રામમંદિરઃ રામલલ્લાને ખાસ ભેટ મોકલશે શબરીના વંશજો

ડાંગઃ કોઈ નાના બાળકને પણ પૂછો તો તેને રામાયણની આ વાત ચોક્કસ ખબર હશે અને તેની મનગમતી પણ હશે. વનવાસ દરમિયાન સુબિર પાસેના ચમક ડુંગર પર ભગવાન રામ પોતાની ભક્ત શબરીના ઘરે આવ્યા હતા અને અહીં તેમણે શબરની એઠાં બોર ખાધા હતા. વર્ષોથી રામનામ જપતી અને ભગવાનના દર્શનની પ્રતીક્ષા કરતી શબરી રોજ બોરડીમાંથી બોર તોડતી અને તેને ચાખતી. મીઠું લાગે તો રાખતી ને ખાટું લાગે તો ફેંકી દેતી.
રામને ખાટા બોર ન કાવા પડે એટલા માટે તે આમ કરતી, પણ ભક્તિમાં એટલી તળબોળ હતી કે ભગવાનને એઠું ન ખવડાવાય તેવો વિચારસુદ્ધાં તેમના મનમાં આવ્યો ન હતો. ભગવાન પણ તેનાં ભાવનો જ ભૂખ્યો હતો એટલે રામ જ્યારે આવ્યા ત્યારે આ બોર તેમણે એટલા જ ભાવથી ખાધા અને શબરીન નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું. આ શબરીના વંશજો હાલમાં ગુજરાતના ખૂબ જ હરિયાળા એવા ડાંગ જિલ્લામાં રહે છે.
કહેવાીન જરૂર નથી કે રામજન્મ ભૂમિના નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવથી તેઓ કેટલા ખુશ છે. પોતાની આ ખુશી વ્યકત કરવા શબરીના વંશજો બોર અને ધનુષ બાણ લઈને અયોધ્યા જશે. નવ દિવસ ચાલનાર 1008 કુંડીય યજ્ઞમાં આ લોકો સામેલ થનાર છે.
અયોધ્યા ખાતે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે સૌ કોઈ તેના શાક્ષી બનવા જઈ રહ્યા છે. ગુજરાતનો આદિવાસી જિલ્લો ડાંગ જે દંડકારણ્ય તરીકે પણ જાણીતો છે અને રામાયણ કાળ સાથે સંકળાયેલો છે તેના રહેવાસીઓ પણ આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા થનગની રહ્યા છે. શબરીના વંશજો અહીં ચાલી રહેલા યજ્ઞમાં ભાગ લેવા જવાના છે, તેમ જ બોર અને ધનુષબાણ અર્પણ કરવાના છે. આ સાથે જ સાથે જ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલા 9 દિવસ યોજાનાર 1008 કુંડીય યજ્ઞમાં તેઓ સામેલ થશે, તેવી માહિતી મળી છે.