પુરુષ

મંગળસૂત્રનું મહત્ત્વ કેટલું?

કૌશિક મહેતા

ડિયર હની,

સાચું કહું તો એ અહેવાલ જોયો, એ વીડિયો જોયો..અને એ વાત કેમે ય ભુલાતી નથી. 93 વર્ષના સખારામ શિંદે અને શાંતાબાઈ નજર સમક્ષ તરવર્યા કરે છે. પતિની ઇચ્છા પૂરી થાય છે અને પત્નીને એવી ભેટ મળે છે કે એની આંખો છલકાઈ જાય છે. અને એ જોઈ આપણી આંખો પણ ભીની થઇ જાય છે. સખારામ શિંદેને એક અફસોસ હતો કે પત્ની માટે મંગળસૂત્ર લઇ શક્યા નહોતા. લગ્ન સમયે વડીલોએ કહ્યું કે એ માટે ત્રેવડ નથી. અને સખારામ ભિક્ષા માગી જીવન ગુજારતા આવ્યા છે,
પણ બંને યાત્રાએ નીકળે છે અને વચ્ચે એક સોનીની દુકાને જાય છે. અને ત્યાં કપડામાં બાંધેલા રૂપિયા એ કાઉન્ટર પર મુકે છે અને પત્ની શાંતાબાઈ પણ થોડું પરચૂરણ મુકે છે. દુકાનદાર આ બધું જોઈ દ્રવી જાય છે અને એ વિનામૂલ્યે મંગળસૂત્ર આપવા તૈયાર થાય છે, પણ વૃદ્ધ દંપતી પોતાની બચતના પૈસાથી એ ખરીદવાનો આગ્રહ રાખે છે ને આખરે એ ટોકન રૂ. 20 લઇ મંગળસૂત્ર આપે છે.

આહાહા …શું દ્રશ્ય છે. જાણે કોઈ ફિલ્મનો સંવેદનશીલ સીન હોય એવું લાગે, પણ વાસ્તવિક જિંદગીમાં આવું બને ત્યારે દામ્પત્ય જીવનની મહેકની અનુભૂતિ થાય છે.

મારે તો આ ઘટનાનું ઉદાહરણ આપીને મંગળસૂત્રની વાત કરવી છે. મંગળસૂત્ર માત્ર એક ઘરેણું નથી, પરંતુ તે ભારતીય નારીના જીવનમાં સુહાગ, સૌભાગ્ય, રક્ષણ અને અતૂટ પ્રેમનું પ્રતીક છે. ‘મંગલ’ નો અર્થ શુભ અને સુત્રનો અર્થ દોરો થાય છે. આમ શુભ દોરો છે, જે શુભતા લાવે છે. એવી માન્યતા છે કે મંગલસૂત્ર પહેરવાથી પતિનું આયુષ્ય લાંબું થાય છે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે છે.

મંગળસૂત્ર એ સૌભાગ્ય અને સુહાગની નિશાની છે. લગ્ન સમયે પતિ દ્વારા પત્નીને મંગળસૂત્ર પહેરાવવાની વિધિ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તે પેઢી દર પેઢી ચાલી આવતી એક પરંપરા છે, જે ભારતીય લગ્નની પવિત્રતા દર્શાવે છે. આ ઘરેણું પતિ-પત્ની વચ્ચેના પરસ્પર સ્નેહ, વિશ્વાસ અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તે સ્ત્રીને તેના વૈવાહિક બંધનની સતત યાદ અપાવે છે અને એમને જવાબદારી અને નિષ્ઠા સાથે જીવવા પ્રેરણા આપે છે. આજ કારણે ફિલ્મોમાં મંગળસૂત્રને ધ્યાનમાં રાખી કેટલાંક દૃશ્યો દ્વારા સંવેદના સર્જવામાં આવે છે.

અને હા, લોકસભાની 2024ની ચૂંટણીમાં તો નરેન્દ્ર મોદીએ પણ આ મંગળસૂત્રને મુદ્દો બનાવી દેતા વિવાદ સર્જાયો હતો. મોદીએ કહેલું કે, ‘કૉંગ્રેસ જો સત્તામાં આવશે તો દેશના લોકોની સંપત્તિનો સર્વે કરાવશે અને તેને પુન:વિતરણ કરશે. એમણે એવો આરોપ લગાવ્યો કે કૉંગ્રેસવાળા મહિલાઓ પાસે રહેલા સોના, ખાસ કરીને મંગળસૂત્રને પણ છીનવીને વહેંચી દેશે….! માતાઓ-બહેનોનું મંગળસૂત્ર માત્ર સોનાની કિંમતનો મુદ્દો નથી, પરંતુ તે એમનાં સપના સાથે એ જોડાયેલું છે. આપણે મંગલસૂત્રના આવા રાજકારણમાં ન પડીએ…

આ ઘરેણાંનાં આરોગ્યની દ્રષ્ટિએ પણ ફાયદા છે એ મંગળસૂત્ર પહેરનારી પત્નીઓને કદાચ ખબર નથી. મંગળસૂત્રમાં વપરાતું શુદ્ધ સોનું ત્વચાના સંપર્કમાં આવે ત્યારે શરીર પર સકારાત્મક અસર કરે છે. આયુર્વેદ અનુસાર, સોનામાં ઔષધીય ગુણધર્મો હોય છે, જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરી શકે છે.

જોકે, કેટલી પત્નીઓ પાસે શુદ્ધ સોનાનું મંગળસૂત્ર હશે એ કહેવું અઘરું છે, પણ એક માન્યતા એવી છે કે, મંગળસૂત્ર ગળામાં હૃદયની નજીક પહેરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સ્થાન પર સોનું પહેરવાથી હૃદયના સ્વાસ્થ્યને લાભ થાય છે અને હૃદયના ધબકારા નિયમિત રહે છે. અને હૃદયને હેમખેમ રાખે છે.

શરીરના અનાહત ચક્ર (હૃદય ચક્ર)ને ઉત્તેજિત કરે છે, જે ભાવનાત્મક સંતુલન અને શાંતિ સાથે સંકળાયેલું છે. કેટલીક પરંપરાગત માન્યતાઓ અનુસાર, મંગલસૂત્ર પહેરવાથી સ્ત્રીની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) વધુ મજબૂત થાય છે.
સોનાના ધાતુના ગુણધર્મો શરીરની ઊર્જાને સંતુલિત કરવામાં મદદ કરે છે, જે પરોક્ષ રીતે રોગપ્રતિકારક શક્તિ પર હકારાત્મક અસર કરી શકે છે. સોના અને કાળા મોતીના સંયોજનથી બનેલું, રક્ત દબાણને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. કાળા મોતી નકારાત્મક ઊર્જાને શોષી લે છે અને શરીરને શાંત રાખવામાં મદદ કરે છે, જે બ્લડ પ્રેશરને સ્થિર રાખવામાં ફાળો આપી શકે છે. આવું ઘણું ઘણું કહેવામાં આવે છે આ ઘરેણાં માટે.

સ્ત્રીઓ જે પણ ઘરેણાં પહેરે છે એ માત્ર ભાવનાત્મક નથી, એની સાથે શરીર અને આરોગ્ય પણ જોડાયેલા છે. કેટલી પત્નીઓ મંગળસૂત્ર રોજ પહેરે છે તો કેટલાક મોટાભાગે પ્રસંગોપાત જ આ ઘરેણું પહેરે છે.

આપણ વાંચો મેલ મેટર્સ: ચોમાસામાં સહ્યાદ્રિની સફર હોય છે મઝાની, પણ…

આવું શા માટે? તું મને ઘણીવાર કહે છે કે, મારું મંગળસૂત્ર અઢી તોલા સોનાનું છે. એ કાઈ રોજ રોજ ના પહેરાય એથી જોખમ વધી જાય માટે હું એ રોજ પહેરી શકું એવું મને હળવું મંગળસૂત્ર લઇ આપ. મને થયું કે, આ સવાલ મેં પૂછ્યો જ શા માટે? આ તો મારા ખિસ્સા પર વાત આવી ગઈ!

ખેર, તું પહેરે કે ના પહેરે, પણ તારી પાસે મંગળસૂત્ર છે તો ખરા. બાકી સખારામ જેવા કેટલાય પુરુષો હશે કે જે પત્નીને મંગળસૂત્ર નહિ અપાવી શક્યા હોય. શાન્તાતાઈ જેવી પત્નીઓ હશે કે જે મંગળસૂત્ર પહેરી શકતી નથી. જીવનસંધ્યાએ એને એ મળે છે, પણ મંગળસૂત્ર હોય કે ના હોય, પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય એ સૌથી વધુ જરૂરી છે.
તારો બન્ની

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button