
નવી દિલ્હીઃ અમેરિકાએ ભારતને ફરી એક મોટો ઝટકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર સત્તાવાર રીતે 50 ટકા ટેરિફ લગાવી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલા 25 ટકા ટેરિફ લગાવ્યો હતો. જ્યારે અત્યારે ફરી 25 ટકા વધારાને ટેક્સ લગાડી દીધો છે.
એટલે હવે ભારત પર 50 ટકા ટેરિફ લાગુ થયો છે. આ ટેરિફના કારણે સૌથી મોટી અસર ગુજરાત અને ગુજરાતની આર્થિક રાજધાની એટલે કે સુરતને થવાની છે. સુરતનો ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ દેશભરમાં પ્રખ્યાત છે, પરંતુ ટ્રમ્પના ટેરિફના કારણે હવે આ ઉદ્યોગોને માઠી અસર થવાની છે. ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગને સૌથી વધારે અસર થવાની છે.

ટ્રમ્પના ટેરિફની ડાયમંડ ઉદ્યોગને કેવી રીતે અસર થશે?
સુરતના ડાયમંડ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત રહ્યાં છે. સામાન્યરીતે સમજીએ તો દુનિયામાં જો 12 ડાયમંડ કટિંગ થાય છે તો તેમાંથી 9 ડાયમંત્ર સુરતમાં કટિંગ થાય છે. જ્યારે વિશ્વમાં સૌથી વધારે જો કોઈ ડાયમંડની ખરીદી કરતો દેશ હોય તો તે અમેરિકા છે.
જેથી 50 ટકા ટેરિફની અસર સૌથી વધારે સુરતના ડાયમંડ ઉદ્યોગને થવાની છે. ડાયમંડ સાથે સાથે ટેક્સટાઇલ ઉદ્યોગ પણ એટલું જ પ્રભાવિત થવાનું છે. સુરતના ડાયમંડ વેપારીઓએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે.
એટલું જ નહીં પરંતુ અમેરિકામાં હીરાના વેપારીઓએ ડોલાન્ડ ટ્રમ્પને વિનંતી કરી છે કે, ડાયમંડ પર ટેરિફ ના લગાવવામાં આવે અને જો લગાવે છે તે તેના દરમાં ઘટાડો કરવામાં આવે. ત્યાંના વેપારીઓને ડર એવો પણ છે કે, ટેરિફની અસર ભારત કરતા વધારે અમેરિકાને થવાની છે.
કારણ કે, ભારત પાસે ડાયમંડનો વિપુલ માત્રામાં પુરવઠો છે જ્યારે અમેરિકા તેનું સૌથી મોટું ખરીદદાર છે.
અમેરિકા ભારત સાથે ડાયમંડનો કેટલો વેપાર કરે છે?
એક હીરા વેપારીએ જણાવ્યું કે, અમેરિકા પોતાની મરજી પ્રમાણે વિશ્વના દેશો પર ટેરિફ લગાવી રહ્યું છે. ભારત પર પણ પહેલા 25 ટકા અને બાદમાં 50 ટકા ટેરિફ લગાવ્યો છે. ભારતનો અમેરિકા સાથે જેમ્સ એન્ડ જ્વેલરીનો 12 મિલિયન ડોલરનો વેપાર છે.
આ સિવાય પણ 35 ટકા હીરા કટિંગ અને પોલિશિંગ કરીને અમેરિકામાં એકપોર્ટ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ટેરિફ લગાવીને અમેરિકા જાતે જ પોતાનું નુકસાન કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે જે કોઈ હીરો પહેલા 1000 માં મળતો હતો. તે હવે 1500 રૂપિયામાં વેચાવવા લાગે તો પછી તેને ખરીદતા લોકો વિચાર કરવાના જ છે.

લાખો લોકોની રોજગારી પર અસર થવાના એંધાણ
આ મામલે ભાવેશ ટાંક જે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ છે તેમનું કહેવું છે કે, જો ડાયમંડની નિકાસ ઓછી થશે તો સ્વાભાવિક છે કે, તેનું ઉત્પાદન પણ ઘટવાનું છે. જેની સૌથી મોટી અસર હીર ઉદ્યાગો અને કામદારોને થવાની છે. બની શકે છે તેમની રોજગારી પણ છીનવાઈ શકે!
ટેરિફના કારણે કુલ પાંચ લાખ કામદારોની રોજગારી પર શંકાના વાદળો ઘેરાયેલા છે. શંકાઓ એવી છે કે, અમેરિકા ભારતના હીરા ઉદ્યોગને ખતમ કરવા માંગે છે. જેથી હવે ભારતે હવે અમેરિકા સિવાય અન્ય દેશો સાથે વેપાર વધારવાના પ્રયત્નો શરૂ કરવો જોઈએ. જેથી ભારતનો હીરા ઉદ્યોગ પડી ના ભાંગે!
કાપડ ઉદ્યોગને કેવી અસર થશે?
કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે 15 ઓગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે GSTમાં સુધારા લાવવાની વાત કરી હતી, જેનાથી GST ચૂકવવાનું સરળ બનશે. જ્યારે કાપડ સસ્તું થશે, ત્યારે સ્થાનિક બજારમાં તેની માંગ વધશે અને તેની સીધી અસર બજાર પર પડશે.