નેશનલ

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી, 3 લોકોના મોત, 4 હજી લાપતા

શિમલા, હિમાચલ પ્રદેશઃ ચોમાસા દરમિયાન ઉત્તર ભારતની સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. આ વર્ષે પણ ભારે વરસાદને પગલે ઉત્તર ભારતની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે અનેક રાજ્યોમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, હિમાચલ પ્રદેશમાં રવિવારે આખો દિવસ ભારે વરસાદ નોંધાયો હતો. આજે સોમવારે સવારે શિમલાના ભટ્ટાકુફરમાં એક પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

હિમાચલ પ્રદેશમાં અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કારણ કે આગલી રાત્રે જ આ ઇમારતને ખાલી કરાવી દેવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં આ ઇમારતની નજીક ચાર લેનનો રસ્તો બનાવવામાં આવી રહ્યો હતો, જેના કારણે ઇમારતમાં તિરાડો પડી ગઈ હતી. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે ત્રણ લોકોનું મોત થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 20 લોકોનું મોત થયું છે. જ્યારે ચાર લોકો અત્યારે હજી પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.

હિમાચલ પ્રદેશના 10 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

વરસાદ સંબંધિત ઘટનાઓને અનેક રસ્તાઓને પણ અસર થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યાં છે. આગાહી પ્રમાણે હિમાચલ પ્રદેશના બિલાસપુર, હમીરપુર, કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા, સોલન, સિરમૌર, ઉના અને ચંબા સહિત 10 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે, જેના કારણે પૂરનું જોખમ ઊભું થઈ શકે છે. મંડીમાં જુની ખાડ અને બિયાસ નદીનું પાણીનું સ્તર વધી શકે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે. જેથી લોકોને નદીઓ અને તેના કાંઠાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

આપણ વાંચો ઉત્તર પ્રદેશના આગ્રા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, તાજમહેલ પાસે ફાયરિંગ…

શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવા આદેશ

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ પ્રભાવિત જિલ્લા જેવા કે કાંગડા, મંડી, સોલન અને સિરમોરમાં દરેક શાળાઓને બંધ રાખવાનો નિર્દેશ કર્યો હતો. જેથી મંડીના ડીસી અપૂર્વ દેવગણે આ વિસ્તારની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો આદેશ પણ આપ્યો છે. પૂરની સ્થિતિમાં શાળાઓ શરૂ રાખવી પણ વધારે નુકસાન સર્જી શકે છે. જેથી સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button