જગદગુરુ રામભદ્રાચાર્યએ સેના પ્રમુખ પાસેથી દક્ષિણામાં PoK માંગ્યું

નવી દિલ્હી/ચિત્રકૂટઃ પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યા પછી હજુ પણ દેશમાં આતંકવાદ વિરુદ્ધ ગુસ્સો છે, ત્યારે ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને જગદગુરુ રામભદ્રાચાર્યએ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રામભદ્રાચાર્યએ સેનાના પ્રમુખ પાસેથી દક્ષિણામાં પીઓકે (પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર)ની માગણી કરી હતી.
ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચિત્રકૂટમાં જગદગુરુ રામભદ્રાચાર્યના આશ્રમમાં મુલાકાત કરી હતી. સેનાના પ્રમુખની આશ્રમની મુલાકાત વખતે સદગુરુ નેત્ર ચિકિત્સાલયમાં સિમ્યુલેટર મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું.
આપણ વાંચો: રામભદ્રાચાર્યએ ઠપકો આપ્યા બાદ ‘બાળ સંત’ અભિનવ અરોરાને મળી ધમકીઓ
સેના પ્રમુખના પ્રવાસ દરમિયાન જગદગુરુ રામભદ્રાચાર્યએ તેમની દીક્ષા આપી હતી, ત્યાર બાદ હવે રામભદ્રાચાર્યએ ખુલાસો કર્યો કે તેમને દીક્ષાના બદલામાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ની માગણી કરી છે.
સેના પ્રમુખની મુલાકાત અંગે જગદગુરુ રામભદ્રાચાર્યએ મોટી વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે મેં રામમંત્રની સાથે દિક્ષા આપી હતી, જે ભગવાન હનુમાને માતા સીતા પાસેથી પ્રાપ્ત કરી હતી અને પછી લંકા પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને મેં પણ તેમની પાસેથી દક્ષિણા માગી હતી કે મને પીઓકે પાછું જોઈએ.
સદગુરુ સેવા કેન્દ્રના એક સભ્યએ કહ્યું હતું કે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સદગુરુએ તેમના કેન્દ્રની મુલાકાત લીધી હતી અને તેમણે કહ્યું હતું કે જગદગુરુ અને આર્મી ચીફે તબીબી તાલીમ માટે ઉપયોગમાં લેવાતું સિમ્યુલેટર મશીનનું પરીક્ષણ કર્યું હતું. આખા દેશમાં ફક્ત ચારથી પાંચ મશીન છે અને મધ્ય પ્રદેશમાં પહેલું મશીન છે.
22મી એપ્રિલના આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી અને હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) સ્થિત આતંકવાદી કેમ્પનો સફાયો બોલાવ્યો હતો, ત્યારબાદ સરહદ પર પણ આમનેસામને યુદ્ધની જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.
જોકે, ભારતીય સેનાએ હવાઈ સંરક્ષણની મદદથી પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા, જ્યારે ભારતે મોટી કાર્યવાહી કરતા 11 એરબેઝ, એર ડિફેન્સ સિસ્ટમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ અને રડાર સાઈટ્સનો નાશ કર્યો હતો.