શોકિંગ: ઓડિશામાં કૂતરા કરડવાના કિસ્સામાં પેરા એથ્લેટ સહિત બે જણનાં મોત…

ઓડિશાના બોલનગીર જિલ્લામાં એક કૂતરાના હુમલાએ આખા વિસ્તારમાં શોકની લહેર ફેલાવી છે. આ ઘટનામાં બે વ્યક્તિઓનું મોત થયું છે અને અન્ય કેટલાક ઘાયલ થયા છે. આવી ઘટનાઓ કૂતરાના કરડવાના કેસોમાં વધારો અને તેના કારણે થતા રેબીઝના જોખમને ઉજાગર કરે છે.
કૂતરાના હુમલામાં મોત
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તુશુરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા ચિંચેરા ગામમાં 23 જુલાઈના રોજ એક કૂતરાએ આતંક મચાવ્યો અને છ અલગ-અલગ વ્યક્તિઓ પર હુમલો કર્યો.
આમાંથી 33 વર્ષીય રાષ્ટ્રીય સ્તરના પેરા-એથલીટ જોગેન્દ્ર છત્રિયા અને 48 વર્ષીય ઋષિકેશ રાણાનું બુર્લા સ્થિત વીઆઈએમએસએઆર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. આ ઘટનાએ આખા ગામમાં ભય અને શોકનું વાતાવરણ સર્જ્યું છે.
હુમલામાં ઘાયલ થયેલા તમામ છ વ્યક્તિઓને પહેલા બોલનગીર જિલ્લા મુખ્યમથક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે બુર્લા રેફર કરવામાં આવ્યા. ઘાયલોમાં બાળકો પણ સામેલ હતા, જેઓ શાળા જવા માટે તે માર્ગેથી પસાર થતા હતા. કૂતરાના કરડવાથી ઘાયલ થયેલા ચાર વ્યક્તિઓ તો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા, પરંતુ છત્રિયા અને રાણાની હાલત ગંભીર રહી અને તેઓનું મોત થયું.
કૂતરા કરડવાના વધતા કેસો
આ ઘટના કૂતરા કરડવાના વધતા જતા કેસોને પણ ઉજાગર કરે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી બઘેલે 22 જુલાઈના રોજ સંસદમાં જણાવ્યુ હતું કે કૂતરા કરડવાના દેશમાં 37 લાખથી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી ‘સંદિગ્ધ માનવ રેબીઝ મૃત્યુ’ના 54 કેસ હતા. આ આંકડા દેશમાં આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે અને રેબીઝના જોખમને ઘટાડવા માટે વધુ જાગૃતિ અને સાવધાનીની જરૂરિયાત પર ભાર મૂકે છે.
આ પણ વાંચો…કેન્વાસઃ આ રખડતાં ભસતાં કૂતરાઓ છે… ..એક રાષ્ટ્રવ્યાપી આપત્તિ!