નેશનલ

પીએમ મોદી આજે મિશન એમપી પર, ગ્વાલિયરથી કરોડોની ભેટ આપશે

ગ્વાલિયર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્વાલિયરની મુલાકાતે છે. તેઓ બપોરે 3 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે. અહીંથી તેઓ બપોરે 3.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મેળાના મેદાન પર પહોંચશે અને શિલાન્યાસ, ભૂમિપૂજન અને વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ નરેન્દ્ર મોદી અહીં એક જનસભાને પણ સંબોધિત કરશે. આ પછી તેઓ સાંજે 5.25 વાગ્યે ગ્વાલિયરથી દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે PM નરેન્દ્ર મોદી અહીં 19 હજાર કરોડ રૂપિયાના કામોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ ગ્વાલિયર સુમાવલી ટ્રેક પર ટ્રેનને લીલી ઝંડી આપશે.

પીએમ મોદી અહીં વિવિધ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ પીએમ આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બનેલા 2.2 લાખથી વધુ ઘરોમાં લોકોને ગૃહપ્રવેશ કરાવશે. તેઓ PMAY-અર્બન હેઠળ અંદાજે રૂ. 140 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા મકાનોનું ઉદ્ઘાટન પણ કરશે. ગ્વાલિયર અને શ્યોપુર જિલ્લામાં રૂ. 1530 કરોડથી વધુની કિંમતના જલ જીવન મિશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. 720થી વધુ ગામોને તેનો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્વાલિયરમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉજ્જૈનમાં બનેલા ઔદ્યોગિક વિસ્તાર વિક્રમ ઉદ્યોગપુરીનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. વિક્રમ ઉદ્યોગપુરી ઉજ્જૈનથી 15 કિલોમીટરના અંતરે 458.60 હેક્ટર જમીન પર વિકસાવવામાં આવી છે.

આ ઉપરાંત તેઓ ઈન્દોર IITની નવી શૈક્ષણિક ઈમારતોનું ઉદ્ઘાટન કરશે. આ ઈમારતો લગભગ 128.9 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. પીએમ મોદી ગ્વાલિયરથી ઓનલાઈન ભાગ લેશે. આ ઇમારતોમાં ઘણી પ્રયોગશાળાઓ અને શૈક્ષણિક વિભાગોની કચેરીઓનો સમાવેશ થાય છે. આ ઈમારતો 44,000 ચોરસ મીટરમાં બનેલી છે. પીએમ મોદી પીથમપુરના મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ પણ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button