નેશનલ

પાણી માટે પોકાર: ભારતને સિંધુ જળ સમજૂતીની પુનર્વિચારણા માટે પાકિસ્તાનની અરજી

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા હતા. ભારતે 65 વર્ષ જૂની સિંધુ જળ સમજૂતીને રોકવાની જાહેરાત કરી હતી, જેના કારણે પાકિસ્તાન ભીંસમાં આવી ગયું છે.

આ નિર્ણયને લઈને પાકિસ્તાને ભારતને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયે ભારતના જળ શક્તિ મંત્રાલયને પત્ર લખીને અપીલ કરી છે કે ભારતનું આ પગલું પાકિસ્તાનમાં ગંભીર જળસંકટ ઊભું કરી શકે છે અને ભારતને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાનો અનુરોધ કર્યો છે.

આપણ વાંચો: પહેલગામ હુમલાનો જવાબ, “સિંધુ જળ સમજૂતી મોકૂફ, અટારી બોર્ડર બંધ, પાકિસ્તાની નાગરિકો 48 કલાકમાં ભારત છોડે…

પાકિસ્તાનના જળ સંસાધન સચિવવે ભારતને લખ્યો પત્ર

પાકિસ્તાનના જળ સંસાધન સચિવ સૈયદ અલી મુર્તઝાએ ભારતને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે સિંધુ જળ સમજૂતી સ્થગિત થવાને કારણે પાકિસ્તાનમાં ખરીફ પાક માટે પાણીનું મોટું સંકટ ઊભું થયું છે માટે સિંધુ જળ સમજૂતી પર ફરીથી વિચાર કરે.

પાકિસ્તાને આ પત્રની એક નકલ ભારતના વિદેશ મંત્રાલયને પણ મોકલી છે. સરકારી સૂત્રોનાં જણાવ્યા અનુસાર નિયમોને આધીન આ પત્ર ભારતનાં વિદેશ મંત્રાલયને પણ મોકલવામાં આવ્યો છે, પરંતુ ભારતે પાકિસ્તાનની આ અપીલને સ્પષ્ટપણે નકારી કાઢે તેવા સ્પષ્ટ સંકેતો છે.

આપણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રાલયનો ખુલાસો: 65 વર્ષ જૂની સિંધુ જળસંધિનું પાલન એ ભારતની સહનશીલતા

ભારતે કોઈ પ્રતિક્રિયા આપી નથી

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી માંગણી પર ભારતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા ઇસ્લામાબાદ દ્વારા આતંકવાદને સતત સમર્થન આપવાની સમીક્ષા બાદ સિંધુ જળ સમજૂતીને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે સિંધુ જળ સમજૂતી સદ્ભાવના અને મિત્રતાની ભાવનાથી સંપન્ન થઈ હતી, જે સંધિની પ્રસ્તાવનામાં દર્શાવવામાં આવ્યું છે. જો કે, પાકિસ્તાને દાયકાઓથી સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપીને સમજૂતીનાં સિદ્ધાંતોનું પાલન કર્યું નથી.

આપણ વાંચો: પાકિસ્તાનની હાલત થશે બદથી બદતર, સિંધુ બાદ રોક્યું ચિનાબ નદીનું પાણી

શું છે સિંધુ જળ સમજૂતી?

જેની ખૂબ ચર્ચા થઈ રહી છે તે સિંધુ જળ સમજૂતી સપ્ટેમ્બર 1960માં કરાચીમાં થઈ હતી. જેના પર ભારતનાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાની લશ્કરી જનરલ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા.

સિંધુ જળ સંધિ અંતર્ગત ભારતને સિંધુ અને તેની સહાયક નદીઓમાંથી ૧૯.૫ ટકા પાણી મળે છે. જ્યારે પાકિસ્તાનને લગભગ ૮૦ ટકા પાણી મળે છે. ભારત તેના હિસ્સાના માત્ર 90 ટકા પાણીનો ઉપયોગ કરે છે.

એ પણ ખાસ નોંધવું ઘટે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં અનેક તણાવની વચ્ચે પણ આ સંધિનું પાલન અકબંધ રહ્યું હતું, આ પ્રથમવાર છે કે જ્યારે ભારતે સમજૂતીને રોકવાનો નિર્ણય લીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button