નેશનલ

PM મોદીનો વિરોધ એટલે દેશનો વિરોધ: જયરામ રમેશના નિવેદન પર નિશિકાંત દૂબેનો કૉંગ્રેસ પર આકરો પ્રહાર

રાંચી: પાકિસ્તાનની સેના પ્રમુખ જનરલ અસીમ મુનિરને અમેરિકાના વ્હાઈટ હાઉસ ખાતેથી લંચ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. અમેરિકાના આ વલણને લઈને કૉંગ્રેસના જયરામ રમેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિ માટે મોટો ફટકો ગણાવ્યો હતો. જયરામ રમેશની આ વાતને ભાજપના સાંસદ નિશિકાંત દૂબેએ વખોડી કાઢી હતી અને કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

પાકિસ્તાને પોતાનું એરબેઝ અમેરિકાને આપી દીધું છે

મીડિયા સાથે વાત કરતા નિશિકાંત દૂબેએ જણાવ્યું હતું કે કોંગ્રેસના જયરામ રમેશ કે પવન ખેડાને એ સમજાતું નથી કે કે પીએમ મોદીનો વિરોધ કરવાનો અર્થ દેશનો વિરોધ છે. તેમણે આગળ જણાવ્યું કે, “હવે અમેરિકાના રાષ્ટ્રપતિ કોની સાથે બેસશે-ઉઠશે…શું આ હવે ભારત નક્કી કરશે? બીજો પ્રશ્ન એ છે કે ઈસ્લામિક રાષ્ટ્ર ઈરાન પર હુમલો થઈ રહ્યો છે. આજે જ મેં કહ્યું કે જો તમે વિમાનના રડાર પર નજર કરશો તો તમને દેખાશે કે અમેરિકાના 100થી વધુ ફાઇટર પ્લેન પાકિસ્તાનના એરબેઝ ઉપર છે. આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાને પોતાનું એરબેઝ અમેરિકાને આપી દીધું છે.

નિશિકાંત દૂબેએ જણાવ્યું હતું કે જો કોઈ અમેરિકાનું ગુલામ બની ગયું છે, જો કોઈએ પોતાનો દેશ અમેરિકાને વેચી દીધો છે, તો ભારત આવું નહીં કરે. ભારત એક સાર્વભૌમિક દેશ છે અને તેના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. આજે ટ્રમ્પે પોતે મોદીજીને વિનંતી કરીને 35-40 મિનિટ વાત કરી છે. તે વાતચીતનું પરિણામ શું આવ્યું, તે સમય આવશે ત્યારે ખબર પડશે. હું એટલું કહી શકું છું કે મોદીજીના નેતૃત્વમાં આજે ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. ભારતને અવગણીને વિશ્વમાં કોઈ નીતિ બનાવી શકાય તેમ નથી. તેથી દરેકને વિશ્વાસ હોવો જોઈએ કે આપણે મજબૂત હતા, આપણે મજબૂત છીએ અને મજબૂત રહીશું અને આખી દુનિયા આપણી સાથે ઊભી છે.”

ભારત કોઈની મધ્યસ્થતા સ્વીકારશે નહીં

ઉલ્લેખનીય છે કે, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, “મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે 35 મિનિટ વાત કરી હતી. વાતચીત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના આતંકવાદી ઠેતાણાઓ વિરૂદ્ધ ભારત દ્વારા શરૂ કરાયેલા ઑપરેશન સિંદૂર અંગે માહિતી આપી હતી અને એ સ્પષ્ટ કર્યું હતું કે ભારત ક્યારેય ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો અત્યારે કે ભવિષ્યમાં ક્યારેય સ્વીકાર કરશે નહી.”

જેને લઈને જયરામ રમેશે કહ્યું હતું કે, “ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન વડા પ્રધાને અસીમ મુનીરને આપેલા આમંત્રણ પર ભારતની નારાજગી વ્યક્ત કરવી જોઈતી હતી.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button