મુખ્બિરે ઈસ્લામ : અમન-શાંતિનો ધર્મ ઈસ્લામ

-અનવર વલિયાણી
આ લખનારની જાણકારી મુજબ પૃથ્વીની કુલ વસતિ ત્રણ અબજને આંબી ગઈ છે. તેમાં મુસલમાનોની સંખ્યા એક અબજ જેટલી આંકવામાં આવે છે. દુનિયાના પચાસેક જેટલા દેશોમાં ઈસ્લામી હુકુમતો રાજ કરે છે. એશિયા ખંડમાં મુસ્લિમ પ્રજા વધારે છે. આફ્રિકામાં તે બીજા ક્રમે આવે છે.
જગતના નકશા પર દૃષ્ટિ નાખતાં જણાય છે કે અરબ, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, અરબસ્તાન, અફઘાનિસ્તાન, ઈન્ડોનેશિયન, સિરિયા, એડન, લેબેનોન, તુર્કિ, મલાયા, કુવૈત, દુબઈ, કતાર, પેલેસ્ટાઈન વગેરે દેશોમાં મુસ્લિમ શાસકો બખૂબી સત્તા ચલાવે છે. એશિયા ખંડના બીજા મોટા દેશો હિન્દુસ્તાન, રશિયા, ચાઈનામાં તો મુસ્લિમોની સંખ્યા કરોડોને આંબી ગઈ છે.
આફ્રિકા ખંડમાં પણ કેટલાક ઈસ્લામી દેશો છે; તેમાં ઈજિપ્ત, સુદાન, લિબિયા, અલ્જિરિયા, ટ્યુનીસ, મોરોક્કો, માડાગાસ્કર અને નાઈજિરિયા વધુ પ્રખ્યાત છે. બીજા રાજ્યો દાખલા તરીકે કેનિયા, ટાંગાનિકા અને પશ્ર્ચિમ આફ્રિકામાં પણ ઈમાનવાળાઓની સંખ્યા ઘણી મોટી છે. મધ્ય આફ્રિકા તથા દક્ષિણ આક્રિકામાં ઈસ્લામ ઘણો ઝડપથી પ્રસરી રહ્યો છે, જે આ લખનારના જાતઅનુભવથી જાણી શકાય છે.
યુરોપ, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા ખંડોમાં ખ્રિસ્તીઓની સંખ્યા વધારે છે. રાજ્યશાસન પણ તેમના હાથમાં છે, તેમ છતાં, તે રાજ્યોમાં પણ મુસ્લિમોની નોંધપાત્ર વસ્તી છે અને જે તે દેશોના કાયદા-કાનૂન-બંધારણ-નિયમો મુજબ તથા કુરાને કરીમની આયત (શ્ર્લોક) ‘હિબ્બુલવતન મિન્નલઈમાન’ અર્થાત્: ‘વતનપ્રેમ એ ઈમાનનો જ એક ભાગ’ છે ની તાલીમ અનુસાર ત્યાંની પ્રજામાં તેઓ હળીમળી ગયા છે. હા, કેટલાંક અનિષ્ટતત્ત્વોના આતંકને કારણે સમસ્ત ઈસ્લામ અને તેની ઉમ્મતને દોષિત ઠેરવવી-સમજવી તે આ ધર્મના અમન-શાંતિના બુનિયાદી પાયાને હાનિ પહોંચાડનારી અવશ્ય બની રહેતી હોય છે.
મોટા શહેરો જેવાં કે લંડન, પેરિસ, બર્લિન, રોમ, એમસ્ટ્રેડમ, લિસ્બન, બુડાપેસ્ટ, બેલગ્રેડ, મોસ્કો, કેનબેરા, સીડની વગેરે રાજ્યો, શહેરોમાં મુસ્લિમોએ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કેન્દ્રોની સ્થાપના પણ કરી છે. એ શહેરોમાં મસ્જિદોની સંખ્યા પણ ખાસ્સી છે. પાંચેય સમય ‘અલ્લાહો અકબર’નો મીઠો મધ જેવો નાદ પણ ગુંજે છે.
વાસ્તવમાં ઈસ્લામ એક ઈલ્હામી (દિવ્ય પ્રેરણા) ધર્મ છે. તેની શરૂઆત હઝરત આદમ અલયહે વસ્સલામ (અ.સ.)થી થઈ હતી. તેમની પર અલ્લાહતઆલાની ‘વહી’ (માર્ગદર્શન) આવતી હતી. હઝરત આદમ (અ.સ.) લોકોને સારા-નરસાના ભેદથી વાકેફ (પરિચિત) કરતા હતાં. અલ્લાહની આજ્ઞાનુસાર હઝરત આદમ (અ.સ.) લોકોને વહેદાનીયત (એકેશ્ર્વરવાદ)ની અને સુકર્મ કરવાની તાલીમ આપતા હતાં.
હઝરત આદમ અલયહિસ્સલામ પછી, અલ્લાહતઆલાએ હજારોની સંખ્યામાં નબીઓ મોકલ્યા અને સેંકડોની સંખ્યામાં રસુલોને મોકલ્યા. તેમાં વિશેષ કરીને હઝરત શીશ, હઝરત ઈદ્રીસ, હઝરત નૂહ, હઝરત ઈસા, હઝરત યુસુફ, હઝરત યાકુબ, હઝરત મુસા, હઝરત હારૂન, હઝરત ઈબ્રાહિમ, હઝરત ઈસ્માઈલ અને હઝરત સુલેમાન અલયહિસ્સલામ ઘણા જાણીતા પયગંબરો છે જે અલ્લાહ તરફથી નબુવ્વત (અલ્લાહનો પયગામ પહોંચાડવા)ના કામ માટે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. અલ્લાહના નબીઓની આ પવિત્ર જમાતે પોતાના યુગમાં, પોતાની જાતિને, અલ્લાહનો સંદેશ પહોંચાડ્યો અને લોકોને સન્માર્ગ પર ચાલવાની તાલીમ આપી. તે તમામ નબીઓએ વહેદાનીયતની અર્થાત્ એકેશ્ર્વરવાદની જ તાલીમ આપી. કોઈ પણ નબીએ વ્યક્તિ વિશેષની એટલે કે કોઈને પણ અલ્લાહની જાત સાથે સરખાવવાનું શિક્ષણ આપ્યું નથી. ‘શિર્ક’ના એવા માફ ન કરી શકાય તેવા ગુનાથી કોશો દૂર રહેવાનું ઉમ્મતને આહ્વાન આપ્યું અને તે પર કાયમ રહ્યા. જેને હઝરત આદમ અલયહિસ્સાલમથી માંડીને આ દુનિયામાં પધારેલા તમામ નબીઓએ શીખવ્યું છે અને તે શિક્ષણ અલ્લાહતઆલાના આદેશ મુજબ છે. આજ્ઞાનુસાર છે; જે તાકયામત રહેશે.
આ પણ વાંચો….મુખ્બિરે ઈસ્લામ : જાનવર આદમી સે જ્યાદા વફાદાર હય: ગીતકારની આ પંક્તિ આજે અક્ષરશ: સાચી પડી રહી છે
બ્રહ્માંડમાં જેમનું સર્જન સૌથી પહેલું થયું હતું તેમનું આગમન સૌથી પાછળ-છેલ્લું થયું અને જેમને ‘રહમતલ-લીલ-આલમીન’ અર્થાત્ ‘વિશ્ર્વકૃપા’ બનાવીને અલ્લાહે આ પૃથ્વી પર મોકલ્યા તે તમામ વિશ્ર્વના રસૂલ સલ્લલ્લાહો અલૈયહિ સલ્લામ્ (અર્થ: અલ્લાહ આપને તથા આપના પરિવાર-વંશજો પર પોતાના આશીર્વાદ મોકલે અને શાંતિ અર્પે) હઝરત મુહમ્મદ (સલ.) રહેમત-કૃપા બનીને આ ધરતી પર પધાર્યા. જ્યારે માનવજાતનું અસ્તિત્વ નહોતું ત્યારે પણ આપ હુઝૂરે અનવર (સલ.) હતા, આજે પણ આપ (સલ.) છો અને સદા રહેશો. (આમીન):
ઈસ્લામમાં ક્રોધને એક ‘મહારોગ’ કહેવામાં આવ્યું છે. ગુસ્સો ઈબ્લીસ નામે સેતાનનો એક એવો જવાળા મારતો શોલો છે જેને તે ઈન્સાનના દિલમાં નાખી દે છે.
- માનવીની જિંદગીનો જે દિવસ પસાર થાય છે, તેમાં જે કાંઈ શારીરિક ફેરફારો થાય છે એજ પ્રમાણે વ્યક્તિના માનસિક વલણો પણ બદલાતાં રહેતાં હોય છે.
- માનસશાસ્ત્રના અભ્યાસુઓના એક જૂથનો અભિપ્રાય છે કે, આની પાછળ વારસામાં મળેલા ગુણો પણ કારણભૂત છે, અને તે બદલી શકાતા નથી. પણ તેઓનું આ દૃષ્ટિબિન્દુ કોઈ મજબૂત સ્તંભ પર કાયમ નથી આમ છતાં તે ભૂલભર્યા પણ નથી અને એમ પણ નથી કે વારસાગત ગુણોને જડથી ઉખેડીને ફેંકી દઈ શકાય.
- માણસનું સ્વાર્થીપણું કે આધ્યાત્મિક આત્માનું જીવન-ટેવો એક જ પરિસ્થિતિમાં કાયમ રહેતું નથી. બેશક: એમાં વધઘટ થયા કરે છે અને ઘણી વખત બદલાઈ પણ જાય છે.
- કોઈ અયોગ્ય ત્રાસદાયક દ્રવ્ય વ્યક્તિના ક્રોધને ઉત્તેજિત કરી દે છે, એ જ પ્રમાણે અમુક બનાવો વ્યક્તિની ઈજ્જત-આબરૂ, અમાનત વગેરે ગુણોને વધુ મજબૂત કરી દે છે; એટલે કે સામૂહિક રાત દિવસ જે કામો માણસથી થાય છે તે તેની આદતો (ટેવો) તેની નફસીયાતમાં (મનેચ્છા) પરિવર્તનનું કારણ બને છે.
વ્હાલા કોમ-ભાઈબંધ કોમના શ્રદ્ધાળુ વાચક મિત્રો! જો માનવી આ મુદ્દા પર ધ્યાન આપે કે, તેની જિસ્માની બીમારીની જેમ તેની રૂહાની (આધ્યાત્મિક) બીમારી પણ ઈલાજને પાત્ર છે તો તેને એ વાત જણાશે કે ધ્યાન આપવાથી તેના ખરાબ ગુણોને તે આગળ વધતાં અટકાવી શકે છે અને આ પદ્ધતિ પર આપણે સૌ જેટલી ખૂબીથી કામ લઈશું, તો તે ગુણો પર કાબૂ (નિયંત્રણ) મેળવવા કામિયાબ થઈ શકીશું અને પરિણામે આપણા ગુણોમાં પાયાના ફેરફારો કરવા શક્ય બની જશે.
સાપ્તાહિક સંદેશ:
‘…જો બીજાની તકલીફ-પીડા જોઈને તને કોઈ રંજોગમ-દુ:ખ, દયા ન થાય તો તું ઈન્સાન તો શું પણ જનાવર કહેવાને લાયક પણ નથી.
- હઝરત (માનવંત) શેખ સા’દી સા’બના ફારસી શે’રનો ભાવાનુવાદ).
આ પણ વાંચો….મુખ્બિરે ઈસ્લામ : પીડિતની બદ્દુઆ અને કંજૂસે આ આફતો ભોગવ્યે છૂટકો