મોંઘા થયા ઘર: ટોપ 7 શહેરમાં મકાનોના ભાવ વધ્યા, વેચાણમાં ઘટાડો!

નવી દિલ્હી: દેશના ટોચના સાત શહેરોમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં મકાનોના ભાવમાં વાર્ષિક ધોરણે 11 ટકાનો વધારો થયો છે જેનાથી વેચાણમાં 20 ટકાનો ઘટાડો થયો છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એનારોકે ભારતના સાત મુખ્ય શહેરોના બજારોના આંકડાઓ જાહેર કર્યા હતા.
આંકડાઓ અનુસાર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં મકાનોના વેચાણમાં 20 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 96,285 ઘર વેચાયા હતા જ્યારે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં 1,20,335 ઘર વેચાયા હતા. દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (એનસીઆર), મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર), બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને કોલકાતામાં મકાનોના વેચાણમાં ઘટાડો થયો છે. ચેન્નઈમાં માંગમાં વધારો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ધારાવીમાં એક લાખથી વધુ ઝૂંપડપટ્ટીવાસીઓને કાયમી મકાનો મળશે: એકનાથ શિંદે
એનારૉકના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું હતું કે, “2025ના બીજા ત્રિમાસિક ગાળો (એપ્રિલ-જૂન) ભારતીય હાઉસિંગ માર્કેટ માટે અસ્થિર રહ્યો હતો. દેશ અને વિદેશમાં લશ્કરી કાર્યવાહી પણ આનું મુખ્ય કારણ હતી. યુદ્ધ જેવા વાતાવરણે ઘર ખરીદનારાઓને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને પછી નિર્ણય લેવાની ફરજ પાડી છે, જેના કારણે છેલ્લા બે વર્ષમાં મિલકતના ભાવમાં વધારો થયો છે.”
તેણે કહ્યું હતું કે હવે ઘરેલુ તણાવ ઓછો થવાથી અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નીતિ દરમાં ઘટાડાથી નવી આશા જાગી છે, જેનાથી ખરીદદારોના સેન્ટિમેન્ટમાં સુધારો થઈ રહ્યો છે.
એનારોકના ડેટા અનુસાર આ વર્ષે એપ્રિલ-જૂનમાં ટોચના સાત શહેરોમાં સરેરાશ મકાનોના ભાવ વાર્ષિક ધોરણે 11 ટકા વધ્યા છે. એનસીઆરમાં સૌથી વધુ 27 ટકાનો વાર્ષિક વૃદ્ધિદર જોવા મળ્યો હતો. આ પછી બેંગલુરુમાં સરેરાશ 12 ટકાનો ભાવ વધારો થયો અને હૈદરાબાદમાં 11 ટકાનો વધારો નોંધાયો હતો.