નેશનલ

કથાકારોના અપમાન મુદ્દે યુપીના ઇટાવામાં તણાવ: 20ની અટકાયત, વિવાદ વકર્યો

ઇટાવા (ઉત્તર પ્રદેશ): ઉત્તર પ્રદેશના ઇટાવાના દંદારપુર ગામમાં કથિત રીતે જાતિના આધારે એક કથાકાર અને તેના સાથીનું મુંડન કરવાની ઘટનાના થોડા દિવસો પછી ગુરુવારે તણાવ વધી ગયો હતો. યાદવ જૂથના લોકોએ તમામ આરોપીઓની ધરપકડ અને પીડિતો સામે નોંધાયેલ કેસ પાછો ખેંચવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નોંધનીય છે કે દંદારપુર ગામમાં 22-23 જૂનની રાત્રે બે ભાગવત કથાવાચકો મુકુટ મણિ યાદવ અને તેમના સાથી સંત સિંહ યાદવનું કથિત રીતે “ઉચ્ચ જાતિ” ના લોકો દ્વારા મુંડન કરીને અપમાન કરવામાં આવ્યું હતું કારણ કે કથાકારો યાદવ જાતિના છે.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં કેટલાક લોકો કથિત રીતે કહેતા સાંભળી શકાય છે કે ” બ્રાહ્મણોના ગામમાં આવવાની સજા મળી રહી છે.” સમાજવાદી પાર્ટી (એસપી)એ આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે.

ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી જયવીર સિંહે ગુરુવારે ઇટાવામાં બનેલી ઘટના વિશે વિગતવાર માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર આ ઘટનાને જાતિવાદી રંગ આપવાનો આરોપ લગાવ્યો અને સ્પષ્ટ કર્યું કે ઉત્તર પ્રદેશ સરકાર ક્યારેય ગુનેગારો સામે કાર્યવાહી માટે જાતિને આધાર બનાવતી નથી. મંત્રીએ ઘટના પછી વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં લેવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

મંત્રીએ કહ્યું હતું કે, “આ ઘટના બાદ રાજ્યભરના જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં પણ બેદરકારી થઈ છે, તેની તપાસ કરવામાં આવશે. બધા પુરાવા અને ઓળખના આધારે ગુનેગારોની ઓળખ કરવામાં આવશે. નિર્દોષો સામે કોઈ કાર્યવાહી થશે નહીં પરંતુ ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

વીડિયો વાયરલ થયા બાદ, દંદારપુરના રહેવાસી ચાર આરોપીઓ આશિષ તિવારી, ઉત્તમ કુમાર અવસ્થી, નિક્કી અવસ્થી અને મનુ દુબેની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે બપોરે આ ઘટનાનો વિરોધ કરવા માટે આગ્રા-કાનપુર હાઇવે અને બકેવર વિસ્તારના દંદારપુર ગામ પાસે મોટી ભીડ એકઠી થવા લાગી હતી.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી હતી કે ત્રણ દિવસ પહેલા દંદારપુર ગામમાં બનેલી ઘટનાનો વિરોધ કરવા માટે કેટલાક જૂથો તૈયારી કરી રહ્યા છે. તે મુજબ, કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે શહેર, હાઇ-વે અને ગામમાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી.”

તેમણે કહ્યું હતું કે, “બપોરે દોઢ વાગ્યાની આસપાસ આગ્રા-કાનપુર હાઇવે પર મોટી ભીડ એકઠી થવા લાગી હતી. મોટાભાગના લોકોને ત્યાંથી દૂર જવા માટે સમજાવવામાં આવ્યા હતા પરંતુ કેટલાક લોકોએ બળજબરીથી દંદારપુર ગામમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જેનાથી શાંતિ ભંગની સ્થિતિ સર્જાઈ હતી..”

શ્રીવાસ્તવે પુષ્ટી કરી કે 20 લોકોની અટકાયત કરવામાં આવી છે અને ટાટા સફારી સહિત 13 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, “સંબંધિત કલમો હેઠળ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં છે અને પરિસ્થિતિ સામાન્ય છે.”

અગાઉ યાદવ સમાજના કેટલાક લોકો પીડિતો પર કાર્યવાહીના વિરોધમાં અને આરોપીઓની ધરપકડની માંગ સાથે બકેવર પોલીસ સ્ટેશનને ઘેરવા પહોંચ્યા હતા. પોલીસ અધિક્ષક (ગ્રામીણ) શ્રીશ ચંદ્રએ પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસે આગળ વધી રહેલા ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઉગ્ર બોલાચાલી થઈ હતી.

જ્યારે પ્રદર્શનકારીઓ આગળ વધી રહ્યા ત્યારે તેમને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાનો આરોપ છે, જેનાથી પોલીસની વ્હીકલને નુકસાન થયું હતું. કેટલાક વિરોધીઓ આગ્રા-કાનપુર હાઇવે તરફ આગળ વધ્યા હતા.

પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે તેમની જાતિ વિશે પૂછપરછ કરવામાં આવી હતી, ઓળખ બતાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને અપમાનિત કરવામાં આવ્યા હતા. સંત સિંહ યાદવે કહ્યું, “મને આખી રાત ત્રાસ આપવામાં આવ્યો હતો. મારું માથાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા અને તેઓએ મારા પર પેશાબ છાંટ્યો હતો અને કહ્યું હતું કે તે મને શુદ્ધ કરવા માટે છે.”

અખિલેશ યાદવે આ ઘટનાની નિંદા કરી હતી તેને બંધારણીય મૂલ્યોનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું હતું અને જો ત્રણ દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોટા પાયે આંદોલન કરવાની ચીમકી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button