
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ પાંચ દેશોના પ્રવાસ પર છે. આ પ્રવાસ દરમિયાન ધાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ, નામિબિયાની મુલાકત લેવાના હતા. જ્યારે અત્યાર સુધીમાં ત્રણ દેશોની મુલાકાત પૂર્ણ કરી તેઓ બ્રાઝિલ પ્રવાસ પર છે. જ્યારે તેમણે બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો. બ્રાઝિલ પ્રવાસ દરમિયાન PM નરેન્દ્ર મોદીને ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા. PM મોદીને ‘ગ્રાન્ટ કોલર ઓફ ધ નેશનલ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’થી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો લૂલા ડી સિલ્વાએ ભારત-બ્રાઝિલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને વૈશ્વિક મંચો પર સહયોગ વધારવા માટેના યોગદાન બદલ આપ્યું.
બ્રાઝિલના આ સન્માન બાદ પીએમ મોદીએ રાષ્ટ્રપતિ લૂલા સાથે અને તેમના પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકમાં ભાગ લીધો. તેમણે જણાવ્યું, “આ સન્માન માત્ર મારા માટે નહીં, પરંતુ 140 કરોડ ભારતીયો માટે ગૌરવની ક્ષણ છે. હું રાષ્ટ્રપતિ લૂલા, બ્રાઝિલ સરકાર અને તેના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.” ઉલ્લેખનીય છે કે, આ સન્માન 2014થી અત્યાર સુધીમાં વિદેશી સરકારો દ્વારા મોદીને આપવામાં આવેલું 26મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.
બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયાના અલ્વોરાડા પેલેસમાં મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમણે રાષ્ટ્રપતિ લૂલા સાથે બેઠક ઉપરાંત રિયો ડી જાનેરોમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધો અને અન્ય વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી. બ્રાઝિલની મુલાકાત બાદ મોદી આફ્રિકન દેશ નામિબિયાની યાત્રા પર જશે, જે તેમના આ પ્રવાસનું અંતિમ પડાવ છે.
બેઠક દરમિયાન, મોદીએ ભારત અને બ્રાઝિલના આતંકવાદ વિરુદ્ધ સમાન દૃષ્ટિકોણ ‘ઝીરો ટોલરન્સ અને ઝીરો ડબલ સ્ટાન્ડર્ડ’ રાખવા પર ભાર મૂક્યો. તેમણે પહેલગામ આતંકી હુમલાની નિંદા કરવા અને ભારતીયો સાથે એકજૂટતા દર્શાવવા બદલ રાષ્ટ્રપતિ લૂલાનો આભાર માન્યો. બંને દેશો રક્ષા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સુપર કોમ્પ્યુટર જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારી રહ્યા છે, જે બંને દેશો વચ્ચેના ગાઢ વિશ્વાસનું પ્રતીક છે.
આપણ વાંચો : ભારત માટે રાહત, અમેરિકાએ આ તારીખ સુધી ટેરિફ અમલ મુલતવી રાખ્યો