ટેરિફના ટેન્શન વચ્ચે ટ્રમ્પે PM મોદીને એક નહીં, ચાર-ચાર ફોન કર્યા: શું PM મોદીએ વાત કરવાનો ઈનકાર કર્યો?

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે વાતચીત ચાલી રહી છે, પરંતુ અચાનક અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પ ત્યાંથી અટક્યા નહીં, પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે વધુ 25 ટકા ટેરિફ લગાવી દીધી હતી, ત્યાર પછી બંને દેશ વચ્ચે સંબંધોમાં ઘર્ષણ વધી રહ્યું છે. આજે અમેરિકન પ્રશાસને ભારત પર વધુ ટેરિફ વસૂલવાનું આવતીકાલથી અમલી બનાવવાની જાહેરાત પછી આજે વિદેશી અખબારે દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને ચાર-ચાર કોલ કર્યા હતા, પરંતુ પીએમ મોદીએ વાત કરવાનો ઈનકાર કર્યો હતો.
ડેડ ઈકોનોમી અને ટેરિફથી મોદી નારાજ
જર્મનીના અખબાર એફએઝેડે દાવો કર્યો છે કે ભારતને ડેડ ઈકોનોમી કહેવા મુદ્દે પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિથી નારાજ છે. ટ્રમ્પના ટેરિફને કારણે 25 વર્ષથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં અવરોધો આવ્યા છે. અમેરિકાએ ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે, જે બ્રાઝિલ સિવાય કોઈ બીજા દેશ માટે સૌથી વધારે છે. અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા મુદ્દે ભારત પર ટેરિફ લગાવ્યો છે. જર્મની અખબારે દાવો કર્યો છે કે ટ્રમ્પે આ અઠવાડિયામાં પીએમ નરેન્દ્ર મોદીને ચાર વખત કોલ કર્યા છે, પરંતુ વાત કરવાનો ઈનકાર કર્યો હતો.
આ પણ વાંચો: આવતીકાલથી નવો ટેરિફ લાગુ, નિકાસ અને લાખો નોકરીઓ લટકતી તલવાર?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 31 જુલાઈના કહ્યું હતું કે ભારત રશિયા સાથે શું કરે છે એનાથી મને કોઈ પરવાહ નથી. બંને સાથે મળીને ડેડ ઈકોનોમીને નીચે લાવી શકે છે. અમે ભારત સાથે બહુ ઓછો વેપાર કર્યો છે અને ભારતના ટેરિફ વધારે છે, જે દુનિયામાં સૌથી વધુ ટેરિફવાળા દેશમાંથી એક છે. જર્મનીના અખબારે દાવો કર્યો છે કે ટ્રમ્પની આ ટિપ્પણીથી મોદી નારાજ છે. જર્મન પેપરમાં દાવો કર્યો છે કે ટ્રમ્પના આ વર્તન પછી પીએમ મોદીને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું છે કે ભારત હાલમાં સાવધાનીપૂર્વક પગલું ભરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર પીએમ મોદી અમેરિકન કૃષિ વ્યવસાય માટે ભારતીય માર્કેટને ખોલવા માટે દબાણનો પણ વિરોધ કરી રહ્યા છે.