Covid JN.1ને કારણે કર્ણાટકમાં ત્રણ લોકોના મોત, કેરળમાં પણ કેસ વધ્યા

કોરોના વાઇરસના કેસની સંખ્યામાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. આ વખતે કોરોના JN.1નું નવું વેરિઅન્ટ છે જેના વિશે નિષ્ણાતો પણ સમજી શકતા નથી. અને હાલમાં ભારતમાં આ નવા વેરિઅન્ટના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. કર્ણાટકમાં 34 કેસ નોંધાયા હતા જેમાંથી ત્રણ દર્દીઓના મોત થયા હતા. બીજી તરફ કેરળમાં તો જાણે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ રાજ્યમાં એક દિવસમાં 115 નવા કેસ નોંધાયા હતા.
કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સેવા વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં JN.1 વેરિઅન્ટના કુલ 34 કેસ મળી આવ્યા છે. તેમાંથી, બેંગલોરમાં 20 કેસ, મૈસુરમાં ચાર કેસ, માંડ્યામાં ત્રણ કેસ અને રામનગરા, બેંગલોર ગ્રામીણ, કોડાગુ અને ચામરાજા નગરામાં એક-એક કેસ નોંધાયા છે. નવા JN.1 વેરિઅન્ટને કારણે ત્રણ લોકોના મોત પણ થયા છે.
કેરળમાં 115 નવા કેસ નોંધાયા બાદ રાજ્યમાં કોવિડના કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 1,749 થઈ ગઈ છે. જો કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વાઇરસને કારણે કોઈ મૃત્યુ નોંધાયું નથી.
JN.1 સબ-વેરિઅન્ટ પહેલીવાર ઓગસ્ટમાં ધ્યાનમાં આવ્યો હતો. તે BA.2.86 થી બનેલ છે, જે ઓમિક્રોનનો પેટા પ્રકાર છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 628 નવા કેસ નોંધાયા છે અને સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 4,054 થઈ ગઈ છે. અત્યાર સુધી કોરોનાના કારણે થયેલા મૃતકોની સંખ્યા વધીને 5,33,334 થઈ ગઈ છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર હાલમાં દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 4,50,09,248 છે.
તેમજ સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,71,860 થઈ ગઈ છે. જ્યારે રોગમાંથી રાષ્ટ્રીય સાજા થવાનો દર 98.81 ટકા છે. મૃત્યુદર 1.19 ટકા છે. અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.