ટોપ ન્યૂઝસ્પેશિયલ ફિચર્સ

આજ વૈશાખી પૂર્ણિમા: બુદ્ધ પૂર્ણિમાની સાથે અનેક શુભ યોગોનો સંયોગ

આજે 12 મેનાં રોજ વૈશાખી પૂર્ણિમા છે, જેને બુદ્ધ પૂર્ણિમાથી ઓળખવામાં આવે છે. વૈશાખી પૂર્ણિમાનાં રોજ ભગવાન વિષ્ણુના દશાવતાર પૈકીનાં બીજા અવતાર કૂર્મ અવતારનો જન્મ થયો હતો. આ જ દિવસે ગૌતમ બુદ્ધને બુદ્ધત્વ અને આ જ દિવસે નિર્વાણ પ્રાપ્ત થયું હતું. આજના દિવસે આરાધના અને દાન કારવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેની કૃપાથી ચંદ્રમા મજબૂત થાય છે અને મન તથા જીવનની મુશ્કેલીઓનો નાશ થાય છે.

બુદ્ધ પૂર્ણિમાનાં દિવસે બૌદ્ધ ધર્મનાં અનુયાયીઓ બોધિ વૃક્ષની પૂજા કરે છે અને બુદ્ધનાં ઉપદેશોનું શ્રવણ કરે છે. તે ઉપરાંત હિંદુ ધર્મમાં પણ આજના દિવસે ગંગા સ્નાનનું મહત્વ રહેલું છે. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને રાત્રે ચંદ્રમાને અર્ઘ્ય અર્પણ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવની પૂજા કરવાથી શરીરના અનેક રોગોથી મુક્તિ મળે છે. આથી, શિવાલયોમાં ભગવાન શિવને જલાભિષેક કરવામાં આવે છે.

પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત ગઈકાલે 11 મેના રોજ સાંજે 06:55 વાગ્યે થઈ હતી અને આજે 12 મેના રોજ સાંજે 07:22 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને, આજે 12 મેના રોજ બુદ્ધ જયંતિ અથવા બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ બુદ્ધ પૂર્ણિમાનાં દિવસે દુર્લભ યોગ બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું ધાર્મિક મહત્વ વધુ વધી ગયું છે. આજે વરિયાન યોગ આખી રાત રહેશે, જ્યારે રવિ યોગ સવારે 05:32 થી આવતી કાલ સવારે 06:12 સુધી રહેશે. આ ઉપરાંત બુદ્ધ પૂર્ણિમા પર ભદ્રાવસ યોગ પણ છે, જે સવારે 09:14 સુધી રહેશે અને આ સમયે ભદ્રાનું નિવાસ પાતાળ લોકમાં હશે.

બુદ્ધ પૂર્ણિમા પૂજન વિધિ

આ શુભ દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો અને વહેતા જળમાં તલ પ્રવાહિત કરો. પીપળના વૃક્ષને જળ અર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં આજે શનિ જયંતિ પણ મનાવવામાં આવે છે, તેથી શનિદેવની તેલ, તલ અને દીપ પ્રગટાવીને પૂજા કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ અથવા શનિ મંત્રોનો જાપ પણ કરી શકાય છે. પોતાની ક્ષમતા અનુસાર દાન-દક્ષિણા અવશ્ય આપવી જોઈએ.

સ્નાન અને ધ્યાન કેવી રીતે કરવું

સવારે સ્નાન પહેલાં સંકલ્પ લો. પ્રથમ જળને માથા પર લગાવીને પ્રણામ કરો અને પછી સ્નાન કરવાનું શરૂ કરો.
સ્નાન કર્યા બાદ સૂર્યને અર્ઘ્ય આપો અને સ્વચ્છ અથવા સફેદ વસ્ત્રો ધારણ કરો.
ત્યારબાદ મંત્ર જાપ કરો. મંત્ર જાપ બાદ શ્વેત વસ્ત્રોનું દાન કરો. જો ઇચ્છો તો આ દિવસે જળ અને ફળ ગ્રહણ કરીને ઉપવાસ પણ રાખી શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button