લોહીનું એક ટીપું પણ રેડ્યા વગર દિલ્હીમાં AIની મદદ વડે થઇ ગોલ બ્લેડરની સફળ સર્જરી

આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ-AI એક ક્રાંતિકારી શોધ છે. માનવીય ક્ષમતાઓ માટે અશક્ય લાગતા અનેક કાર્યો આ ટેકનોલોજી વડે શક્ય બન્યા છે. આવી જ એક ઘટનામાં દેશની રાજધાની દિલ્હીમાં AI ટેકનોલોજી વડે એક દર્દીના ગોલ બ્લેડરની સફળ સર્જરી થઇ છે. જેને કારણે 83 વર્ષના એક વૃદ્ધને નવજીવન મળ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ શસ્ત્રક્રિયા દરમિયાન એક ટીપું પણ લોહી વહ્યું નહિ તેમજ દર્દીના શરીરને કોઇપણ પ્રકારે નુકસાન પહોંચ્યું નથી.
અગાઉ કોલકાતાના સર્જનોએ આ ઓપરેશનનું જોખમ ઉઠાવવાના હતા પરંતુ દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં જ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. શસ્ત્રક્રિયા કરનારી ટીમનું કહેવું છે કે તેમણે સર્જરીની પ્રક્રિયા દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. એક તબક્કે દર્દીનું જીવન જોખમમાં મુકાઇ જવાની પણ તેમને ભીતિ હતી.
તબીબોએ જણાવ્યું હતું કે દર્દીના લીવરમાં એક નાનકડા ફુગ્ગા જેવો સિસ્ટ(તરલ પદાર્થ) ફસાયો હતો. જેને કારણે ગોલ બ્લેડર કે જેને પિત્તાશયની થેલી પણ કહેવાય છે, ત્યાં ઓપરેશનની જરૂરિયાન ઉભી થઇ હતી. સ્થિતિ ગંભીર હોવાને કારણે કોલકાતાના તબીબોએ સર્જરી ટાળી દીધી હતી. શસ્ત્રક્રિયા દરમિયાન વધુ પડતું લોહી વહી જાય તો દર્દી જીવ ગુમાવી બેસે તેવી પણ શક્યતાઓ હતી.
જેને કારણે દર્દીએ દિલ્હીની એક ખાનગી હોસ્પીટલનો સહારો લઇ ત્યાં પોતાની તપાસ કરાવી હતી. દિલ્હીમાં રોબોટિક સર્જન અરૂણ પ્રસાદ અને તેમની ટીમે સર્જરીની તૈયારી કરી. સફળ ઓપરેશન બાદ તબીબોએ દાવો કર્યો છે કે પિત્તાશયની આસપાસના કોષોને કોઇપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર સર્જરી કરવામાં આવી હતી.