Fri Apr 17 2026

Logo

રાઘવ ચઢ્ઢાએ ટેલીકોમ કંપનીઓને ન વપરાયેલા ડેટા મુદ્દે ઘેરી, ગણાવી ડિજિટલ લૂંટ

2026-03-23 16:44:49
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : દેશની ટેલીકોમ કંપનીઓના નિયમોનો ખુલ્લેઆમ વિરોધ કરી રહેલા રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ટેલીકોમ કંપનીઓને વધુ એક સવાલમાં ઘેરી છે. તેમણે એક્સ પર ટેલીકોમ કંપનીઓ દ્વારા ગ્રાહકોના ન વપરાયેલા ડેટાને રીસેટના નામે ગાયબ કરી દેવાના કંપનીના નિયમ સામે સવાલ ઉઠાવ્યો છે. 

ન વપરાયેલો ડેટા રિસેટના  નામે  ગાયબ 

સાંસદ  રાઘવ ચઢ્ઢાએ  જણાવ્યું હતું કે મોબાઇલ રિચાર્જ પ્લાન સામાન્ય રીતે દૈનિક ડેટા મર્યાદા ઓફર કરે છે. જેમ કે 1.5 GB,2 GB,અથવા 3 GB પ્રતિ દિવસ  જે દર 24 કલાકે રીસેટ થાય છે. તેમજ કોઈપણ ન વપરાયેલ ડેટા મધ્યરાત્રિએ સમાપ્ત થાય છે. તેમણે ઉદાહરણ આપીને સમજાવ્યું કે જો કોઈ વ્યક્તિ 2 GB પ્લાનમાં સબ્સ્ક્રાઇબ કરે છે પરંતુ ફક્ત 1.5 GB નો ઉપયોગ કરે છે. તો બાકીનો 0.5 GB કોઈપણ રિફંડ અથવા રોલઓવર લાભ વિના ગાયબ થઈ જાય છે. 

યુઝર્સ  ઓછો ડેટા વાપરે છે છતાં સંપૂર્ણ રકમ ચૂકવે છે. 

રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે આ કોઈ  સંયોગ નથી  પરંતુ એક ગણતરીપૂર્વકની વ્યૂહરચના છે. આ મુદ્દો લાખો ભારતીય ગ્રાહકોને અસર કરે છે, કારણ કે મોટાભાગના લોકો પ્રીપેડ પ્લાન પર આધાર રાખે છે. જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા જેવી ટેલિકોમ કંપનીઓ દૈનિક ડેટા ક્વોટા લાગુ કરે છે જે મધ્યરાત્રિએ રીસેટ થાય છે. પરિણામે, વિદ્યાર્થીઓ,  વ્યાવસાયિકો અને ગ્રામીણ વિસ્તારોના યુઝર્સ  ઓછો ડેટા વાપરે છે છતાં સંપૂર્ણ રકમ ચૂકવે છે. 

સામાન્ય માણસને નાણાકીય નુકસાન પહોંચાડે છે.

રાઘવ ચઢ્ઢાએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો કે  પેઇડ-ફોર ડેટા કેમ ગાયબ કરી દેવામાં આવે છે.  તેમણે માંગ કરી કે ન વપરાયેલ ડેટા આગામી બિલિંગ સાયકલમાં લઈ જવામાં આવે  જેથી ગ્રાહકો તેમના નાણાનું સંપૂર્ણ મૂલ્ય મેળવી શકે. તેમણે આ પ્રથાને ડિજિટલ લૂંટ ગણાવી  જેમાં કંપનીઓ ઇરાદાપૂર્વક પોતાના નફાને વધારવા માટે રચાયેલ નિયમો બનાવે છે જ્યારે સામાન્ય માણસને નાણાકીય નુકસાન પહોંચાડે છે.