 1882માં, તેને બંકિમ ચંદ્રની પ્રખ્યાત કૃતિ “આનંદમઠ”માં સમાવવામાં આવ્યું. નવલકથામાં, આ ગીત ભારતમાતાની સેવાને પોતાનો ધર્મ માનતા સાધુઓ માટે પૂજાનું પ્રતીક હતું. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ ગીતને સંગીત આપ્યું હતું અને 1896માં કોલકાતા કોંગ્રેસ અધિવેશનમાં તે જાહેરમાં ગવાયું હતું. 7 ઓગસ્ટ, 1905ના રોજ, બંગાળના વિભાજનનો વિરોધ કરવા માટે જ્યારે લોકો રસ્તાઓ પર ઉતર્યા, ત્યારે તેનો સૌપ્રથમ રાજકીય સૂત્ર તરીકે ઉપયોગ થયો. બંકિમચંદ્ર ચેટર્જી (1838-1894) એ “વંદે માતરમ” દ્વારા ભારતીય લોકોને શીખવ્યું કે માતૃભૂમિ સર્વોચ્ચ દેવી છે, અને આ ગીત આધુનિક ભારતીય રાષ્ટ્રવાદનો વૈચારિક પાયો બન્યું.

1905ના સ્વદેશી ચળવળમાં આ ગીત સ્વતંત્રતાનું સૂત્ર બની ગયું. કોલકાતાથી લાહોર સુધી, લોકો “વંદે માતરમ” ના નારા સાથે બ્રિટિશ શાસનને પડકારવા ઉતર્યા. જ્યારે બ્રિટિશ સરકારે શાળાઓ અને કોલેજોમાં આ ગીત પર પ્રતિબંધ મૂક્યો, ત્યારે પણ વિદ્યાર્થીઓ ધરપકડ અને સજાના ડર વિના તેને ગાતા રહ્યા.
ભારતીય ત્રિરંગામાં દેખાયું “વંદે માતરમ”
1907માં, ભીખાઈજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ટમાં ભારતીય ત્રિરંગો લહેરાવ્યો, તેના પર પણ “વંદે માતરમ” શબ્દો હતા. ઇંગ્લેન્ડમાં ફાંસી આપતા પહેલા મદનલાલ ઢીંગરાના છેલ્લા શબ્દો પણ “વંદે માતરમ” હતા. 1950માં, બંધારણ સભાએ સર્વાનુમતે વંદે માતરમને ભારતનું રાષ્ટ્રીય ગીત જાહેર કર્યું. તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે તેને “જન ગણ મન” જેટલું જ સન્માન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર સમગ્ર ભારતમાં વંદે માતરમની 150મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરી રહી છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય સ્તરનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. 7 નવેમ્બરે દેશભરમાં જિલ્લા અને તાલુકા સ્તરે ખાસ કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે વંદે માતરમ પર આધારિત ટપાલ ટિકિટ, સ્મારક સિક્કો અને પ્રદર્શન પણ બહાર પાડવામાં આવશે. “વંદે માતરમ: ધરતી માતાને સલામ” થીમ પર દેશભરમાં વૃક્ષારોપણ અને ભીંતચિત્ર ચિત્રકામ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય નવી પેઢીને માતૃભૂમિની સેવાનો સંદેશ આપવાનો છે.



