
નવી દિલ્હી: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ભારતમાં ઉડાન ભરતી ફ્લાઈટોમાં થતી ખામીઓ ઉજાગર થઈ રહી છે. આ વચ્ચે મંગળવારે 24 જૂનના દિલ્હીથી પટના જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટર્બ્યુલન્સના કારણે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એર ઈન્ડિયા ફ્લાઈટ નંબર AI-0407એ દિલ્હીથી પટના માટે ઉડાન ભરી હતી. ત્યારે રસ્તામાં અચાનક વાતાવરણની અસ્થિરતાથી ટર્બ્યુલન્સ સર્જાયુ હતું, જેનાથી યાત્રીઓએ થોડીક ક્ષણો માટે તીવ્ર ઝટકા અનુભવ્યા. આ ઘટનાએ ફ્લાઇટમાં સવાર તમામ લોકોને ચોંકાવી દીધા, પરંતુ પાયલટની સમજદારીથી સ્થિતિ નિયંત્રણમાં આવી.
સૂત્રોની જાણકારી પ્રમાણે ફ્લાઇટમાં લગભગ પાંચ સેકન્ડ સુધી યાત્રીઓએ હવામાં ઝટકા અનુભવ્યા. આ દરમિયાન કેટલીક મહિલાઓ અને બાળકો ભયના કારણે ચીસો પાડવા લાગ્યા. ઘટના બની ત્યારે એર હોસ્ટેસ દ્વારા યાત્રીઓને નાસ્તો આપવામાં આવી રહ્યો હતો. ટર્બ્યુલન્સના કારણે ઘણા યાત્રીઓનો નાસ્તો ફેલાઇ ગયો, અને સીટ પર ઝટકા લાગ્યા. આ ઉપરાંત, લગેજ બોક્સ ખૂલી જતાં કેટલાક યાત્રીઓના સામાન પણ સીટ પર પડ્યા.
ઉલ્લેખનીય છે કે, પાયલટની સમયસૂચકતાથી ફ્લાઈટ તાત્કાલિક સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. ટર્બ્યુલન્સન કારણે ક્રૂ મેમરોએ મુસાફરોને શાંત કર્યા હતા. આ ફ્લાઇટ દિલ્હીથી લગભગ એક કલાકના વિલંબ સાથે બપોરે 2:40 વાગ્યે ઉડી હતી અને સાંજે 4:10 વાગ્યે પટના એરપોર્ટ પર સુરક્ષિત ઉતરી હતી. આ ઘટનાથી યાત્રીઓમાં થોડી ગભરાટ ફેલાયો, પરંતુ ફ્લાઇટ ક્રૂની ઝડપી કામગીરી અને પાયલટની કુશળતાને કારણે મોટી દુર્ઘટના ટળી. આ ઘટના બાદ એર ઇન્ડિયા દ્વારા યાત્રીઓની સુરક્ષા માટે વધુ સાવચેતી રાખવાની વાત કરવામાં આવી છે.
આ પણ વાંચો…રાજકોટ-મુંબઈની ફ્લાઈટ 19 દિવસ માટે કેન્સલ, એર ઈન્ડિયાના આ નિર્ણયનું જાણો શું છે કારણ…