
બ્રસેલ્સ/માલે: ગુજરાતના અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાની પ્લેન ક્રેશની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. પ્લેન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. વિમાન લંડન જઈ રહ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં ભારતીય અને બ્રિટિશ નાગરિકો સવાર હતા. વિમાન દુર્ઘટનાને લઇને સમગ્ર વિશ્વના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટાર્મર, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ અને નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશ: PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી સ્થિતિની સમીક્ષા કરી
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે ‘એક્સ’ પર શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે, “અમદાવાદમાં લંડન જતી એક ફ્લાઇટ દુર્ઘટના થઇ હોવાના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે. હું સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. મુસાફરો અને તેમના પરિવારો સાથે મારી સંવેદના છે.”
યુરોપિયન કમિશનના પ્રમુખે લખ્યું હતું કે અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. આ ભયંકર નુકસાનથી પીડિત પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના. અમે તમારા દુ:ખમાં સહભાગી છીએ. દુ:ખની આ ઘડીમાં યુરોપ તમારી અને ભારતના લોકો સાથે છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ કોણ છે કેપ્ટન સુમિત સબરવાલ અને ક્લાઈવ કુંદર? કેટલો છે તેમનો અનુભવ…
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ એક્સ પર લખ્યું હતું કે “આ મુશ્કેલ સમયે માલદીવની સરકાર અને લોકો ભારત સરકાર અને લોકો સાથે ઉભા છે.”
મલેશિયાના પીએમ ઇબ્રાહિમે કહ્યું હતું કે તેઓ આ દુ:ખદ વિમાન દુર્ઘટના વિશે જાણીને “ખૂબ જ દુઃખી” છે અને કહ્યું કે, “મલેશિયાની સરકાર અને લોકો તરફથી હું પીડિત પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું.
નેપાળના પૂર્વ વડા પ્રધાન પ્રચંડે લખ્યું હતું કે તેઓ દુ:ખદ વિમાન દુર્ઘટનાથી “ખૂબ જ દુઃખી” છે. “મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. શોકની આ ઘડીમાં નેપાળ ભારત સાથે ઉભું છે.