પુરુષ

મુખ્બિરે ઈસ્લામ : એક બાદશાહ, બે ફરિયાદી: સતયુગનો લા’જવાબ કિસ્સો

  • અનવર વલિયાણી

ઈસ્લામી સત્તાનો એ સુવર્ણ યુગ હતો.
અરબસ્તાનના એક રાજ્યમાં મલિક શાહ સુલ્જુકી નામના ન્યાય પ્રિય બાદશાહની સત્તા કાયમ હતી. કુવ્વત, કૌશલ્ય, શક્તિ, ઉચ્ચ પ્રતિભા અને મહાનતામાં બાદશાહ સુલ્જુકીની ગણના શ્રેષ્ઠ બાદશાહોમાં થતી હતી.

નિયમો મુજબ બને છે તેમ પ્રજાની દાદ-ફરિયાદ સાંભળવા બાદશાહ સિંહાસન પર બિરાજમાન હતા. એવામાં બે શખ્સો દાદ માગતા શાહ સામે હાજર થયા.

ફરિયાદ કરી કે, સરકારી માણસોએ અમારી જાયદાદ, માલોમિલકત આંચકી લીધી છે, હવે અમારો કશો આધાર રહ્યો નથી. અમારો કોઈ વાંક-ગુનો નથી અમને ન્યાય અપાવો.

ફરિયાદીની વિગતે વાત સાંભળી શાહ સુલ્જુકીને લાગ્યું કે જાણે તેઓ ક્યામત અર્થાત્ આખરી નિર્ણય, ન્યાયના મેદાનમાં ઊભા છે અને ત્યાં માલિકે યવ્મેદીન, ન્યાયના દિવસના માલિક-અલ્લાહના દરબારમાં આ જુલ્મની સુનાવણી થવાની છે.
બાદશાહ સલામતે પેલા બે માણસોને કહ્યું કે, તમારામાંનો એક જણ મારો જમણો હાથ પકડે અને બીજો જણ ડાબો હાથ પકડે. બંને જણ મારા હાથ પકડી મને ખેંચતા હોય એ હાલતમાં મારા વઝીર નિઝામુલ મુલ્ક તુસી પાસે લઈ ચાલો…

પેલા બંને ફરિયાદી શહેનશાહ મલિક શાહ સુલ્જુકીની આ વાત સાંભળી થરથર કાંપતા અરજ ગુજારી કે, ‘આલીજાહ! અમ ગરીબોની શી વિશાત, કે આપ હઝરત-માનવંત શહેનશાહ સલામત સાથે આવી ગુસ્તાખી, અશિષ્ટ, અવિવેકી, બેઅદબી કરીએ…!’

પરંતુ જેની રગેરગમાં, રોમેરોમમાં અલ્લાહનો ખૌફ, ન્યાયનો ડર વસેલો હતો અને સતત પોતાનાથી કોઈ અન્યાય થઈ ન જાય, તેના હુકમનું પાલન અદના-આલાં સૌએ કરવું જ પડે.

પેલા ફરિયાદી બંને શખસો બાદશાહને વઝીર નિઝામુલ મુલ્ક તુસીના નિવાસસ્થાન તરફ લઈ જવા લાગ્યા. વઝીરને સમાચાર મળ્યાં કે બાદશાહ આ રીતે તેના રહેઠાણ તરફ આવી રહ્યા છે, તે અત્યંત બેબાકળો બની ગયો-ઘર બહાર નીકળ્યો. એવામાં બાદશાહ આવી પહોંચ્યા.

વઝીર તો ધ્રૂજતો ધ્રૂજતો બાદશાહને નમી પડ્યો બાદશાહે કહ્યું, નિઝામુલ મુલ્ક! કાલે ક્યામતના દિને આ માણસો આ રીતે મને અલ્લાહ રબ્બુલ ઈઝ્ઝત સામે રજૂ કરી દેશે તો મારું શું થશે? મારા રાજ્યની જવાબદારી મેં તમને સોંપી છે. તમારા તાબા હેઠળના હાકિમો (કારભારીઓ) બળજબરીથી બીજાઓની મિલકતો આંચકી લે છે.

મારામાં એવી શક્તિ નથી કે કાલે ક્યામતના દિવસે આ બાબતમાં જવાબ આપી શકું? આ લોકોને અત્યારે જ ન્યાય આપો.’ વઝીર નિઝામુલ મુલ્કે તપાસ કરી તેઓની માલમિલકત પાછી અપાવી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી.
આવો હતો મુસ્લિમ શાસકોનો ઈન્સાફ.

વિદિત છે કે દિને ઈસ્લામમાં અલ્લાહનો સંદેશ-પયગામ લઈને આવેલા લગભગ એક લાખ અને ચોવીસ હજાર જેટલા પયગંબરો (સંદેશવાહકો)એ પોતાના પવિત્ર જીવનમાં પ્રેરક કિસ્સાઓ રજૂ કર્યા અને લોકો સુકૃત્યો દ્વારા સન્માર્ગે વળે તે માટે નસીહતો પ્રદાન કરી જેને ‘હદીસે નબવી’ કહેવામાં આવે છે.

અન્યાય અને અપરાધોને ડામવા ‘શરિયત’ના (ઈસ્લામી કાયદા-કાનૂને) નિયમો ઘડ્યા, તો ક્યામત સુધી દિન અને દુનિયામાં માર્ગદર્શક બની રહે તેવી ઈલાહી કિતાબ કુરાન મજીદ જેવી અઝિઝમુશ્શાન દોરવણી રસૂલે કરીમ હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિ સલ્લામ (સ.અ.વ.) દ્વારા દિવ્યવાણી સ્વરૂપે નાઝિલ ફરમાવી જેમને હુકૂમત (સત્તા) નસીબ કરી તેઓ પોતાના શાસનમાં સદા અન્યાયથી ડરતા રહ્યા અને અદનાથી આલાં સૌને ન્યાય મળી રહે તેવું કાર્ય બજાવતા રહ્યા અને ઈસ્લામી શાનોશૌકતને બુલંદ દરજ્જે કાયમ કર્યું.

પરંતુ અફસોસ સાથે એ નોંધવું પડે છે કે આજના બની બેઠેલા શાસનકર્તા હદીસ, શરિયત અને કુરાન કરીમનાં ફરમાનો, કાનૂનો, આયતોના મનઘડત-મનફાવતા અર્થઘટનો કરી ઉમ્મતને તબાહ અને બરબાદ કરી રહ્યા છે. જગતમાં એક સમયે ઉદાહરણરૂપ બની રહેલો ઈસ્લામ ધર્મ સરમુખત્યારોના કારણે બદનામ બની અંધકાર ભણી ધકેલાતો જઈ રહ્યો છે. ‘વો દિન હવા હુએ, જબ પસીના ગુલ હુઆ કરતાથા’ (એ દિવસો, વિતી ગયા જ્યારે પરસેવામાંથી પણ ગુલાબના ફૂલ જેવી મહેક આવતી હતી.) શું એ યુગ ફરી ક્યારેય જોવા નહીં મળે?

એક અલ્લાહ, એક કુરાન અને એક પયગંબર હુઝૂરે અનવર સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમને દિલોજાનથી માનનારો, અનુસરવાવાળો નામે મુસલમાન આજે શિક્ષિત-સમજદાર બન્યો છે તેણે સમાજ ઘડતરમાં પોતાના જ્ઞાનનો લાભ આપવો જોઈએ.

પવિત્ર કુરાનની આયત, શ્ર્લોક, વાક્ય, કથન અનુસાર ‘હિબ્બુલ વતન, મિન્નલ ઈમાન’ અર્થાત્ ‘વતનપ્રેમ એ ઈમાન’નો એક ભાગને સતત રટતા રહી જે દેશમાં રહેતા હોઈએ તે દેશને સદા વફાદાર રહેવાને ઉજાગર કરતા રહેવું જોઈએ.
આલિમો, મૌલાના સાહેબોએ દુન્યવી શિક્ષણ સાથે દીની જ્ઞાનને ઉજાગર કરતા રહેવું જોઈએ. ધર્મની સાચી સમજ પ્રસારવી રહી…!

આપણ વાંચો મંગળસૂત્રનું મહત્ત્વ કેટલું?

સાપ્તાહિક સંદેશ:
ઈસ્લામ અમન-શાંતિ, સદ્ભાવનાનો ધર્મ છે. સદ્વર્તનને નેકી, સજ્જનતાનો દરજ્જો આપ્યો છે.સદાચારમાં સમર્પિત મોમીન, સાચો-શ્રદ્ધાળુ શ્રેષ્ઠ હોવાનું પયગંબર હૂઝુરે અનવર (સલ.)નું કથન છે. આપ હઝરત મુહંમદે હઝરત મઆઝ રદ્યિતઆલા અન્હોને યમન દેશના શાસક બનાવીને રવાના કર્યા ત્યારે કહ્યું હતું કે, તમારા સદ્વર્તનથી બધી રૈયત, પ્રજાને ખુશ રાખજો…!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button