શું વધુ પડતું વર્કઆઉટ કરવું નુકસાનકારક છે? જાણો WHOની ગાઇડલાઇન…

આજના દોડતા ભાગતા યુગમાં ફિટ રહેવા માટે એક્સરસાઇઝ અને શારીરિક પ્રવૃત્તિઓ કરવી અનિવાર્ય છે. બાળકોથી લઈને વડીલો સુધી, દરેક માટે ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે. જોકે, વિજ્ઞાને દરેક વય જૂથ માટે એક નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરી છે, જેનાથી વધુ એક્ટિવિટી શરીર માટે બોજારૂપ બની શકે છે. તાજેતરમાં બોલિવૂડ એક્ટર ગોવિંદા પણ વધુ પડતા વર્કઆઉટને કારણે થાક લાગવાથી બેભાન થઈ ગયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે એક્સરસાઇઝનો અતિરેક પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી, દરેક વ્યક્તિએ એ જાણવું જરૂરી છે કે તેમની ઉંમર પ્રમાણે કેટલી કસરત પૂરતી ગણાય. આ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા જાહેર કરાયેલી શારીરિક પ્રવૃત્તિની માર્ગદર્શિકા જાણવી અત્યંત મહત્વપૂર્ણ છે.

WHOએ દરેક વય જૂથને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ ભલામણો કરી છે, જેથી લોકો સંતુલિત અને સુરક્ષિત રીતે કસરત કરી શકે: જેમાં 5 વર્ષથી 17 વર્ષના બાળકો માટે દરરોજ ઓછામાં ઓછી 60 મિનિટની મધ્યમ તીવ્રતાવાળી શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ. તેઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ એરોબિક એક્ટિવિટીઝ અને એવી કસરતો કરવી જોઈએ જે સ્નાયુઓ (Muscles) અને હાડકાંને મજબૂત બનાવે.
જ્યારે પુખ્ય વયના લોકો જેની ઉંમર 18થી 64 વર્ષ હોઈ તે લોકોને અઠવાડિયામાં કુલ 150 થી 300 મિનિટની મધ્યમ તીવ્રતાની અથવા 75 થી 150 મિનિટની સખત (Intense) એરોબિક એક્સરસાઇઝ કરવી જોઈએ. સ્નાયુઓને મજબૂત કરવા માટે અઠવાડિયામાં 2 વખત વેઇટ ટ્રેનિંગ (Weight Training) પણ કરવી જરૂરી છે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ 18-64 વર્ષના લોકો જેટલી જ, એટલે કે ઓછામાં ઓછી 150 થી 300 મિનિટની મધ્યમ તીવ્રતાની કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. તેમને મસલ્સ માસ જાળવી રાખવા માટે અઠવાડિયામાં 2 થી 3 વાર વેઇટ ટ્રેનિંગ કરવી જોઈએ.
સગર્ભા અને પોસ્ટપાર્ટમ મહિલાઓને દર અઠવાડિયે 150 મિનિટની મધ્યમ તીવ્રતાવાળી એરોબિક એક્ટિવિટીઝ કરવાની સલાહ અપાય છે, જેમાં સ્નાયુઓને મજબૂત કરતી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થવો જોઈએ.
જે લોકોએ ક્યારેય કસરત કરી નથી અથવા જેમને કસરતનું વિચારતા જ ગભરામણ થાય છે, તેમના માટે નિષ્ણાંતો સલાહ આપે છે કે તેઓએ સ્ટ્રેચિંગ કે હળવી વોક જેવી પ્રવૃત્તિઓથી શરૂઆત કરવી જોઈએ. જો તમારે શક્તિ વધારવી હોય, તો કેલિસ્થનિક્સ, વેઇટ ટ્રેનિંગ કે રેઝિસ્ટન્સ બેન્ડ વર્કઆઉટ કરી શકાય છે.
જો દિવસ દરમિયાન તમે નાની-નાની પ્રવૃત્તિઓ કરવા માટે સમય નક્કી કરો. શરૂઆતમાં બધી એક્ટિવિટી એકસાથે કરવાની જરૂર નથી. જો તમે આ નાની શરૂઆતમાં સફળ થાઓ, તો ધીમે ધીમે પ્રવૃત્તિનો સમય અને તીવ્રતા વધારી શકો છો. સતત અને સંતુલિત રહેવું એ જ તંદુરસ્તીની સાચી ચાવી છે.



