![Sachin chased the pilot, also tapped the phone](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/yogesh-25.jpg)
જયપુરઃ એક સમયે કોંગ્રેસના બળવાખોર નેતા સચિન પાયલટે તાજેતરમાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ટોંક બેઠક પરથી જંગી માર્જિનથી જીત નોંધાવી છે. એ સાથે સાથે તેમણે એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે તેમના વફાદારો પણ તેમની બેઠક પરથી જીતે. આ હાર બાદ રાજસ્થાનમાં સત્તામાંથી બહાર થઇ ગયેલા મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સવાલોના ઘેરામાં આવ્યા છે ત્યારે પાયલોટ આવા સમયે પોતાની તાકાત બતાવવાની તક મળી છે. જોકે, સચિન પાયલટે એ સ્પષ્ટતા કરી દીધી જ છે કે તેઓ રાજસ્થાનના રાજકારણમાં જ રહેશે.
અશોક ગેહલોતના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (ઓએસડી) લોકેશ શર્માએ જણાવ્યું હતું કે રાજસ્થાનનું નુક્સાન સરળતા રોકી શકાય તેમ હતું, પરંતુ અશોક ગેહલોતની જીદને કારણે કૉંગ્રેસની હાર થઇ. ‘મારા સર્વેક્ષણોના આધારે, મેં સીએમને કહ્યું હતું કે તેમણે વર્તમાન વિધાનસભ્યોને બદલવાની જરૂર છે અને સચિન પાયલટ દ્વારા ઉલ્લેખિત પેપર લીક મુદ્દા પર પણ ધ્યાન આપવું જોઈએ. અમે જીતી શક્યા હોત પણ પાર્ટીના સભ્યોની અંદરોઅંદરની લડાઈએ પાર્ટીને અસર કરી.’
સચિન પાયલટના ફોન ટેપ કરવામાં આવતા હતા અને તેમની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવતી હતી એવો સનસનીખેજ દાવો પણ લોકેશ શર્માએ કર્યો છે. સચિન પાયલટ ક્યાં જઇ રહ્યા છે, કોને મળી રહ્યા છે, કોની સાથે વાત કરી રહ્યા છે એવી બધી બાબત પર નજર રાખવામાં આવતી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં ટોંક બેઠક પરથી જીત મેળવ્યા બાદ સચિન પાયલટ હવે કૉંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠકમાં આ મુદ્દો ઉઠાવી શકે છે. તેમણે હાલમાં જ કહ્યું હતું કે લોકેશ શર્માએ જે દાવા કર્યા છે, તેનુ સંજ્ઞાન લઇને આ બાબતે ચર્ચા થવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે લોકેશ શર્માએ વિધાન સભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે બીકાનેર અને ત્યાર બાદ ભીલવાડા બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ બંને સીટ પર છેલ્લા 20 વર્ષથી કૉંગ્રેસ હારી રહી છે. લોકેશ શર્મા કૉંગ્રેસને જીતાડવાની ખાતરી સુદ્ધા આપી રહ્યા હતા, પરંતુ પાર્ટીએ તેમને ટિકિટ આપી નહોતી. ગેહલોતે આવો પ્રયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. રાજસ્થાનમાં હવે જ્યારે કૉંગ્રેસની હાર થઇ છે, ત્યારે તેમણે અશોક ગેહલોત પર પાર્ટી હાઇ કમાન્ડ સાથે વિશ્વાસઘાત કરવાનો અને સાચો પ્રતિભાવ ટોચ સુધી નહીં પહોંચવા દેવાનો આરોપ લગાવ્યો છે.
કૉંગ્રેસ હવે સચિન પાયલટને તેમની વફાદારી બદલ શું ઓફર કરશે તે સ્પષ્ટ નથી. જોકે, સચિન પાયલટ પાર્ટી છોડવાના નથી. 2024ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની કમાન તેમના હાથમાં સોંપવામાં આવે તો પણ તેઓ ખુશ થશે, પણ આ વખતે તેમને હાંસિયામાં ધકેલવામાં આવે કે કોઇ નાનુ મોટું પદ આપીને ચૂપ કરી દેવામાં આવે તો તે પાયલટને સ્વીકાર્ય નહીં હોય.