પુરુષ

સુપર શ્રીમંતો વધુ ટેક્સ આપે તોગરીબી મટી શકે ખરી..?

તાજેતરની ‘દાવોસ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’માં ૨૫૦ જેટલા અબજોપતિઓ વિશ્ર્વમાં વધતી જતી અમીરી-ગરીબી વચ્ચેની
ખાઈ પર અંકુશ મેળવવા ખુદ પર વધુ કરવેરાની યોજના લઈને આવ્યા છે એ કેવીક અસરકારક સિધ્ધ થઈ શકે ?

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

વર્ગમાં શિક્ષક હાજર હોય કે ન હોય, છતાં કેટલાક તોફાની ટપુડા એની જાત પર ગયા જ સમજો. કેટલાક તો શિક્ષકને હાજર જોઈને વધુ ભૂરાયા થાય- વધુ તોફાને ચઢે અને એક દિવસ અચાનક સમગ્ર દૃશ્ય પલટાઈ જાય. કલાસના તોફાની ટપુડાઓ ડાહ્યા-ડમરા થઈ જાય – ‘નો તોફાન-મસ્તી’..નિયમિત હોમ વર્ક કરીને આવે.એટલું જ નહીં, શિક્ષકને સામેથી વધુ ને વધુ નવું શીખવાડવા કહે ત્યારે તો શિક્ષકો સુધ્ધાંને આશ્ર્ચર્યના ચોરસ ચોરસ ચક્કર આવવા માંડે. એમને સમજાય નહીં કે આ તોફાનીઓમાં આવો હ્રદયપલટો આવ્યો ક્યાંથી ?

આવો જ સિનારિયો આજકાલ સરકાર અને શ્રીમંતો વચ્ચે સર્જાયો છે.આમ તો કોઈ પણ દેશની સરકાર હોય, એની ફરજ છે કમાણી કરતા નાગરિકો પાસેથી કર ઉઘરાવી દેશનું કામકાજ ચલાવવુ- સુશાસન કરવું. બીજી તરફ, નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે કે કમાણીનું સુનિયોજન કરીને ટેકસ બચાવવો બન્ને પક્ષ આ જાણે છે, છતાં બન્ને એક યા બીજી રીતે આ રમતના નિયમોનું પાલન કરવાનું ટાળે છે. સરકાર વધુ કરવેરા ઝીંકે છે અને સામે વેપારી-ઉદ્યોગપતિ-ઓ કરચોરી કરે છે. સરકાર અને ખાસ કરીને ખમતીધર વેપારીઓની આ વર્ષો જૂની રમત છે-ટક્કર છે.
હમણાં આમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે. જગતના વિભિન્ન રાષ્ટ્રોમાં ફેલાયેલી ભૂખમરાની સમસ્યા તથા જગતના ધનકૂબેરો-ગરીબો વચ્ચે વધતી જતી આવકની ખાઈના ખબર-અંતર રાખતી જાણીતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ઑક્સફામ’ છેલ્લાંમાં છેલ્લાં આંકડા-અહેવાલ લઈને આવી છે,જે ચોંકાવનારા છે.

ઑકસફામ’ કહે છે કે કોવિડ મહામારીના છેલ્લાં બે વર્ષ દરમિયાન, વિશ્ર્વમાં અબજોપતિની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. એટલું જ નહીં ,૨૦૨૦ની સરખામણીએ એમની સંપત્તિ બમણીથી પણ વધી છે..!

ભારતમાં અબજોપતિની વાત કરીએ તો એમની સંખ્યા વધીને ૧૬૩ થઈ છે અને રૂપિયા ૧૦૦૦ કરોડથી વધુ નેટવર્થ ધરાવનારા ભારતીયોની સંખ્યા ૧૩૧૯ ની થઈ છે. આના પ્રતાપે અમેરિકા અને ચીન પછી ભારત શ્રીમંતોની યાદીમાં ત્રીજુ સ્થન ધરાવે છે..!

ઑક્સફામ’ અનુસાર, વિશ્ર્વના ૧૦ ધનિક એવાં છે, જે છેલ્લાં બે વર્ષથી અંદાજે રોજના ૧૦ હજાર કરોડથી વધુ રુપિયા કમાય છે અને એ જો રોજ આડેધડ ૭.૫ કરોડ પણ વાપરે તો પણ એમની સ્ંપત્તિ આગામી ૮૪ વર્ષ સુધી ખતમ ન થાય !

બીજી તરફ, આ જ સમયગાળામાં ભારત જેવા દેશમાં ૪ કરોડ ૬૨ લાખથી વધુ લોકો ભીષણ ગરીબી અને ભૂખમરામાં ધકેલાયા છે..આમ અમીરી-ગરીબી વચ્ચેની આવી આર્થિક અસમાનતા કોઈને પણ માત્ર અકળાવનારી જ નહીં,પણ હચમચાવનારી છે.

વિસ્મય જગાડે એવા આ બધા આંકડા – વિગતો પ્રગટ થઈ રહી છે એમાં બીજા એક સમાચારે દુનિયાભરના લોકોને ચોંકાવી દીધા છે અને આર્થિક નિષ્ણાતોને પણ વિચાર કરતાં કરી મૂક્યાં છે.
ખરી આવક છૂપાવી પોતાના દેશમાં કરચોરી કરે અને જ્યાં ટેક્સ-હેવન’ની સુવિધા એવા દેશમાં પણ આવક રળવા યુક્તિ-પ્રયુક્તિ કરવા માટે મોટાભાગના ધનિકો વગોવાયેલા છે. જો કે કેટલાક અતિ શ્રીમંતો એવા છે,જેમની આવક અધધધ છે,છતાં એ લાકો ઘણો ઓછો ટેક્સ ચૂકવે છે’ એવી ફરિયાદ અવારનવાર થતી રહે છે. અત્યાર સુધી આવી ફરિયાદના જવાબ કે ખુલાસા મળતા કે થતાં નહોતા,પણ તાજેતરમાં ઑકસફામ’ના વિચારમાં મૂકી દે એવાં આર્થિક અસમાનતાના આંકડા પ્રગટ થયા પછી વિશ્ર્વના ટોચના ૨૫૦ અબજોપતિઓએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (ઠઈઋ) ને એક પત્ર લખીને એ મતલબની અપીલ કરીને કહ્યું છે : ‘હા,અસમાન કર-વ્યવસ્થાને લીધે અમે બીજાંની સરખામણીએ વધુ ધનઉર્પાજન કરીએ છીએ માટે જો અમને વધુ ટેક્સ ચૂકવવા કહેશો તો એ અમે સ્વેછાએ આપવા તૈયાર છીએ.!’
સામેથી વધુ કર ચૂકવવાની આવી ૨૫૦ અમીરોની બાંહેધરી સહેજે બધાને નવાઈ પમાડે.

જો કે આ શ્રીમંતોના આવા વધારાના ટેક્સથી શું શું થઈ શકે એની પણ હમણાં ગણત્રી કરવામાં આવી છે. એક અડસટ્ટા મુજબ વધારાના કરવેરા દ્વારા ૨.૫૨ ટ્રિલિયન ડોલર
(આંકડા પર ૧૨ મીંડાવાળી રકમ!) જેટલું ફંડ એકઠું થઈ જાય તો એનાથી દુનિયાની પ્રત્યેક વ્યક્તિને વેક્સિન આપી શકાશે.એટલું જ નહીં,બે અબજથી વધુ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢી શકાશે ઉપરાંત અસંખ્યોને ભૂખમરામાંથી ઉગારી શકાશે
-અને હ, જો આવા વધારાના સુપર ટેક્સ ન લેવાય તો વિશ્ર્વમાંથી ગરીબી નાબુદ થતાં હજુ બીજાં ૨૨૯ વર્ષ લાગી શકે…!
નવાઈની વાત એ છે કે સ્વછાએ વધુ કર ચૂકવવાના આ પત્રમાં અમેરિકા-કેનેડા- બ્રિટન-ફ્રાન્સ-ડેનમાર્ક, ઈત્યાદિ જેવાં અનેક દેશોના શ્રીમંતોએ હસ્તાક્ષર કરી સહમતિ દર્શાવી છે, પરંતુ એમાં આપણા સૌથી અમીર મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી કે પછી અન્ય ધનાઢ્ય વ્યક્તિઓનાન નામ સુદ્ધાં નથી..(અને જો એમનાં નામ હોય તો એ બહાર પાડવામાં નથી આવ્યા!)
હકીકતમાં તો સામેથી વધુ કરવેરા ચૂકવવાની વાત સાવ નવી નથી. હા, અમારા જેવા શ્રીમંતોએ વધુ ટેક્સ ચૂકવવો જોઈએ અને સરકાર કહેશે તો અમે આવા ટેકસ આપવા તૈયાર છીએ ’ એ પ્રકારની વાત આજથી બે વર્ષ પહેલાં વિશ્ર્વના પ્રથમ પાંચ અમીરોમાં આવે એવા અમેરિકાના સૌથી સફ્ળ ઈનવેસ્ટર- રોકાણકાર વોરેન બફેટ તેમ જ માઈક્રોસોફટ’ના બિલ ગેટ્સે કરી હતી. બફેટ તેમજ બિલનું કહેવું અને માનવું છે કે અમીર -ગરીબની આવક- બચત અને રોકાણ વચ્ચેની અસમાનતાને લીધે ગરીબ વધુ ગરીબ અને પૈસાવાળા વધુ ધનવાન થતાં જાય છે. આને રોકવા માટે સરકારે અમારા જેવા સુપર રીચ’ પાસેથી વધુ ટેક્સ વસુલ કરવો જોઈએ ખાસ કરીને, અમારી એસ્ટેટ – જાગીરની ખરીદી પર’ વોરેન બફેટે તો પોતાની ઑફિસના એક કર્મચારીની તેમજ પોતાની આવક તેમજ બન્નેના ટેક્સ માળખા સરખાવીને બધાને દર્શાવ્યું કે પેલા કર્મચારી કરતાં પોતાને કેટલો ઓછો ટેક્સ ભરવો પડે છે..!

કોઈ પણ દેશની પ્રજાના સામાજિક-સાંસ્કૃતિક કે તબીબી-વિજ્ઞાન કે પછી કોઈ પણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પહેલી જરુર ધનની પડે.આર્થિક રીતે સક્ષમ હો તો જ ઝડપી પ્રગતિ શક્ય છે. જયારે જે તે દેશના સત્તાધીશ આર્થિક રીતે પહોંચી ન શકે ત્યારે દાન તરીકે મળતા ધન પર વિશેષ આધાર રાખવો પડે.

કોવિડ-કાળના અપવાદને બાદ કરતાં એકંદરે આપણો દેશ આર્થિક દ્રષ્ટિએ મજબુત થતો જાય છે. અબજપતિઓની સંખ્યા વધી રહી છે,છતાં એમના દ્વારા અપાતાં દાનની રકમ બીજા દેશોના શ્રીમંતોની રકમની સરખામણીએ જોઈએ તેટલી પ્રોત્સાહિત કરે તેટલી નથી.

થોડા સમય પહેલાં ભારતીય દાનવીરો વિશે થયેલાં હુરુન ઈન્ડિયા’ના એક સર્વે મુજબ ૨૦૨૨-૨૩ના અંબાણી-અદાણી ગ્રુપ કમાણીમાં આગળ રહ્યું,પણ દાનમાં એ બન્ને પાછળ રહ્યા.એમની સરખામણીએ તો ૨૦૨૩માં ‘એચ.સી.એલ’ના ૭૮ વર્ષી સ્થાપક- ઉદ્યોગપતિ શિવ નાદર ૨૦૪૨ કરોડ રુપિયાની રકમ દાનમાં આપી છે. (અર્થાત રોજના આશરે ૬ કરોડનું દાન !) એમના પછી બીજા નંબરે છે વિપ્રો’ના અઝીમ પ્રેમજી. આ દિલદાર ઉદ્યોગપતિએ અત્યાર સુધીમાં રોજના સરેરાશ રુપિયા ૨૭ કરોડનું દાન કરીને કુલ રુપિયા ૯૭૧૩ કરોડની અધધધ રકમ પરોપકારનાં કાર્યોમાં આપી છે !

-અને છેલ્લે, અત્યારે વિશ્વના સૌથી અમીર અને અમેરિકાના ઈલેક્ટ્રીક કાર ટેસ્લા’ તથા સ્પેસડ’ કંપનીના સર્વેસર્વા અલગારી ઉદ્યોગપતિ ઈલોન મસ્ક આ વર્ષે ૧૧ અબજ ડોલર એટલે કે ૮૫ હજાર કરોડ રુપિયાનો ટેક્સ ભરશે.અમેરિકન કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી વધુ ટેકસ ભરવાનો જેમનાં નામે આ રેકોડ સર્જાશે એવા આ ઈલોન કહે છે :
યેસ, મારા જેવા અલ્ટ્રા રીચ પર સરકાર હજુ સુપર ટેક્સ નાખશે તો એ પણ હું ભરવા તૈયાર છું, બોસ..!’
આમ આ બધાની ઈચ્છા- ઈરાદા તો શુભ છે, પણ વોશિંગ્ટન કહો કે દિલ્હી અભી દૂર હૈ ! (સંપૂર્ણ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…