જુલાઈમાં RSSની બેઠક: 46 પ્રાંત પ્રચારક અને શતાબ્દી વર્ષનું આયોજન

નવી દિલ્હીઃ દેશના ૪૬ પ્રાંતના વરિષ્ઠ આરએસએસ પ્રચારકો આવતા મહિને દિલ્હીમાં તેના કાર્યાલયમાં ત્રણ દિવસીય વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે એકઠા થશે. આ બેઠકમાં દેશના વિવિધ ભાગોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સંગઠનની તાલીમ શિબિરોના પરિણામોનું રિપોર્ટિંગ અને સમીક્ષા કરવામાં આવશે.
આ બેઠકમાં આરએસએસના વડા મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલે પણ હાજરી આપશે. જેમાં આ વર્ષે વિજ્યાદશમીથી શરૂ થતા તેના શતાબ્દી વર્ષની ઉજવણી માટે આયોજિત વર્ષભરના કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવશે.
સંગઠનના રાષ્ટ્રીય પ્રચાર અને મીડિયા વિભાગના વડા સુનીલ આંબેકરે એક નિવેદનમાં જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની વાર્ષિક રાષ્ટ્રીય કક્ષાની પ્રાંત પ્રચારક(પ્રાંત પ્રભારી પ્રચારક) બેઠક ૪ થી ૬ જુલાઇ સુધી દિલ્હીમાં આરએસએસ કાર્યાલય કેશવ કુંજ ખાતે યોજાશે.
આંબેકરે જણાવ્યું કે આ બેઠકમાં તમામ પ્રાંત પ્રચારક, સહ પ્રાંત પ્રચારકો, ક્ષેત્ર પ્રચારકો અને સહ ક્ષેત્ર પ્રચારકો હાજરી આપશે. આ બેઠકમાં આરએસએસ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનોના રાષ્ટ્રીય સંગઠન સચિવો પણ હાજર રહેશે.
આપણ વાંચો: પાકિસ્તાનના બેવડા વલણ અંગે આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
તેમણે કહ્યું કે આ બેઠકમાં મુખ્યત્વે સરસંઘચાલક ડો. મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે, બધા સહ સરકાર્યવાહ(સંયુક્ત મહાસચિવો), જેમાં ડો. કૃષ્ણગોપાલ, સીઆર મુકુંદ, અરુણ કુમાર, રામદત્ત, અતુલ લિમયે અને અલોક કુમાર, તમામ રાષ્ટ્રીય કક્ષાના કાર્યકારી વિભાગના વડાઓ(એક્ઝિક્યુટિવ ઇન્ચાર્જ) અને અન્ય કારોબારી પરિષદના સભ્યો હાજરી આપશે.
આંબેકરે વધુમાં જણાવ્યું કે આગામી બેઠકના એજન્ડામાં મુખ્યત્વે તાજેતરમાં પૂર્ણ થયેલી આરએસએસ તાલીમ શિબિરોનો અહેવાલ અને સમીક્ષા, આગામી વર્ષભરના આરએસએસ શતાબ્દી વર્ષના કાર્યક્રમોના અમલીકરણની વિગતો, વર્ષ ૨૦૨૫-૨૬ માટે આરએસએસ વડાની યાત્રા યોજના અને અન્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે.