કેટલાક દેશ ખુલ્લેઆમ વૈશ્વિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે: રાજનાથ સિંહ

નવી દિલ્હી: કેટલાક દેશો આંતરરાષ્ટ્રીય ધોરણોનું “ખુલ્લેઆમ ઉલ્લંઘન” કરી રહ્યા છે, જ્યારે અન્ય અનેક દેશ પોતાના ધોરણો બનાવવા માંગે છે અને આગામી સદીમાં વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ભારત જૂની થઈ ગયેલી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને સુધારવા આંતરરાષ્ટ્રીય નિયમ આધારિત વ્યવસ્થાને કાયમી રાખવાની હિમાયત કરે છે. સંરક્ષણ પ્રધાને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનો માટે સૈનિકો મોકલનારા દેશોના સૈન્ય વડાઓના સંમેલનને સંબોધિત કરતા એ દેશોના નામ લીધા નહોતા જેઓ વૈશ્વિક માપદંડોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા અથવા પોતાના નવા માપદંડો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આપણ વાંચો: આ કારણે રોક્યુ ઑપરેશન સિંદૂર: રાજનાથ સિંહે સંસદમાં આપી માહિતી
તેમણે કહ્યું હતું કે આપણે આજના પડકારોનો સામનો જૂના બહુપક્ષીય માળખા સાથે કરી શકતા નથી. વ્યાપક સુધારા વિના સંયુક્ત રાષ્ટ્ર વિશ્વાસના સંકટનો સામનો કરી રહ્યું છે. સિંહે કહ્યું હતું કે, આજના પરસ્પર જોડાયેલા વિશ્વને સુધારેલા બહુપક્ષીયવાદની જરૂર છે. સંરક્ષણ પ્રધાને યુએન શાંતિ રક્ષા કામગીરીમાં ભારતના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે અમારું યોગદાન બલિદાન વિના રહ્યું નથી. 180થી વધુ ભારતીય શાંતિ સૈનિકોએ સંયુક્ત રાષ્ટ્રના બેનર હેઠળ પોતાના જીવનું બલિદાન આપ્યું છે. તેમની હિંમત અને નિઃસ્વાર્થ સેવા માનવતાની સામૂહિક અંતરાત્મા પર અંકિત છે.
રાજનાથ સિંહે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં આશરે 290,000 ભારતીય કર્મચારીઓએ 50થી વધુ યુએન શાંતિ રક્ષા મિશનમાં સેવા આપી છે. કોંગો અને કોરિયાથી લઈને દક્ષિણ સુદાન અને લેબનોન સુધી અમારા સૈનિકો, પોલીસ અને તબીબી વ્યાવસાયિકો લોકોનું રક્ષણ કરવા અને સમાજના પુનર્નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે ખભા મિલાવીને ઉભા રહ્યા છે.