“લોકો વચનો અને નિવેદનોથી કંટાળી ગયા છે…”, સચિન પાયલોટના ભાજપ પર પ્રહાર

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી આડે હવે થોડા દિવસો જ રહ્યા છે. સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી થશે. દરમિયાન રાજસ્થાનના કૉંગ્રેસના નેતા સચિન પાયલટે વિરોધ પક્ષના નેતાઓ તેમના ચૂંટણી સભાઓ, વાયદા વગેરે પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે લોકો હવે વચનો અને નિવેદનોથી થાકી ગયા છે.
રાજસ્થાન સરકાર લોકો પર તેની છાપ છોડી શકી નથી અને ભાજપ મોંઘવારી અને બેરોજગારીનો જવાબ આપવા સક્ષમ નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન ગત વખત કરતાં ઘણું સારું રહેશે.
આપણ વાંચો: સચિન પાયલટનો પીછો કર્યો, ફોન પણ ટેપ કરાવ્યો
કૉંગ્રેસની કાર્યશૈલી અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બાંસવાડા અને ડુંગરપુરમાં જે મૂંઝવણ સર્જાઈ હતી તે દુર્ભાગ્યપૂર્ણ હતી અને તેઓ વૈભવ ગેહલોત માટે પ્રચાર કરશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની અશોક ગેહલોત સાથે દુશ્મનાવટ પતી ગઇ અને તેમણે બંનેએ સમાધાન કરી લીધું છે કે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમની બંનેની વચ્ચે કોઇ અણબનાવ નથી. માત્ર તેમની બંનેની વિચારવાની, કામ કરવાની રીતો અલગ અલગ છે. અન્ય એક સવાલના જવાબમા તેમણે કહ્યું હતું કે તેમણે અશોક ગેહલોતને દિલથી માફી આપી છે.
ભાજપ વિશે બોલતા તેમણે કહ્યું હતું કે 2004માં પણ ભાજપ ઘણો જ આત્મવિશ્વાસ ધરાવતો હતો કે તેઓ જીતશે જ ,પણ વાજપેયીજી ચૂંટણી હારી ગયા હતા. અમને ખાતરી છે કે આ વખતે કૉંગ્રેસ ભાજપ કરતા વધારે બેઠકો જીતશે જ.