આંતરધર્મીય લગ્ન બદલ કોઈને જેલમાં ન રાખી શકાય; ‘લવ જેહાદ’ની ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી ધાર્મિક ઓળખ છુપાવીને હિન્દુ છોકરી સાથે લગ્ન કરવાનો મુદ્દો ચર્ચા રહ્યો છે, જેને ‘લેવ જેહાદ’ જેવા નામ પણ આપવામાં આવે છે. આવા જ એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેટલીક મહત્વની ટીપ્પણીઓ કરી હતી. ઓળખ છુપાવીને હિન્દુ છોકરી સાથે લગ્ન કરવાના આરોપ હેઠળ જેલમાં રહેવા એક યુવકને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતાં, આ સાથે કોર્ટે મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતાં.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પરસ્પર સંમતિથી સાથે રહેતા બે પુખ્ત વયના લોકો સામે માત્ર એટલા માટે વાંધો ઉઠાવી શકાય નહીં કે તેઓ અલગ અલગ ધર્મમાંથી આવે છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ યુવકના જામીન મંજૂર કર્યા. હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યા પછી લગભગ છ મહિના જેલમાં રહ્યા બાદ હવે યુવકને રહાત મળી છે.
કોર્ટમાં અરજદાર વતી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે કેટલાક લોકો અને સંગઠનોએ આંતર-ધાર્મિક લગ્ન સામે વાંધો ઉઠાવ્યા બાદ FIR નોંધવામાં આવી હતી.
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે યુવક દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કર્યા બાદ જમીન અંગે ચુકાદો આપ્યો હતો.
હાઈકોર્ટે જામીન ફગાવ્યા:
ધાર્મિક ઓળખ છુપાવવા અને હિન્દુ મહિલા સાથે છેતરપિંડીથી લગ્ન કરવાના આરોપસર યુવકની ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા કાયદો, 2018 અને ભારતીય ન્યાય સંહિતા, 2023 ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2025 માં, ઉત્તરાખંડ હાઈકોર્ટે યુવકને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
કોર્ટની મહત્વની ટીપ્પણીઓ:
ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “રાજ્યને અપીલકર્તા અને તેની પત્ની સાથે રહેવા સામે કોઈ વાંધો હોઈ શકે નહીં. તે પણ જ્યારે તેમના લગ્ન તેમના માતાપિતા અને પરિવારોની ઇચ્છા અનુસાર થયા હોય.”
બેન્ચે વધુમાં કહ્યું કે આગળની કાર્યવાહી તેમના સાથે રહેવામાં અવરોધ ન બનાવી જોઈએ. કોર્ટે એ હકીકત પર ભાર મુકતા આરોપીને જામીન આપ્યા કે તે લગભગ છ મહિનાથી જેલમાં છે અને ચાર્જશીટ પહેલાથી જ દાખલ થઈ ગઈ છે.
આપણ વાંચો: 10 વર્ષ બાદ મળ્યો ગુમ થયેલો દીકરો! માતા-પિતાના આંખે આવ્યા હરખના આંસુ, જુઓ વીડિયો…
અરજદારની દલીલ:
કોર્ટને કહેવામાં આવ્યું હતું કે આ લગ્ન બંને પરિવારોની મંજુરી અને પરિવારજનોની હાજરીમાં થયા હતા. યુવકે લગ્નના બીજા દિવસે એક સોગંદનામું આપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તે તેની પત્નીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરશે નહીં અને પત્ની તેના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર રહેશે.