ગાંધીનગર: ગુજરાતની સરકારી કચેરીઓ,બોર્ડ, નિગમ, પંચાયત તેમજ રાજ્યમાં આવેલી બેંકમાં બકરી ઈદની જાહેર રજા અગાઉ તા. 27 મે 2026 બુધવારના રોજ જાહેર કરવામાં આવી હતી. આ રજા હવે તા. 27 મેના બદલે તા. 28 મે 2026 ગુરૂવારના રોજ રહેશે તેમ સામાન્ય વહીવટ વિભાગે જણાવ્યું છે.
તમામ કચેરીઓ બુધવારના રોજ રાબેતા મુજબ ચાલુ રહેશે
હવે રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ, પંચાયત તેમજ ગુજરાતમાં આવેલી બેંકો બુધવારના રોજ રાબેતા મુજબ ચાલુ રહેશે.ઉલ્લેખનીય છે કે, અગાઉ આ અંગે તા. 27 નવેમ્બર 2925ના રોજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2026ની જાહેર રજાઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
મુસ્લિમ ધર્મમાં બકરી ઈદનું વિશેષ મહત્વ
ઈસ્લામિક કેલેન્ડર મુજબ 12મા મહિના ધૂ-અલ-હિઝ્ઝાની 10 તારીખે બકરી ઈદ મનાવવામાં આવે છે. આ તારીખ રમઝાન માસ પૂર્ણ થયાના લગભગ 70 દિવસ બાદ આવે છે. બકરી ઈદનો તહેવાર મુખ્ય રીતે કુર્બાનીના તહેવાર તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે બકરાની કુર્બાની આપવામાં આવે છે. ઈસ્લામ ધર્મમાં મીઠી ઈદ બાદ બકરી ઈદ મુખ્ય તહેવારોમાંથી એક છે.