નેશનલ

ચલો બુલાવા આયા હૈઃ કૈલાશ માનસરોવરની યાત્રાનું આવી ગયું મુહૂર્ત

નવી દિલ્હીઃ મે મહિનો ચાલી રહ્યો છે, જ્યારે હજુ શ્રાવણ મહિનાની વાર છે ત્યારે આ વર્ષથી મહાદેવના ભક્તો કૈલાશ માનસરોવરની યાત્રા કરવાની તક મળશે. પાંચ વર્ષ પછી ફરી કૈલાશ માનસરોવરની યાત્રા શરુ થઈ રહી છે જે અંગે રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન કીર્તિ વર્ધન સિંહે આજે મહત્ત્વની માહિતી આપી છે. કીર્તિ વર્ધન સિંહે કહ્યું છે કે આ વર્ષના જૂન મહિનાથી કૈલાશ માનસરોવરની યાત્રા શરુ થશે, જે ઓગસ્ટ 2025 સુધી ચાલશે. સરકારે પ્રવાસીઓની સુરક્ષા અને આરોગ્યની પણ વ્યવસ્થા કરી છે.

ભારત સરકારના વિદેશ મંત્રાલય તરફથી આયોજિત કૈલાશ માનસરોવરની યાત્રા આ વર્ષે જૂન મહિનાથી શરુ થશે અને ઓગસ્ટ સુધી ચાલશે. આ યાત્રા માટે યાત્રાળુનું રજિસ્ટ્રેશન કમ્પ્યુટર લોટરી સિસ્ટમ મારફત કરવામાં આવશે, એમ સરકારે જણાવ્યું હતું.

વિદેશ મંત્રાલય (એમઈએ)ના અનુસાર આ વર્ષે 5,561 લોકોએ ઓનલાઈન અરજી કરી હતી, જેમાં 4,024 પુરુષ અને 1,537 મહિલાનો સમાવેશ થાય છે. આ સિલેક્શન સંપૂર્ણ રીતે કમ્પ્યુટર દ્વારા નિષ્પક્ષ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા અન્વયે આ વર્ષે 750 પ્રવાસીને જવાની તક મળશે, જેની દરેક બેચમાં 50 પ્રવાસી હશે, જ્યારે તેમની સાથે બે લોજિસ્ટિક ઓફિસર (એલઓ) પણ રહેશે.

પાંચ વર્ષ પછી શરુ થનારી યાત્રા વાહન માર્ગે જઈ શકાશે. બીજો નાથુ લા માર્ગે (સિક્કિમ મારફત) 10 બેચ મોકલવામાં આવશે. દરેક બેચમાં 50 યાત્રાળુ હશે તથા આ રસ્તો પણ સંપૂર્ણ મોટરેબલ છે. બંને બાજુથી પગપાળા જવાનું રહે છે, જે પહેલા કરતા વધુ સુવિધાજનક છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર સમગ્ર યાત્રાની જાણકારી, રુટ ડિટેલ, બેચની તારીખ અને પસંદ કરવામાં આવેલા પ્રવાસીઓની યાદી રજૂ કરવામાં આવી છે. પસંદ કરવામાં આવેલા પ્રવાસીઓના ઈમેલ અને એસએમએસના માધ્યમથી માહિતી મોકલી છે. સરકારે પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધાની વ્યવસ્થાનું ધ્યાન રાખ્યું છે, જેમાં સૌથી પહેલા દરેક પ્રવાસીનો મેડિકલ ટેસ્ટ અનિવાર્ય છે. યાત્રાએ જતા પૂર્વે ફિટનેસ સર્ટિફિકેટ જરુરી હોય છે, જ્યારે રુટ પર હેલ્થ સેન્ટર, ડોક્ટર અને ઈમર્જન્સી સુવિધા પણ હાજર રહેશે.

આ પણ વાંચો…કૈલાશ માનસરોવર યાત્રા માટે આવ્યા સારા સમાચાર; વિદેશ મંત્રાલયે આપી મોટી અપડેટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button