‘ભારત વિરુદ્ધ જેહાદ યોગ્ય છે…’ PoKના વડા પ્રધાને ઝેર ઓક્યું, પાકિસ્તાનમાં જ વિરોધ

ઇસ્લામાબાદ: પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર(PoK) ના વડા પ્રધાન અનવર ઉલ હકે (Anwaar-ul-Haq) તાજેતરમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેમણે આતંકવાદી ગ્રુપ્સની માફક ભારત સામે જેહાદનું આહ્વાન કર્યું હતું.
તેમણે જાહેરાત કરી કે તેમની સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી ભારતીય સેનાને હાંકી કાઢવા માટે હાજર તમામ સંસાધનોનો ઉપયોગ કરશે. તેમની ટિપ્પણીઓ બાદ વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાનના જ ઘણા લોકો આ ટીપ્પણીઓને બંને દેશો વચ્ચે શાંતિ જાળવવાની શક્યતા માટે ખતરો ગણાવ્યો છે.
અલ્લાહના માર્ગમાં….:
હકે કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ખીણમાં તૈનાત 10 લાખ ભારતીય સૈનિકોને હાંકી કાઢવા માટે જેહાદી ચલાવવા પ્રોત્સાહન જાહેર કર્યું.
આપણ વાંચો: પાકિસ્તાન સાથે માત્ર PoK નો મુદ્દો જ ઉકેલવાનો બાકી છે, યુએનમાં જયશંકરની સાફ વાત…
5 જાન્યુઆરીએ મુઝફ્ફરાબાદમાં એક રેલીમાં “અલ-જેહાદ, અલ-જેહાદ” ના નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન હાજર અનવર ઉલ હકે કહ્યું કે, “જો રાજ્ય 3 રૂપિયામાં વીજળી અને 2,000 મણ લોટ આપીને ડૂબતું ન હોય, તો અલ્લાહના માર્ગમાં જેહાદ કરી શકાય છે.”
પાકિસ્તાનમાં જ ટીકા:
હકના આ ભડકાઉ નિવેદનની માનવાધિકાર કાર્યકરો અને રાજકીય નેતાઓ ટીકા કરી રહ્યા છે. માનવાધિકાર કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાએ હકના ભાષણને વખોડી કાઢ્યું હતું.
તેમણે કહ્યું કે આ નિવેદન રાજકીય રીતે પછાત વિસ્તારોને પાછા મેળવવાનો નિરર્થક પ્રયાસ માત્ર છે. આવા ઉશ્કેરણીજનક નિવેદનો પ્રદેશમાં પહેલેથી જ અસ્થિર પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
આપણ વાંચો: PoK મુદ્દે રાજનાથ સિંહનું મહત્ત્વનું નિવેદન, જાણો કાશ્મીરમાં શું કહ્યું?
યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) ના નેતા સાજિદ હુસૈને પણ નિવેદનની ટીકા કરી છે. હુસૈને એક વીડિયો નિવેદનમાં કહ્યું કે હકનું જેહાદનું આહ્વાન પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે ગંભીર ખતરો છે.
તેમણે કહ્યું કે “આ નિવેદન ઉગ્રવાદ સાથે જોડાયેલું છે અને રાજદ્વારી ધોરણોથી મુજબ નથી. આવા નિવેદનો હિંસા ભડકાવી શકે છે અને કાશ્મીર મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના પ્રયાસોને નિષ્ફળ બનાવી શકે છે.”