મેલ મેટર્સ : ઈન્દોરનો સનસનાટીભર્યો મર્ડર કેસ અહીં જો પાત્રોની અદલાબદલી થઈ ગઈ હોત તો?

- અંકિત દેસાઈ
મધ્ય પ્રદેશ – ઇન્દોરના એક યુવાન રાજા રઘુવંશીએ પોતાની નવપરિણીત પત્ની સોનમ સાથે મેઘાલયમાં હનીમૂનનું આયોજન કર્યું. બંને નવદંપતીના ઉત્સાહ સાથે પૂર્વોત્તરના આ સુંદર રાજ્યમાં ગયા. શરૂઆતમાં બધું બરાબર હતું, પરંતુ એક અઠવાડિયા બાદ ખબર પડી કે પતિ રાજા રઘુવંશીની હત્યા થઈ છે અને નવવધૂ સોનમ ગાયબ છે..!
આ ઘટનાએ સમાજ અને મીડિયામાં ચકચાર મચાવી દીધી, પરંતુ એક વાત આશ્ચર્યજનક હતી: એક અઠવાડિયા સુધી ન તો મીડિયામાં કે ન તો સમાજમાં એવી કોઈ થિયરી આવી કે સોનમ જીવતી હોઈ શકે અને એણે જ હત્યા કરી હોઈ શકે. આખરે જ્યારે પોલીસે તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે સોનમે જ રાજાની હત્યા કરી હતી અને એ ઉત્તર પ્રદેશ તરફ ભાગી ગઈ હતી. આ ઘટના એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે: શું આપણા સમાજની માનસિકતા સ્ત્રી અને પુરુષ પ્રત્યે જુદા જુદા માપદંડો ધરાવે છે?
હવે ધારી લો કે આ જ ઘટનામાં પાત્રોની અદલાબદલી થઈ હોત એટલે કે, સોનમની હત્યા થઈ હોત અને રાજા ગાયબ હોત તો સમાજ અને મીડિયાની પ્રતિક્રિયા કેવી હોત? લગભગ નિશ્ચિત છે કે પહેલી જ મિનિટથી એવી ચર્ચા શરૂ થઈ ગઈ હોત કે રાજાએ જ હત્યા કરી હશે અને એ હત્યા કરીને છટકી ગયો હશે. મીડિયા તો રાજાના ઘરની બહાર ધામા નાખી એના પાત્ર પર શંકા કરતું એના પરિવારને રંજાડતું હોત. રાજાને ગુનેગાર ગણીને મીડિયા ટ્રાયલ શરૂ થઈ ગયું હોત. અને દેશભરમાં સનસનાટી મચી ગઈ હોત !
આ કેસમાં, સોનમ ગાયબ હતી ત્યારે એવું કોઈ અનુમાન કેમ ન લગાવવામાં આવ્યું? આ પ્રશ્ન આપણી સમાજની માનસિકતા પર સીધો આંગળી ચીંધે છે.
આપણા સમાજમાં એક વિચિત્ર પૂર્વગ્રહ જોવા મળે છે: પુરુષ હંમેશાં ગુનેગાર હોઈ શકે, જ્યારે સ્ત્રીને ગુનેગાર તરીકે જોવાની શક્યતા નહિવત્ ગણાય. આ માનસિકતા એવી છે કે જો કોઈ ગુનો થાય અને તેમાં પુરુષ સામેલ હોય તો તરત જ શંકાના દાયરામાં લઈ લેવાય છે, પરંતુ જો સ્ત્રી ગાયબ હોય કે શંકાના દાયરામાં હોય તો પહેલું અનુમાન એ જ કરવામાં આવે કે એ ભોગ બની હશે, ગુનેગાર નહીં. આ દ્વિ-માપદંડ આપણા સમાજની મનોવૃત્તિને દર્શાવે છે, જે પુરુષ પ્રત્યે અન્યાયકારક છે. ન્યાયતંત્રમાં ભલે બધા સમાન હોય, પરંતુ સમાજની નજરમાં પુરુષે જ મહદ અંશે શંકાનો ભોગ બનવું પડે છે.
આ પણ વાંચો…મેલ મેટર્સ : આ મહિનાને પુરુષના સ્વાસ્થ્ય સાથે નિકટની નિસ્બત, પણ…
આ મેઘાલયના કેસમાં, જો રાજા ગાયબ હોત, તો મીડિયા અને સમાજે પણ એના ચારિત્ર્ય તરફ આંગળી ચીંધીને બિનસત્તાવાર રીતે એને ગુનેગાર ઠેરવી દેવામાં આવ્યો હોત, પરંતુ સોનમના કેસમાં આવું કંઈ થયું નહીં. આ દ્વિ-માપદંડનું મૂળ કારણ એ છે કે આપણા સમાજમાં સ્ત્રીને નિર્દોષ અને નબળી ગણવાની પ્રથા રહી છે, જ્યારે પુરુષને હંમેશાં શક્તિશાળી અને સંભવિત ગુનેગાર તરીકે જોવામાં આવે છે. આવી માનસિકતા ન્યાયના સિદ્ધાંતોની વિદ્ધ છે અને પુરુષો પ્રત્યે ભેદભાવ ઊભો કરે છે.
આ પણ કેવી વિધિની વક્રતા છે કે હમણાં છેલ્લાં ત્રણ ચાર મહિનામાં જે પણ હત્યાના કિસ્સા થયા છે એમાં પોતાના પ્રેમીની મદદથી પત્નીએ જ પતિની હત્યા કરી છે…તાજા સોનમના કિસ્સામાં આ જ અદલોદલ સિનારિયો છે!
બીજા શબ્દોમાં કહીએ તો પુરુષ જ મહદઅંશે ગુનેગાર એ માનસિકતા બદલવાની જરૂર છે. સમાજે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન નજરે જોવું જોઈએ. કોઈ પણ ગુનામાં શંકા ઉઠાવતા પહેલાં તથ્યો અને પુરાવાઓના આધારે નિર્ણય લેવો જોઈએ, નહીં કે જાતિના આધારે. મીડિયાએ પણ જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ અને બિનજરૂરી ટ્રાયલ ટાળવું જોઈએ.
આ રાજા-સોનમ કેસ આપણને એક મહત્ત્વનો પાઠ શીખવે છે: ન્યાયની ખોજમાં સમાજે પૂર્વગ્રહો છોડીને તટસ્થ રહેવું જોઈએ, જેથી ન્યાયની ભાવના અકબંધ જળવાઈ રહે.
આ પણ વાંચો…મેલ મેટર્સ : વિશ્વ તમાકુ નિષેધ દિવસ તંબાકુના ઘાતક પ્રહાર વચ્ચે ભારતીય પુરુષ ક્યાં છે?