નેશનલ

જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ FIR દાખલ નહીં થાય! SCએ અરજી કેમ ફગાવી?

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ યશવંત વર્મા(Justice Yashwant Varma)ના દિલ્હી સ્થિતિ નિવાસસ્થાનેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવતા હોબાળો મચી ગયો હતો. ઇન હાઉસ ઈન્કવાયરી કમિટી દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી છે, એવામાં ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ FIR નોંધવાની માંગ ઉઠી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ FIR નોંધવાની માંગ કરી હતી. એવામાં આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court)એ ન્યાયાધીશ યશવંત વર્મા સામે FIRની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

એક અહેવાલમાં જણાવ્યા મુજબ, જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચ દ્વારા આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે ભારતના મુખ્ય ન્યાયાધીશે ઇન-હાઉસ તપાસ સમિતિનો રીપોર્ટ અને જસ્ટિસ વર્માનો જવાબ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મોકલી દીધો છે.

બેન્ચે કહ્યું કે કાર્યવાહી માટે અરજદારોએ રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન સમક્ષ કોઈ રજૂઆત કરી નથી, તેથી FIR નોંધવા આદેશ માંગતી રિટ અરજી પર વિચાર કરવાનો કોઈ અર્થ નથી.

‘પહેલા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સમક્ષ જાઓ’

કેસની સુનાવણી શરૂ થતાં જસ્ટિસ ઓકાએ વરિષ્ઠ વકીલ નેદુમ્પારાને કહ્યું, ‘એક આંતરિક તપાસ અહેવાલને ભારતના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મોકલવામાં આવ્યો છે. તો મૂળભૂત નિયમનું પાલન કરો. જો તમે આદેશની માંગ કરી રહ્યા છો, તો તમારે પહેલા તે અધિકારીઓને અરજી કરવી પડશે જેમની સમક્ષ મામલો પેન્ડિંગ છે. રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને પગલાં લેવા પડશે.’

જસ્ટિસ ઓકાએ અરજદારોને કહ્યું, ‘અમે એવું નથી કહી રહ્યા કે તમે રિપોર્ટ દાખલ ન કરી શકો. તમને રિપોર્ટની વિષય વસ્તુ ખબર નથી. અમને પણ એ રિપોર્ટની વિષય વસ્તુ ખબર નથી. તમે કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને એક અરજી તો મોકલો. જો તેઓ પગલાં નહીં લે, તો તમે અમારી સમક્ષ આવી શકો છો.’

શું છે મામલો:

14 માર્ચે જસ્ટિસ યશવંત વર્મા સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોરરૂમમાં આગ લાગી હતી, આગ ઓલવવા દરમિયાન તેમના નિવાસસ્થાનમાંથી મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયના રિપોર્ટ બાદ 21 માર્ચે ભારતના મુખ્ય ન્યાયાધીશે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી.

ઉપરાષ્ટ્રપતિ ધનખડ પણ કરી ચુક્યા છે માંગ:

ન્યાયાધીશના ઘરે મળી રહેલી રોકડ રકમનો મુદ્દો ઉપરાષ્ટ્રપતિ ધનખડ પણ ઘણી વખત ઉઠાવી ચુક્યા છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડે કહ્યું હતું કે, એક ન્યાયાધીશના નિવાસસ્થાનેથી બળી ગયેલી રોકડ મળી આવી હતી પરંતુ હજુ સુધી FIR નોંધાઈ નથી. શું આપણે કાયદાના શાસનનું પાલન કરી રહ્યા છીએ? ન્યાયતંત્રને તપાસથી દૂર રાખવું, દેખરેખથી દૂર રાખવું, એ કોઈપણ સંસ્થાને નબળી પાડવાનો સૌથી સહેલો રસ્તો છે. દરેક સંસ્થા જવાબદાર હોવી જોઈએ અને કાયદાની યોગ્ય પ્રક્રિયાને આધીન હોવી જોઈએ.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ કેસની તપાસ માટે રચાયેલી સમિતિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતાં. તેમણે કહ્યું કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, જેમનું અધિકારક્ષેત્ર બે રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને આવરી લે છે, તેમને એવી તપાસમાં જોડવામાં આવ્યા છે, આ સમિતિનો કોઈ બંધારણીય આધાર કે કાયદાકીય માન્યતા નથી.

આ પણ વાંચો..ઘરેથી રોકડ મળવાના કેસમાં જસ્ટિસ વર્માને સુપ્રીમ કોર્ટે રાહત આપી, વકીલોની અરજી ફગાવી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button